મૃણાલ વિચારે છે કે હવે તે એવી ફિલ્મો પસંદ કરે છે જે દર્શકો પર અસર કરે અને તેના માટે પડકારરૂપ હોય
Mumbai,, તા.૫
મૃણાલ વિચારે છે કે હવે તે એવી ફિલ્મો પસંદ કરે છે જે દર્શકો પર અસર કરે અને તેના માટે પડકારરૂપ હોય જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સતત રિલીઝ, અનંત જાહેરાતો અને સતત લોકોની નજરમાં રહેવાના રહેવાના દબાણમાં ફસાયેલી છે, ત્યારે મૃણાલ ઠાકુર કહે છે કે તેણે પોતાની રીતે આ ઘોંઘાટથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.મૃણાલે કહ્યું, “એક એક્ટર તરીકે અમને ઘણી સ્ક્રિપ્ટ્સ ઓફર થાય છે, કેટલીક ગમે છે અને તેનો ભાગ બનવાનું મન થાય છે અને કેટલીક એવી હોય છે જે અમને આકર્ષતી નથી. મારા માટે તો આ સ્પષ્ટ રહ્યું છે કે હું માત્ર લોકોની નજરમાં રહેવા માટે ફિલ્મો સાઇન કરવા માગતી નથી.”મૃણાલની આ વર્ષે અત્યાર સુધી બે ફિલ્મો- ‘દો દિવાને સહર મેં’ અને ‘ડકોઈટઃ એ લવ સ્ટોરી’ રિલીઝ થઈ છે. મૃણાલ આગળ કહે છે, “મને ઘણી સારી ફિલ્મો ઓફર થઈ, સુંદર સેટઅપ, મજબૂત ટીમ અને બધું તૈયાર હતું, છતાં મેં ‘ના’ કહી, કારણ કે મને લાગ્યું નહીં કે હું એક્ટર તરીકે તેમાં ખાસ કંઈ યોગદાન આપી શકું. એક પરફોર્મર તરીકે હું શીખવા અને વિકાસ કરવા માગું છું અને પોતાને પડકારવા માગું છું. માત્ર લોકોની નજરમાં રહેવા અને મને પડકારજનક ન લાગે એવી બેક-ટુ-બેક ફિલ્મો કરવાનો કોઈ અર્થ નથી.”મૃણાલ કહે છે કે તેના માટે ક્રિએટિવ સંતોષ દેખાવા કરતાં વધુ મહત્વનો છે. “હું ક્યારેક વર્ષમાં માત્ર એક ફિલ્મ કરવાનું પસંદ કરું છું અને આ ફક્ત બોલિવૂડ માટે જ નહીં, પરંતુ સમગ્ર સિનેમામાં હું આવું જ અનુસરું છું. જ્યારે લોકો થિયેટરમાં આવે છે, ત્યારે હું ઈચ્છું છું કે તેઓ મને સ્ક્રીન પર જોઈને કંઈક અનુભવે. તેઓ પાત્ર સાથે જોડાઈ શકે.”તેની પસંદગીઓમાં આ અસરનું મહત્વ સ્પષ્ટ દેખાય છે. મૃણાલે સમજાવ્યું, “મુદ્દો એ નથી કે હું કેટલી ફિલ્મો કરી રહી છું. મુદ્દો એ છે કે હું એ ફિલ્મમાં શું કરી રહી છું. તમે મને એક સરસ પ્રોજેક્ટ આપો, પણ જો હું તેમાં કંઈ ખાસ કરી રહી નથી, તો તે મને આકર્ષતું નથી. હું ઉતાવળમાં પ્રોજેક્ટ્સ કરવા કરતાં સમય લઈ અને કંઈક અર્થપૂર્ણ કરવાનું પસંદ કરીશ.”

