એકવાર એક શેઠ પોતાની દુકાન ઉપર બેઠા હતા.બપોરનો સમય હતો એટલે કોઇ ગ્રાહક પણ નહોતા એટલામાં એક સંત ભિક્ષુક ભિક્ષા લેવા માટે દુકાન ઉપર આવે છે અને શેઠને કંઇક ભિક્ષા આપવા માટે બૂમ મારે છે.શેઠ વિચારે છે કે આ સમયે કોન આવ્યું હશે? તેમને બહાર આવીને જોયું તો એક સંત ભિક્ષુક યાચના કરી રહ્યા હતા.શેઠ ઘણા જ દયાળુ હતા.તેઓ તુરંત ઉભા થઇને દાન આપવા માટે ચોખાની ગુણમાંથી એક કટોરી ચોખા કાઢી અને સંત પાસે આવીને સંતને ચોખા આપે છે.સંતે શેઠજીને ઘણા જ આર્શિવાદ આપ્યા.
શેઠજીએ સંતને હાથ જોડીને ઘણા જ વિનમ્રભાવથી કહ્યું કે હે ગુરૂજન ! આપના પવિત્ર પાવન શ્રીચરણોમાં મારા પ્રણામ.હું આપશ્રીને મારા મનમાં ઉઠેલ એક શંકાનું સમાધાન પુછવા ઇચ્છું છું,ત્યારે સંત યાચકે કહ્યું કે આપ આપની શંકા અંગે પુછી શકો છો.ત્યારે શેઠે પુછ્યું કે મહારાજ ! લોકો અંદરોઅંદર લડે છે કેમ? સંતે શાંત સ્વભાવ અને વાણીથી કહ્યું કે શેઠ ! હું તમારી પાસે ભિક્ષા માંગવા માટે આવ્યો છું, તમારા આવા પ્રકારના મૂર્ખતાપૂર્વકના સવાલોના જવાબ આપવા આવ્યો નથી.આટલું સાંભળતાં જ શેઠને ક્રોધ આવી જાય છે અને મનમાં વિચારવા લાગ્યા કે આ કેવા ઘમંડી અને અસભ્ય સંત છે..? આ તો બહુ મોટા કૃતઘ્ન છે,એક બાજું મેં તેમને દાન આપ્યું અને મારી સાથે કેવી અસભ્ય ભાષામાં વાત કરે છે.શેઠ ગુસ્સામાં સંતને ઘણા જ ખોટા-ખરા શબ્દોમાં ના કહેવાના શબ્દો કહે છે.
થોડા સમય પછી શેઠનો ગુસ્સો શાંત થયો ત્યારે સંતે કહ્યું કે ભાઇ તમારા પ્રશ્નના જવાબ આપવાના બદલે મેં ખરાબ વાત કહી કે તરત જ તમોને ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં તમે મને ના કહેવાય તેવા શબ્દો કહ્યા.તે સમયે હું પણ ક્રોધિત થઇ ગયો હોત તો આપણી વચ્ચે ઝઘડો થઇ જતો.ક્રોધ જ તમામ ઝઘડાનું મૂળ કારણ છે અને શાંતિ તમામ વાદ-વિવાદનો અંત છે.જો અમે ક્રોધ જ ના કરીએ તો ક્યારેય વાદ-વિવાદ થશે નહી.જીવનમાં સુખ-શાંતિ ઇચ્છતા હો તો ક્રોધ ઉપર નિયંત્રણ કરવું જોઇએ.ક્રોધને કાબૂમાં કરવા માટે દરરોજ સેવા-સુમિરણ-સત્સંગ કરવાની જરૂર છે.
કોઇપણ સમાજમાં શાંતિને વ્યક્તિથી અલગ જોઇ શકાતી નથી.વ્યક્તિ તમામ ભૌતિક સુખો મળ્યા પછી પણ સંતુષ્ઠ થતો નથી કારણ કે જ્યાંસુધી મનુષ્ય માનસિકરૂપથી શાંત ના હોય ત્યાંસુધી ભૌતિક વસ્તુઓ તેને સુખ-શાંતિ આપી શકતાં નથી.ક્યારેક વ્યક્તિની પ્રસિદ્ધિ પણ તેની શાંતિનો નાશ કરે છે કારણ કે પ્રસિદ્ધિ ટકાવી રાખવા માટે વ્યક્તિ પોતાની તમામ શક્તિ લગાવી દેતો હોય છે,કેટલાક સમય સુધી લોકપ્રિયતાથી તેને ખુશી મળે છે પરંતુ ત્યારબાદ ગુસ્સો અને નિરસતા તેના જીવનમાં આવી જાય છે.
દેવતા,ગુરૂ,ગાય,રાજા,બ્રાહ્મણ,બાળક,વૃદ્ધ અને રોગી..આ બધાં ઉ૫ર ગુસ્સો ના કરવો જોઇએ.શબ્દો ક્યારેય બેજુબાન(મુંગા) નથી હોતા. શબ્દ ઔષધિનું કામ કરે છે અને ઘાવ(દર્દ) આપવાનું કામ પણ કરે છે.દરેક મનુષ્યએ એવી વાણી બોલવી જોઇએ જેનાથી સાંભળનારનો ગુસ્સો ઓછો થાય, મનમાં ઠંડકનો અનુભવ કરે,સારી લાગે,મનને આનંદિત કરી શકે,સુખનો અનુભવ કરાવી શકે અને આપણા મનને પણ આનંદ આપી શકે.મીઠી વાણીથી અમે દરેકનો પ્રેમ અને આદર મેળવી શકીએ છીએ.મીઠી વાણીથી આપણે દરેકની ઉપર વિજ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.
આપણે જ સાચા છીએ એવો દુરાગ્રહ ના રાખવો.આ૫ણે સાચા હોઈએ તો પણ બીજા આપણને એ રીતે જ સ્વીકારે એવો આગ્રહ ન રાખવો.આસપાસના માણસો પાસે બહુ અપેક્ષાઓ ન રાખવી, બાળકોને આપણા પોતાના વિચારોના બીબામાં ઢાળવાનો મિથ્યા પ્રયત્ન ન કરવો, દુનિયાને ધરમૂળથી પલટી નાખવાની મહત્વકાંક્ષા ન સેવવી, વ્યવહારમાં મિતાચારી થવું કારણ કે દરેક બાબતનો અતિચાર ક્રોધ જન્માવે છે.જે માણસ સહિષ્ણુ હોય, હસમુખો હોય, ગમ ખાવાની ટેવવાળો હોય, નમ્ર હોય, આનંદી હોય એને ક્રોધ ઓછો ચડે છે.હાસ્ય અને ક્રોધ, રમૂજ અને ગુસ્સો એકસાથે રહી શકતાં નથી.
ગુસ્સે થવું સ્વાભાવિક છે પરંતુ બિનજરૂરી વધુ પડતો ગુસ્સો કરીએ તે સારૂં નથી.ક્રોધ એ માણસનો સૌથી ખરાબ શત્રુ છે.જે સ્ત્રીમાં ગુસ્સો ઓછો હોય છે તેનો પતિ ખૂબ નસીબદાર હોય છે કારણ કે આવા લોકોના ઘરમાં કકરાટનું વાતાવરણ હોતું નથી જેના કારણે પરિવારમાં હંમેશા પ્રગતિ રહે છે.ક્રોધ કરવાથી અશાંતિ તથા તનાવ વધે છે,ક્રોધી વ્યક્તિને ક્યારેય શાંતિ પ્રાપ્ત થતી નથી તેથી આ ક્રોધથી થનાર નુકશાન અને દુઃખથી બચવાનો ઉપાય કરવો જોઇએ.જ્યારે જ્યારે અમોને ક્રોધ આવે છે ત્યારે તે કોઇને કોઇ ઉ૫ર તો ઉતરે જ છે તેનાથી અમારૂં અને અમારાઓનું મન દુઃખી થાય છે તથા ઘરનું વાતાવરણ બગડે છે.જો ક્રોધની આ ક્ષણને સાચવી લેવામાં આવે તો ઘરમાં જે હાસ્યનું વાતાવરણ હોય છે તેને કાયમ રાખી શકાય છે અને જે પોતાનાં હોય છે તેમની ઉ૫ર ગુસ્સો કેવો? પોતાનાં તો પોતાનાં જ છે કે જે અમોને દિલથી પ્રેમ કરે છે કદાચ તેમની કોઇ ભૂલ થાય તો ક્ષમા આપવી.
ઘર-પરીવાર હોય કે અમારા કાર્યનું સ્થળ હોય ત્યાં અમારે શાંત રહેવું જોઇએ.જો કોઇ અમારી ઉપર ગુસ્સો કરે તો અમારે તેનો જવાબ શાંતિથી આપવો જોઇએ.જો અમે શાંતિનો માર્ગ છોડીને ક્રોધ કરીશું તો નાની વાત પણ અમારૂં મોટું નુકશાન કરશે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫