મનુષ્ય ભગવાનને કેવી રીતે જાણશે? અને તેનું કલ્યાણ કેવી રીતે થશે? એનો ઉપાય બતાવતાં ભગવાન ગીતા(૧૦/૩)માં કહે છે કે..
યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ્
અસંમૂઢઃ સ મત્યેર્ષુ સર્વેપાપૈઃ પ્રમુચ્યતે
જે મનુષ્ય મને અજન્મા-અનાદિ અને સર્વે લોકોનો મહાન ઇશ્વર જાણે છે તે મોહમુક્ત જ્ઞાની સર્વ પાપોથી છુટી જાય છે.
અજ એટલે જેનો જન્મ ન થાય.ઇશ્વર ક્યારેય જન્મતા નથી તો પછી વાસુદેવ-દેવકીથી કૃષ્ણનો જન્મ, જન્માષ્ટમીનું શું? તેનું સમાધાન એ છે કે પિતાના વિર્ય અને માતાની રજથી સંતાન થતું હોય છે.શ્રીકૃષ્ણ માટે આવી પ્રક્રિયા થઇ નથી.રજ-વિર્યથી જન્મે તેને જન્મ કહેવાય,તે વિના પણ જન્મે તેને પ્રાગટ્ય કહેવાય છે એટલે લોકદ્રષ્ટિએ જન્મ હોવા છતાં ભગવાન અજ છે.જેનો આદિ ના હોય તે અનાદિ.દાર્શનિક ક્ષેત્રમાં આ અનાદિ શબ્દ બહુ મહત્વનો છે.આદિ કાર્ય હોય, કાર્યનું કારણ હોય,કાર્યનો વિનાશ હોય પણ અનાદિ તત્વ આપોઆપ અનંત થઇ જાય છે.
વેત્તિનો અર્થ છે દ્રઢતાપૂર્વક,સંશયરહિત સ્વીકાર કરી લેવું કારણ કે ભગવાનને મન-બુદ્ધિ અને ઇન્દ્રિયોથી જાણી શકાતા નથી તેથી ભગવાન જાણવાનો વિષય નથી પરંતુ માનવા અને અનુભવ કરવાનો વિષય છે.અનુભવ કરવાનો અર્થ છે કે પોતે ભગવાનમાં લીન થઇ જવું,ભગવાનથી અભિન્ન થઇ જવું. ભગવાન સાથે અભિન્ન થઇને જ ભગવાનને જાણી શકીએ છીએ કારણ કે વાસ્તવમાં આપણે ભગવાનથી અભિન્ન જ છીએ.
મહેશ્વર કોણ?જેની પાસે સર્વજ્ઞતા,આત્મસંતોષ,અનાદિ જ્ઞાન,સ્વતંત્રતા,અવિનાશી દ્રષ્ટિ અને અનંત શક્તિ..આ છ ગુણો છે તે મહેશ્વર છે,મહેશ્વર એટલે મહાન ઈશ્વર,મહેશ્વર એટલે સ્વામી,મહેશ્વર એટલે સર્જક, પાલક,સંહારક,મહેશ્વર એટલે નિયંત્રક,મહેશ્વર એટલે વ્યવસ્થાપક,મહેશ્વર એટલે સર્વેસર્વા.બધા લોકોનો મહેશ્વર,બધાનો શાસક-નિયંતા એવો ભગવાન.જો લોકો છે તો તેમનો શાસક પણ હોય.શાસક વિના સામાન્ય રાજ્ય પણ ચાલતું નથી તો પછી બ્રહ્માંડો કેવી રીતે ચાલી શકે? અનંત બ્રહ્માંડોનું સંચાલન કરનાર મહેશ્વર પરમશક્તિ છે.આવું જાણનાર અસંમૂઢ-મૂઢતા વિનાનો છે એટલે કે જે આવું નથી જાણતો તે મૂઢ છે.આવો ભક્ત આ મર્ત્યલોકમાં બધાં પાપોથી મુક્ત થઇ જાય છે.પાપો જીવન સાથે જોડાયેલી વાસ્તવિકતા છે.
શરીર અને સંસાર કોઇની પણ સાથે ક્યારેય રહી શકતાં નથી તથા કોઇપણ તેમની સાથે ક્યારેય રહી શકતાં નથી અને કોઇપણ પરમાત્માથી ક્યારેય અલગ થઇ શકતાં નથી-આ વાસ્તવિકતા છે.આ વાસ્તવિકતાને ન જાણવી એ જ સંમૂઢતા(અજ્ઞાન) છે અને તેને યથાર્થ જાણવી એ જ અસંમૂઢતા(જ્ઞાન) છે. આ અસંમૂઢતા જેનામાં રહે છે તે મનુષ્યને અસંમૂઢ કહેવામાં આવે છે.આવો અસંમૂઢ પુરૂષ મારા સગુણ-નિર્ગુણ અને સાકાર-નિરાકાર રૂપને તત્વથી જાણી લે છે અને તેને મારી લીલા,રહસ્ય,પ્રભાવ,ઐશ્વર્ય વગેરેમાં સહેજપણ સંદેહ રહેતો નથી.ભગવાન કહે છે કે જે મને નથી જાણતો તેનું પતન થઇ જાય છે અને જે મને જાણે છે તે તમામ પાપોથી મુક્ત થઇ જાય છે.
હવે વ્યક્તિનો સ્વભાવ તથા ગુણો ક્યાંથી આવે છે? તે બતાવતાં ભગવાન ગીતા(૧૦/૪-૫)માં કહે છે કે..
બુદ્ધિર્જ્ઞાનમસંમોહઃ ક્ષમા સત્યં દમઃ શમઃ
સુખં દુઃખં ભવોऽભાવો ભયં ચાભયમેવ ચ
અહિંસા સમતા તુષ્ટિસ્તપો દાનં યશોऽયશ
ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિધાઃ
બુદ્ધિ, જ્ઞાન, અસંમોહ, ક્ષમા, સત્ય, દમ, શમ તથા સુખ-દુઃખ, ઉત્પત્તિ-વિનાશ, ભય-અભય, અહિંસા,સમતા,તુષ્ટિ,તપ,દાન,યશ-અપયશ..આ અનેક પ્રકારના અલગ-અલગ વીસભાવો પ્રાણીઓ માં મારા દ્વારા જ થાય છે.એક બહુ જ મહત્વનો પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે.માણસનો સ્વભાવ ક્યાંથી બને છે? સ્વભાવ જ વ્યક્તિનું વ્યક્તિત્વ છે.તે ક્યાંથી આવે છે? ગીતા આ બે શ્ર્લોકોમાં સમજાવે છે કે સ્વભાવ નિર્ધારણ કરવામાં વીસ ઘટકો મહત્વનો ભાગ ભજવતા હોય છે.
ઉદ્દેશ્યને લઇને નિશ્ચય કરનાર વૃત્તિનું નામ બુદ્ધિ છે.ઇશ્વરની ગજબ રચના મગજ છે.મગજ એટલે બુદ્ધિનું નિવાસસ્થાન.કોના મગજમાં કેટલી બુદ્ધિ છે તે કાર્ય દ્વારા જાણી શકાય છે.સૌમાં સરખી બુદ્ધિ હોતી નથી.આ બુદ્ધિ ભગવાનથી પ્રાપ્ત થાય છે.જો કે ભગવાન પણ કર્માધારીત બુદ્ધિ આપે છે.બુદ્ધિના ઘણા પ્રકાર છે.બધા બુદ્ધિમાનો સજ્જન નથી હોતા તેમજ બધા દુર્જન પણ નથી હોતા.બુદ્ધિની સાથે સજ્જનતાનો મેળ સોનામાં સુગંધ થઇ જાય છે જે જવલ્લે જ જોવા મળે છે.બુદ્ધિને આત્માને આશ્રિત સમજવી જોઇએ તેથી તે પોતાના અધિષ્ઠાનભૂત આત્માની ઇચ્છા કરતી રહે છે,નહી તો તે આધારના વિના ટકી શકતી નથી.વિષય અને ઇન્દ્દિયોના સંયોગથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને મન તો ૫હેલાંથી જ ઉત્પન્ન હોય છે.બુદ્ધિ પોતે વાસનાવાળી નથી,વાસનાવાળું તો મન જ માનવામાં આવે છે.મન અને બુદ્ધિમાં આટલો જ ભેદ છે.
જ્ઞાન એટલે જાણવુ-સમજવું. સાર-અસાર, ગ્રાહ્ય-અગ્રાહ્ય, નિત્ય-અનિત્ય, સત-અસત, ઉચિત-અનુચિત, કર્તવ્ય-અકર્તવ્ય..આવો જે વિવેક એટલે કે અલગ-અલગ જાણકારીનું નામ જ્ઞાન છે.આ જ્ઞાન(વિવેક) માનવમાત્રને ભગવાન તરફથી મળેલ છે.
શરીર અને સંસારને ઉત્પત્તિ-વિનાશીલ જાણવા છતાં તેમાં હું અને મારાપણુંનો ભાવ રાખવો તે સંમોહ છે અને તેનું ના હોવું એ અસંમોહ છે.અસંમોહ એટલે અભાનપણું અને સંમોહ એટલે બેભાનપણું.કેટલાક લોકો હંમેશાં બેભાન જેવું જીવન જીવતા હોય છે તેની જગ્યાએ જીવનમાં જાગૃતિ આવે ત્યારે અસંમોહભાવ આવે છે.
કોઇ અમારો ગમે તેટલો મોટો અ૫રાધ કરે,અપરાધ કરવાવાળાને શિક્ષા કરવાનું સામર્થ્ય હોવા છતાં ૫ણ તેના અ૫રાધને સહન કરી લેવો અને તેને પોતાના તરફથી અહી કે પરલોકમાં ક્યાંય પણ દંડ ના મળે આવી અપરાધોને ભૂલી જવાની વૃત્તિને ક્ષમા છે.
સત્યસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિના માટે સત્યભાષણ કરનાર એટલે કે જેવું સાંભળ્યું,જોયું અને સમજ્યા છે તે અનુસાર પોતાના સ્વાર્થ અને અભિમાનનો ત્યાગ કરીને બીજાઓના હિતના માટે જેવું છે તેવું કહી દેવાને સત્ય કહે છે.સત્યના બે પ્રકાર છેઃસાચું બોલવું અને વસ્તુની સત્તા બતાવનારૂં સત્ય.જેમકે બ્રહ્મ સત્ય છે,અહી બ્રહ્મની સત્યતા બતાવવામાં આવી રહેલ છે.
દમ એટલે ઇન્દ્રિય સંયમ,ઇન્દ્રિયોને બેફામ થતી રોકવી,કર્મેન્દ્દિયો અને જ્ઞાનેન્દ્દિયોને તેમના વિષયો માંથી ખેંચી પોતાના ગોલકોમાં સ્થિર કરવી તેને દમ કહે છે અને મનને નિર્વિકાર રાખવું,મનને સમજણથી સાંસારીક ભોગોના ચિંતનમાંથી હટાવવું,મનમાની ના કરવા દેવી તેને શમ કહે છે.ઇન્દ્રિયોની જેમ મન પણ પોતાને ગમતા વિષયો પ્રત્યે દોડાદોડ કરતું હોય છે તેને સમજાવીને ઠેકાણે રાખવું તે શમ કહેવાય. સમજાવવાની પ્રક્રિયાને સત્સંગ કહે છે.
શરીર-મન અને ઇન્દ્રિયોને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં હ્રદયમાં જે પ્રસન્નતા થાય છે તેનું નામ સુખ છે અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવતાં હ્રદયમાં જે અપ્રસન્નતા થાય છે તેને દુઃખ કહે છે.
સાંસારીક વસ્તુ, વ્યક્તિ,ઘટના,પરિસ્થિતિ,ભાવ વગેરેના ઉત્પન્ન થવાનું નામ ભવ છે તથા આ તમામ ના લીન થવાને અભાવ કહે છે.ટૂંકમાં ભવ એટલે જન્મવવું અને અભવ એટલે મૃત્યુ.મૃત્યુ પણ ઇશ્વરની રચના છે.
ભય એટલે બીક લાગવી-આ પણ ઇશ્વરીય રચના છે.પોતાના આચરણ-ભાવ વગેરે શાસ્ત્ર અને લોક-મર્યાદાની વિરૂદ્ધ થવાથી અંતઃકરણમાં પોતાનું અનિષ્ટ થવાની જે એક આશંકા થાય છે તેને ભય કહે છે. મનુષ્યનું આચરણ-ભાવ વગેરે સારા છે,તે કોઇને કષ્ટ પહોંચાડતો નથી,શાસ્ત્ર અને સંતોના સિદ્ધાંતથી વિરૂદ્ધ કોઇ આચરણ કરતો નથી તો તેના હ્રદયમાં પોતાનું અનિષ્ટ થવાની કોઇ આશંકા રહેતી નથી એટલે કે તેને કોઇનાથી ભય હોતો નથી તેને અભય કહે છે.જીવનમાં ડરવું પણ જરૂરી છે.ઇશ્વરથી,માતા-પિતાથી, કાયદાથી,પાપથી ડરવું કલ્યાણકારી છે,પતિ-પત્ની એકબીજાથી ડરે તો તે હિતાવહ છે,તેનાથી કુમાર્ગગામી થતાં અટકશે.આવા બધા ભય કલ્યાણકારી પણ છે.
કોઇ૫ણ નિર્દોષ પ્રાણીઓની હિંસા ન કરવી,આપણા તન-મન અને વચનથી કોઇપણ દેશ-કાળ-પરિસ્થિતિ વગેરેમાં કોઇપણ પ્રાણીને સહેજપણ દુઃખ ના આપવું,કોઇના ૫ણ વિરૂદ્ધ દુર્ભાવનાપૂર્વક વ્યવહાર ન કરવો,કોઇના ઉ૫ર ૫ણ હુમલો ન કરવો તે અહિંસા છે.અહિંસાનું મૂળ દયા છે અને દયા ઇશ્વરીય ગુણ છે.પરમેશ્વર દયાળુ છે એટલે જીવાત્મા પણ દયાળુ જ હોય.સૌને જીવવાનો અધિકાર છે.ઘણીવાર હિંસાને રોકવા હિંસા કરવી પડતી હોય છે તેને કર્તવ્યહિંસા કહેવાય છે.
સમતા એટલે પક્ષપાત કર્યા વિના સરખો વ્યવહાર કરવો.અલગ-અલગ અનુકૂળ અને પ્રતિકૂળ વસ્તુ વ્યક્તિ,ઘટના,પરિસ્થિતિ વગેરે પ્રાપ્ત થવા છતાં પણ પોતાના અંતઃકરણમાં કોઇ વિષમતા ન આવે તેને સમતા કહે છે.
તુષ્ટિ એટલે તૃપ્તિ.તૃપ્તિ બે પ્રકારની હોય છે.પ્રયત્ન તૃપ્તિ અને પરીણામ તૃપ્તિ.પોતપોતાની ક્ષમતા પ્રમાણે જે પ્રાપ્ત થાય તેમાં તૃપ્ત રહેવું તે દૈવી ગુણ કહેવાય.વધુ આવશ્યકતા હોવાછતાં ઓછું મળે તો તેમાં સંતોષ રાખવો તથા વધુ મળે તેવી ઇચ્છા ના થવી તેને તુષ્ટિ કહે છે એટલે કે ગમે તેવી પરિસ્થિતિ માં પ્રસન્ન રહેવું એ તુષ્ટિ છે.
કોઇ મહત્વનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તપવું તે તપ છે.પોતાના કર્તવ્યનું પાલન કરતાં જે કંઇ કષ્ટ આવે,પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જાય તેને પ્રસન્નતાપૂર્વક સહન કરવી તેને તપ કહે છે.તપવું એ તપ છે.કોઇ મહત્વનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તપવું તે તપ છે.
પ્રત્યુપકાર અને ફળની સહેજ પણ ઇચ્છા ન રાખીને પ્રસન્નતાપૂર્વક પોતાના અધિકારની વસ્તુ,શુદ્ધ કમાઇનો અમુક હિસ્સો સત્પાત્ર-જરૂરતમંદને આપવાનું નામ દાન છે.દાન કરવું એ આપણું કર્તવ્ય છે એવા હેતુથી જે દાન પ્રત્યુપકાર નહિ કરી શકનાર સત્પાત્રને-પુણ્યક્ષેત્રમાં અને પર્વકાળે આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવેછે.દાનના પાંચ પ્રકાર છે.માનવતાલક્ષી,રાષ્ટલક્ષી,સમાજલક્ષી,સંપ્રદાયલક્ષી અને અનિષ્ટલક્ષી. વિદ્યાલયો,અનાથાલયો,વૃદ્ધાશ્રમો,પરબ,અન્નક્ષેત્ર,વિસામા,ધર્મશાળા વગરે માનવતાલક્ષી દાન છે..રાષ્ટહિત માટે કરેલ દાન રાષ્ટલક્ષી દાન કહેવાય છે જેમકે ભામાશાએ કરેલું દાન..પોતાના સમાજ માટે છાત્રાલયો,વાડીઓ,સમુહલગ્નો,શિષ્યવૃત્તિઓ વગેરે સમાજલક્ષી દાન છે..છે..આપણે જ્યારે કોઇ સંકુચિત વાડાને ધર્મ માનીને તેમાં પુરાયા હોઇએ અને પછી તે વાડા પુરતું જ દાન કરીએ તે સંપ્રદાયલક્ષી દાન કહેવાય.આ દાનમાં સંકુચિતતા હોય છે..એવું દાન જેમાં આપણી સંપત્તિ હોમાય પણ તેનાથી કોઇનું ભલું થતું નથી.જેમાં અનાવશ્યક નિર્માણો થાય છે પણ કશો ઉપયોગ થતો નથી આવા વ્યર્થ દાન અનિષ્ટલક્ષી દાન કહેવાય છે.
વ્યક્તિના જીવનની ઉજ્જવળતાને યશ કહે છે.જીવનનાં બે પાસાં છેઃઉજ્જવળતા અને મલિનતા. સત્કર્મોથી ઉજ્જવળતા અને કુકર્મોથી મલિનતા પ્રાપ્ત થાય છે.યશસ્વી જીવનનો આધાર સારો સ્વભાવ છે. સારા સ્વભાવના ત્રણ પાયા છેઃપ્રામાણિકતા-ઉદારતા અને ક્ષમાશીલતા.આ ત્રણના આધારે બીજા બધા ગુણો આવે છે.યશ એ જ જીવનની ધન્યતા છે.મનુષ્યના સારા આચરણો-ભાવો અને ગુણોથી સંસારમાં જે નામની પ્રસિદ્ધિ-પ્રશંસા વગેરે થાય છે તેનું નામ યશ છે.મનુષ્યના ખરાબ આચરણ-ભાવો અને ગુણોથી સંસારમાં જે નામની નિંદા થાય છે તેને અયશ (અપયશ) કહે છે.
ભગવાન કહે છે કે પ્રાણીઓના અલગ-અલગ અને અનેક પ્રકારના ભાવ મારાથી જ થાય છે એટલે કે તમામને સત્તા,સ્ફૂર્તિ,શક્તિ,આધાર અને પ્રકાશ મુજ લોકમહેશ્વરથી જ મળે છે.સંસારમાં જે કંઇ વિહિત તથા નિષિદ્ધ થઇ રહ્યું છે,શુભ-અશુભ બની રહ્યું છે તે તમામ ભગવાનની લીલા છે.આમ જે ભક્ત ભગવાનને તત્વથી જાણી લે છે તેનો ભગવાનમાં અવિચલ યોગ થઇ જાય છે.
અહી પ્રાણીઓના જે વીસ ભાવ બતાવ્યા છે તેમાં બાર ભાવ એક-એક છે અને તે તમામ અંતઃકરણમાં થી ઉત્પન્ન થાય છે તથા ભયની સાથે આવેલ અભય પણ અંતઃકરણમાંથી ઉત્પન્ન થાય છે તથા સાત ભાવ પરસ્પર વિરોધી છે.તેમાં ભવ(ઉત્પત્તિ)-અભાવ,યશ-અપયશ આ ચાર પૂર્વકૃત કર્મોનું ફળ છે અને સુખ-દુખ અને ભય આ ત્રણ મૂર્ખતાનાં ફળ છે.આ મૂર્ખતાને મનુષ્ય દૂર કરી શકે છે.જ્ઞાનની દ્રષ્ટિએ તમામ ભાવ પ્રકૃતિથી થાય છે.ભક્તિની દ્રષ્ટિએ તમામ ભાવ ભગવાનથી થાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)