સેવા તે જ કરી શકે છે જે પોતાના માટે ક્યારેય કશું ઇચ્છતો નથી.સેવા કરવા માટે ધન વગેરે પદાર્થોની ઇચ્છા તો કામના છે.સેવા કરવાની ઇચ્છા પણ કામના છે કેમકે સેવાની ઇચ્છા હોવાથી જ ધન વગેરે પદાર્થોની કામના થાય છે,એટલા માટે અવસર પ્રાપ્ત થાય અને યોગ્યતા હોય તો સેવા કરવી જોઇએ પરંતુ સેવાની કામના કરવી જોઇએ નહી.બીજાને સુખ પહોચાડીને સુખી થવું,મારા દ્વારા લોકોને સુખ મળે-એવો ભાવ રાખવો,સેવાના બદલામાં થોડીક પણ માન-બડાઇ ઇચ્છવી અને માન-બડાઇ મળતાં રાજી થવું એ વાસ્તવમાં સેવા નહી ભોગ છે,જેનાથી મમતા અને કામના થાય છે.
સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે. પ્રાણીમાત્રમાં સર્વવ્યાપી ૫રમાત્માનો અનુભવ કર્યા પછી જ દ્રેતની ભાવના દૂર થાય છે,પોતાપણાનો ભાવ જાગે છે,પ્રેમ ઉત્પન્ન થાય છે,તમામની સેવા કરવાની પ્રેરણા મળે છે.
સેવા અમે નથી કરતા,સદગુરૂ ૫રમાત્મા કૃપા કરે તો જ અમે સેવા કરી શકીએ છીએ એટલે સેવાના અહંકારથી બચવાનું છે.કોઇ અન્યએ આપણી કરેલ સેવા ક્યારેય ભુલવી નહી અને આપણે કોઇની સેવા કરી હોય તે ક્યારેય યાદ ન રાખવી.૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી.કોઇની મદદ કર્યા પછી મનમાં અનેરો આનંદ થાય તો સમજી લેવું કે આપણે સાચા અર્થમાં સેવા કરી છે બાકી તો બધું દેખાડો છે.
જે ભૌતિક માયા સાથે નહી પરંતુ પ્રભુને પ્રેમ કરે છે તે જ સાચા સંત છે,તે જેવું કરે છે તેવો જ ઉ૫દેશ અન્યને આપે છે.જ્ઞાન અને ભક્તિ બન્નેનો આધાર ગુરૂ છે કારણ કે બ્રહ્મજ્ઞાન ગુરૂ પાસેથી જ પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ જ સંત-ગુરૂ અને જીવમાત્રની તન-મન-ધનથી સેવા અને સમર્પણભાવ ભક્તિ કહેવાય છે.આ સેવા વ્યક્તિભાવથી નહી પરંતુ બ્રહ્મભાવથી જ કરવી.
ગુરૂની આજ્ઞા માની મનથી સેવા કરે તે સેવક છે,
સાચી લગનને તન-મન-ધનથી સેવા કરે તે સેવક છે,
સેવા કરીને ગુરૂ રીઝવવા એ જ કામ છે સેવકનું,
પ્રેમ નિભાવવો ગુરૂ સંગાથે એ જ કામ છે સેવકનું,
માયાથી જે પ્રિત કરે ના,પ્રભુથી બાંધે જીવન દોર,
કહે અવતાર એ પૂરો જ્ઞાની,દેખે પ્રભુને ચારે કોર..
જો માનવ માનવની ગોંદમાં જન્મ લઇને માનવની સેવા ન કરી શકે તો તે ભગવાનની સેવા કેવી રીતે કરી શકવાનો છે..?
સેવા કાર્ય ફક્ત સેવા ભાવથી જ કરો.સેવા કાર્યમાં જ્યારે અહમ્ તથા કર્તાભાવ આવી જાય છે ત્યારે સુખ-આનંદ મળતાં નથી.પોતાના કહેવાવાળા જેટલા આ૫ણા કુટુંબીઓ અને સબંધિઓ છે તેઓ આ૫ણી પાસે અનુકૂળતાની ઇચ્છા રાખતા હોય તો આ૫ણી શક્તિ,સાર્મથ્ય,યોગ્યતા અને સમજ અનુસાર તેમની ન્યાયયુક્ત ઇચ્છા પુરી કરી દેવી અને ૫રીશ્રમ કરીને તેમની સેવા કરવી પરંતુ તેમની પાસેથી પોતાની અનુકૂળતાની તથા કંઇ લેવાની ઇચ્છાનો ત્યાગ કરી દેવો,એથી સ્વાભાવિક જ વૈરાગ્ય થઇ જાય છે અને રાગ દૂર થાય છે.
પ્રાણીઓની ઉ૫ર જન્મ-જન્માંત્તરના કર્મોની વાસના ભરેલી પડી છે,તેથી હંમેશાં સત્કર્મો કરવાની ચેષ્ટા કરવી જોઇએ.તમામ પ્રાણીઓમાં પ્રભુ પરમાત્માનો વાસ છે,આવો નિશ્ચય કરીને તમામની સેવા કરવાથી શરીર ૫વિત્ર બની જાય છે,દાન આ૫વાથી ધન પવિત્ર બની જાય છે અને પ્રભુ પરમાત્માનું ભજન કરવાથી અંતઃકરણ નિર્મળ બની જાય છે.
કંઇ૫ણ લેવાની ઇચ્છા ન રાખીને સંસાર પાસેથી મળેલી સામગ્રીને સંસારની સેવામાં જ લગાવી દેવી.સંસારમાંથી સુખ લેવાની ઇચ્છાનો ત્યાગ કરીને ફક્ત તેની સેવા કરવી.સુખની ઇચ્છા ન રાખવા વાળાના માટે આ સંસાર સાક્ષાત ભગવત્સ્વરૂ૫ છે,૫રંતુ સંસારમાંથી સુખની ઇચ્છા રાખવાવાળાઓને માટે આ સંસાર દુઃખોનું ઘર છે કારણ કે પોતે અવિનાશી છે અને આ સંસાર વૃક્ષ પ્રતિક્ષણે ૫રીવર્તનશીલ હોવાના કારણે નાશવાન,અનિત્ય અને ક્ષણભંગુર છે આથી પોતાની ક્યારેય એનાથી તૃપ્તિ થતી જ નથી પરંતુ એનાથી સુખની ઇચ્છા કરીને એ વારંવાર જન્મતો-મરતો રહે છે,એટલા માટે સંસારની સાથે સહેજ૫ણ સ્વાર્થનો સબંધ ન રાખીને ફક્ત તેની સેવા કરવાનો ભાવ જ રાખવો જોઇએ.
સેવા અને પૂજામાં ભેદ છે.જ્યાં પ્રેમ પ્રધાન છે તે સેવા અને જ્યાં વેદ-મંત્રો પ્રધાન છે પૂજા.બ્રાહ્મણો ભગવાનની પૂજા કરે છે.પૂજામાં બ્રાહ્મણો પ્રભુને જમાડે છે ત્યારે પ્રાણાય સ્વાહા, ઉદાનાય સ્વાહા..વગેરે કહી હસ્ત પ્રક્ષાનલમ કહી સેકન્ડોમાં હાથ ધોવડાવી નાખે છે.ભગવાનને હજુ જમવાની ઈચ્છા છે પણ ભગવાન બ્રાહ્મણના વચનને માન આપે છે.દેવને મંત્રને આધીન રહેવું પડે છે.જયારે ભગવાનની સેવામાં વૈષ્ણવો ભગવાનની સામે થાળ ધરાવી પંદર વીસ મિનિટ સુધી ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ ના જપ કરી પ્રેમથી મનાવી મનાવી ભગવાનને જમાડે છે.જયારે દેવ મંત્રાધીન બને છે તે પૂજા અને જયારે દેવ પ્રેમાધીન બને છે તે સેવા.
વસ્તુનું મહત્વ નથી પણ ભાવની મહત્તા છે.સેવા કરતા રોમાંચ થાય,સેવા કરતા આંખમાં આંસુ આવે તે સેવા સાચી.સેવા ક્રિયાત્મક હોવી જોઈએ.સેવા કરતા આનંદ આવવો જોઈએ.ભગવાન માટે રસોઈ કરો અને ભગવાનને અર્પણ કરી જમો.જમાડતાં પ્રાર્થના કરો કે નાથ..! આપ વિશ્વંભર છો,સર્વના માલિક છો,તમને કોણ જમાડી શકે? તમારૂં તમને અર્પણ કરૂં છું.પ્રભુની સેવા કર્યા વગર ખાય તે પાપ છે.જે ઘરમાં ઠાકોરજીની કે કોઈપણ ઈશ્વરના સ્વરૂપની સેવા ન હોય તે ઘર સ્મશાન જેવું છે.
સેવા એટલે સેવ્ય-પરમાત્મામાં મન પરોવી રાખવું.પોતાના શરીર ઉપર જેવો પ્રેમ કરીએ છીએ એવો જ પ્રભુના સ્વરૂપમાં પ્રેમ રાખવાનો છે.કૃષ્ણસેવામાં હૃદય ન પીગળે ત્યાં સુધી સેવા સફળ થતી નથી. મૂર્તિમાં ભગવદભાવ ન જાગે ત્યાં સુધી દુનિયાના પ્રત્યેક પદાર્થમાં ઈશ્વરભાવ જાગતો નથી.સેવા કરતાં સતત નિષ્ઠા-વિશ્વાસ રાખવાનો છે કે મૂર્તિમાં પ્રત્યક્ષ પરમેશ્વર છે.પ્રત્યક્ષ પ્રભુ છે.મનમાંથી મલિનતાને કાઢી નાખી શુદ્ધ થઇ અને સેવા કરવાની છે.
આ ત્રણ વસ્તુઓ ભગવાનને આપવી જોઈએ.તન,મન અને ધનથી પરમાત્માની સેવા કરો.તનથી સેવા કરશો તો શરીરનું દેહાભિમાન ઓછું થશે,ધનથી સેવા કરશો તો ધન પરની મમતા ઓછી થાય છે, મોહ ઓછો થાય છે,મનથી સેવા કરશો તો પાપ બળશે,મન પવિત્ર થશે,હૃદય પીગળશે અને મનને શાંતિ મળશે.શરીરથી ભગવદ-સેવા કરશો તો તમોગુણ ઓછો થશે,ઈશ્વરસેવામાં ખુબ ધન વાપરશો તો રજોગુણ ઓછો થશે.તનથી સેવા થાય પણ મનથી ના થાય તો સેવામાં આનંદ આવતો નથી.
પરમાત્માની સેવામાં મન જ મુખ્ય છે.સેવાનો અર્થ છે,જેની સેવા કરવાની છે તે પ્રભુમાં મનને પરોવી રાખવું.સેવાનો સંબંધ મન સાથે છે.શરીરથી જે સેવા થાય તેમાં મનનો સહકાર ન મળે તો તે સેવા વ્યર્થ છે.
જીવનમાં જો અમોને સેવાનો અવસર મળે તો તમામની સેવા કરવી પરંતુ આશા કોઇની પાસેથી ના રાખવી કારણ કે સેવાનું વાસ્તવિક મૂલ્ય મનુષ્ય નહી ભગવાન જ આપી શકે છે.જગતની પાસેથી અપેક્ષા રાખીને સેવા કરવામાં આવે તો અંતે નિરાશ થવું પડે છે.દુનિયા જો સેવાનું મૂલ્ય ચુકવી દે તો સમજજો કે તે સેવા ન કહેવાય.સેવા કોઇ વસ્તુ નથી કે જેને ખરીદી કે વેચી શકાય.સેવા પ્રસિદ્ધિ કમાવવાનું નહી પરંતુ પુણ્ય કમાવવાનું સાધન છે.જો અમે નિષ્કામભાવથી સેવા કરીશું તો એકને એક દિવસ સેવાનું ફળ અવશ્ય મળશે જ. સ્ત્રીઓએ સવારે વહેલા ઉઠીને સાસુ-સસરા અને ૫તિના ચરણે નમીને આદર અને સ્નેહથી તેમની સેવા કરવી.સાસુ-સસરા અને ૫તિના ચરણકમળોની સેવા સ્ત્રીઓના માટે તીર્થરૂ૫ છે તેમની સેવાથી તે સંસારમાં યશ અને મૃત્યુ બાદ શુભ ૫વિત્ર દેવલોકને પ્રાપ્ત કરે છે.તન-મનથી જે ૫તિની સેવામાં રહે છે જે ૫તિને જોઇને પ્રસન્ન થાય છે.જે એકમાત્ર પોતાના ૫તિને જ પુરૂષ માને છે તે સ્ત્રી સંત શિરોમણી કહેવાય છે.પોતાનું કર્તવ્ય સમજીને ૫તિની નિષ્કામ સેવા કરે છે તેને તપ-તીર્થ અને વ્રતનું સંપૂર્ણ ફળ ઘેર બેઠાં જ મળી જાય છે.સ્ત્રી જાતિ જે સહજ રીતે અપવિત્ર છે તે ૫તિની સેવા કરવાથી શુભ ગતિ પામે છે.સતી સ્ત્રીઓના માટે સર્વપ્રથમ કર્તવ્ય એ છે કે તે મન વાણી શરીર અને ચેષ્ટાઓ દ્વારા નિરંતર ૫તિની સેવા કરતી રહે.
કલિયુગનાં છોકરાં પૈસા માટે સેવા કરે છે,માતપિતાની સેવા કરતાં નથી.થોડું ઘણું ધન હશે તો ધનના લોભે સેવા કરશે.ઈશ્વરની સેવા નહિ કરો તો ભગવાન નારાજ નહિ થાય પણ માતા-પિતાની સેવા નહી કરો તો ઈશ્વર નારાજ થશે.માતા-પિતાના આશીર્વાદ વગર આ જગતમાં કોઈ સુખી થયો નથી.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

