Surendranagar,તા.19
સુરેન્દ્રનગર મનપામાં સમાવિષ્ટ મુળચંદ ગામમાં પાલિકા તંત્ર દ્વારા એક મહિનાથી પાણીનું વિતરણ નહીં કરતા મહિલાઓની હાલત કફોડી બની છે. મનપાના અધિકારીઓ ફરિયાદ નહીં સાંભળતા હોવાનો આક્ષેપ કરી મહિલાઓએ ગામમાં થાળી, વેલણ લઇ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરી તાકિદે સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે. તેમજ સમસ્યા નહીં ઉકેલાય તો મહિલાઓ મનપા કચેરીમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સુરેન્દ્રનગરની મહાનગરપાલિકા બની શહેરની આજુબાજુમાં આવેલા મુળચંદ સહિત પાંચ ગામનો મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારથી મહાનગરપાલિકા બની છે ત્યારે આ પાંચેય ગામોમાં પાયાની સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે. મૂળચંદ ગામે છેલ્લા ૩૦ દિવસથી પીવાનું પાણી તંત્ર દ્વારા વિતરણ કરવામાં ન આવ્યા હોવાનો મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહિલાઓ રણચંડી બની ગામમાં એકત્રિત થઈ અને થાળી વેલણ વગાડી મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. ચાર હજારની વસ્તી ધારાવતા ગામમાં મહિનાથી પાણીનું વિતરણ નહીં કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ટેન્કરના પૈસા પરવળતા નહીં હોવાથી હાલ મહિલાઓ તળાવમાંથી પાણી ભરી રહી છે. આ તળાવમાં ગાય, ભેંસ સહિતના પશુઓ ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ગ્રામજનોમાં પાણીજન્ય રોગચાળો ફેલાઇ રહ્યો છે.મહિલાએ જણાવ્યું કે અમારૃ ગામ મહાનગરપાલિકા ભળ્યું ત્યાર બાદ પ્રાથમિક સુવિધાના કામો પણ થતાં નથી. પહેલા પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હોય તો સરપંચને રજૂઆત કરતા ત્યારે સમસ્યા હલ થતી હતી. હવે મહાનગરપાલિકાના અધિકારીઓ સાંભળવા તૈયાર નથી.