Ahmedabad,તા.૨૩
ગુજરાત પોલીસ બેડામાં છેલ્લા ૨૪ કલાકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હજારો લોકો માટે આશાનું કિરણ ગણાતા પોલીસકર્મીઓ જ એકપછી એક મોતને વહાલું કરી રહ્યા છે. ગુરુવારે બે પોલીસ જવાનોના આપઘાત બાદ આજે શુક્રવારે ગાંધીનગરના વધુ એક હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.
ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આજે વહેલી સવારે પેથાપુર સ્થિત પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા જ પેથાપુર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે, પરંતુ મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ ન મળી હોવાથી આપઘાત પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી.
આ અગાઉ ભાવનગરના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે પણ આપઘાત કર્યો છે. તેમણે ભુતેશ્વર ગામ પાસે ઓન ડ્યુટી ફરજ દરમિયાન ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ લાંબા સમયથી માનસિક બીમારીની દવા લઈ રહ્યા હતા, જેનાથી કંટાળીને તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોઈ શકે છે. સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.
ગુરુવારે બે અને શુક્રવારે વધુ એક એમ કુલ ૩ પોલીસકર્મીઓના આપઘાતથી અનેક સવાલો ઉભા થયા છે. સામાન્ય જનતાને સુરક્ષા અને હિંમત આપતા પોલીસકર્મીઓ કયા માનસિક દબાણ હેઠળ નાસીપાસ થઈ રહ્યા છે, તે હવે તપાસનો વિષય બન્યો છે.

