Mumbai, તા.18
શુક્રવારે સવારે મુંબઈના પશ્ચિમ ઉપનગર બાંદ્રામાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. તેનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું કહેવાય છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કાટમાળમાંથી 10 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, બાંદ્રા પૂર્વના ભારત નગર વિસ્તારમાં ચાલ નંબર 37 સવારે 5.56 વાગ્યે ધરાશાયી થયો હતો. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાનિક વોર્ડ મશીનરી સાથે આઠ ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. તેમણે કહ્યું, “રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.”
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, કાટમાળમાંથી અત્યાર સુધીમાં બચાવાયેલા 12 લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના આજે સવારે 7:50 વાગ્યે બની હતી.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે બિલ્ડિંગમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના પછી બિલ્ડિંગનો કેટલોક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. ફાયર વિભાગ, મુંબઈ પોલીસ અને બીએમસી દ્વારા ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.