ભગવાનના દશ અવતારમાં કૂર્માવતાર એ બીજો અવતાર છે.સમુદ્રમંથનના કાર્યને સફળ બનાવવા ભગવાન વિષ્ણુએ વિશાળ કૂર્મ(કાચબા)નું રૂપ ધારણ કરી સમુદ્રમાં મંદરાચલ પર્વતનો આધાર બન્યા હતા. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના કૂર્મ અવતારે સમુદ્રમંથનમાં ઘણી સહાયતા કરી હતી.આ અવતારને કચ્છપ અવતાર પણ કહેવામાં આવે છે.
એક સમયની વાત છે.મહર્ષિ દુર્વાસા દેવરાજ ઇન્દ્રને મળવા માટે સ્વર્ગમાં જાય છે.તે સમયે ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસીને ક્યાંક જવા માટે નીકળ્યા હતા.તેમને જોઇને મહર્ષિ દુર્વાસાનું મન પ્રસન્ન થાય છે.તેમને વિનીત ભાવથી દેવરાજ ઇન્દ્રને એક પારિજાત પુષ્પોની માળા ભેંટ આપી.દેવરાજે આ માળાનો સ્વીકાર તો કર્યો પરંતુ તેને પોતે ના પહેરતાં ઉપેક્ષિતભાવથી ઐરાવતના માથા ઉપર ચઢાવી દીધી.હાથી મદમાં ઉન્મત્ત હતો તેથી તેને સુગંધિત તથા ક્યારેય મેલી ના થનાર આ માળાને સૂંઢથી મસ્તક ઉપરથી લઇને મસડી નાખીને જમીન ઉપર ફેંકી દીધી.આ જોઇને દુર્વાસાને ક્રોધ આવે છે અને ઇન્દ્રને શ્રાપ આપતાં કહે છે કે “હે મૂઢ ! તે મારા દ્વારા આપેલ માળાનો અનાદર કર્યો છે.તૂં ત્રિભોવનની રાજલક્ષ્મીથી સંપન્ન હોવાના કારણે મારૂં અપમાન કર્યું છે એટલે આજથી ત્રણે લોકોની લક્ષ્મી નષ્ટ થઇ જશે અને અને આ તારૂં ત્રિભુવન શ્રીહીન બની જશે” આટલું કહીને દુર્વાસા ત્યાંથી ચાલ્યા જાય છે.
આ શ્રાપના પ્રભાવથી ઇન્દ્ર વગેરે દેવતાઓ સહિત ત્રણે લોક શ્રીહીન બની જાય છે.આ દશા જોઇને ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ અત્યંત દુઃખી થઇને પ્રજાપતિ બ્રહ્માજી પાસે જાય છે.બ્રહ્માજી તમામને લઇને વૈકુઠમાં શ્રીહરિ નારાયણ પાસે જાય છે અને કહે છે કે પ્રભુ ! એક તો અમે દૈત્યોથી અત્યંત કષ્ટમાં છીએ અને બીજી બાજુ મહર્ષિના શ્રાપથી શ્રીહીન બની ગયા છીએ.આપ અમારી રક્ષા કરો.સ્તુતિથી પ્રસન્ન થઇને શ્રીહરિએ ગંભીર વાણીથી કહ્યું કે તમે લોકો સમુદ્રમંથન કરો જેનાથી લક્ષ્મી અને અમૃતની પ્રાપ્તિ થશે જેને પીવાથી તમે લોકો અમર થઇ જશો અને દૈત્યો તમારૂં કંઇ જ બગાડી શકશે નહી પરંતુ આ અત્યંત દુષ્કર કાર્ય છે.તેના માટે તમારે અસુરોને પણ અમૃતનું પ્રલોભન આપીને તેમની સાથે સંધિ કરી લો અને દેવો અને અસુરો ભેગા મળીને સમુદ્રમંથન કરો.ઇન્દ્ર અને દેવતાઓએ અસુરરાજ બલિ તથા તેમના મુખ્ય નાયકોને અમૃતનું પ્રલોભન આપીને તૈયાર કરી લીધા.
શ્રીહરિના નિર્દેશ અનુસાર તમામે ભેગા થઇને પૃથ્વી પર સ્થિત તમામ ઔષધિઓ તથા વનસ્પતિઓ સમુદ્રમાં નાખે છે.સમુદ્રમાં ડૂબેલા રત્નો કાઢવા માટે મંદરાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવે છે અને વાસુકી નાગની રસ્સી બનાવીને સમુદ્રને મંથનની શરૂઆત કરી પરંતુ વલોવતાં વલોવતાં મંદરાચલ પર્વતનું વજન વધુ હોવાથી અને નીચે કોઇ આધાર ન હોવાથી પાણીમાં નીચે જવા લાગ્યો ત્યારે ભગવાને કૂર્માવતાર લઇ નીચેથી પર્વતને ટેકો આપ્યો.,તેને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો અને આ રીતે રત્નો બહાર નીકળ્યાં તેમાં પ્રથમ હળાહળ ઉગ્ર વિષ નીકળ્યું જેને ભગવાન શિવે પાન કરી લીધું ત્યારે દેવો અને દાનવોએ બમણા ઉત્સાહની સમુદ્રમંથન કર્યુ ત્યારે સમુદ્રમાંથી કામધેનું પ્રગટ થઇ જેને બ્રહ્મવાદી ઋષિઓએ અપનાવી.ત્યારપછી ઉચ્ચઃશ્રૈવા અશ્વ નીકળ્યો તેનો બલિએ સ્વીકાર કર્યો.ત્યારબાદ ઐરાવત હાથી જેને ઇન્દ્રએ રાખ્યો,કૌત્સુભ મણી ભગવાન વિષ્ણુએ ધારણ કર્યો,કલ્પવૃક્ષ દેવરાજ ઇન્દ્ર લઇ ગયા, રંભા નામની અપ્સરા સ્વર્ગમાં ગયાં,ભગવતી લક્ષ્મીજીનો ભગવાન વિષ્ણુએ સ્વીકાર કર્યો,વારૂણીદેવીનો અસુરોએ સ્વીકાર કર્યો,ચંદ્રમાનો ભગવાન શિવે જટામાં ધારણ કર્યો,પારિજાત વૃક્ષને ઇન્દ્રએ પોતાના ઉપવનમાં સ્થાન આપ્યું,પંચરત્ન શંખ ભગવાન વિષ્ણુએ રાખ્યો,તેરમુ રત્ન ધન્વતરી જે દેવોના વૈદ્ય તરીકે ઓળખાયા અને છેલ્લે અમૃત ભરેલા કુંભ લઇને ધન્વરી પ્રગટ થયા હતા.
વાચ્યાર્થ દ્રષ્ટિથી જોઇએ તો દરિયો વલોવ્યો એ અસંભવિત લાગે છે.પૌરાણિક કથાને રૂપકના રૂપમાં સમજીને સમુદ્રમંથનના આધ્યાત્મિક અર્થને જોઇએ તો..માનવીનું મન મહાસાગર જેવું વિશાળ, અગાધ, વિવિધ સૃષ્ટ-દુષ્ટ,સંમિશ્ર ભાવનાઓથી ભરેલું છે.આ ભાવનાઓનું વિવેક બુદ્ધિથી મંથન કરીશું તો સમાજ રચનાને માટે જરૂરી અને કાયમી સમાજવ્યવસ્થાના માટે અનિવાર્ય સહજીવનના પરસ્પર સહકાર્ય માટે કર્તવ્યપાલનનો મહાન સિદ્ધાંત,માનવને અમર કરવાવાળો સિદ્ધાંત મળશે.
પુરાતન સમયમાં ચિત્તશક્તિએ કૂર્માવતાર લીધો.કૂર્મ એટલે કાચબો.કાચબા જેવો શાંત બુદ્ધિવાળો, સંપૂર્ણ આશાવાદી,પ્રસંગ જોઇ-સમજીને વર્તવાની કળા અને ચિવટવૃત્તિ જેની પાસે છે તેવા મહાપુરૂષ જન્મ્યા.પ્રભુનું કાર્ય કરનારા નિરાશાવાદી નહી પરંતુ આશાવાદી હોવા જોઇએ.કૂર્મે લોકોને સમજાવ્યું કે તમે મનોમંથન કરો.સમૃદ્ધતા અને સંપન્નતા વચ્ચે ઝઘડો ના હોવો જોઇએ.સમૃદ્ધતા અને સંપન્નતાને એકબીજામાં મળી જવા દો.લક્ષ્મીને ગાળ શા માટે આપવી? લક્ષ્મી કાંઇ આસુરી નથી.માનવીની સંસ્કૃતિ અમર રહે તે પ્રમાણે રહો.
તે સમયનો માનવ નીચે જવા માંડ્યો હતો.એકબીજાના દોષો જોવા લાગ્યો હતો તેથી હળાહળ ઝેર નિર્માણ થયું હતું.કૂર્મે સંપન્ન લોકોને સમજાવ્યું કે તમે બધામાં સર્વ અંતર્યામી પ્રભુ પરમાત્માને માનો છો તો સમૃદ્ધ લોકોમાં પણ પ્રભુ છે તો તમોને તેમનામાં પ્રભુ કેમ દેખાતો નથી.? સાધન સંપન્ન લોકોએ પોતાનું ઓછાપણું માન્ય કર્યું.આ ભૂલ કબૂલ કરવી એ ઝેર પીવા જેવું જ છે.
કૂર્માવતાર સુંદર છે.કૂર્મે સમૃદ્ધતા અને સંપન્નતા એકરૂપ થઇ સાથે રહી શકે છે તેમ બતાવ્યું.પૈસા હોય તો પણ પ્રભુ મળી શકે છે.પૈસા-લક્ષ્મીની ઉપેક્ષા ન કરો એ તો આપણી બા છે.રાજ્યદરબારમાં સમૃદ્ધિશાળી રાજા જનક સ્થિતપ્રજ્ઞ રહી શકે છે એમ ભારતીય કહે છે.મરણકાળ નજીક પહોંચેલી માનવ સંસ્કૃતિને ચિત્તશક્તિએ જીર્ણોદ્ધાર કરીને અમર કરી અશાંત સમાજને શાંત જીવન આપ્યું.કૂર્મને લોકો અવતાર ગણવા લાગ્યા.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)