તસ્કરોએ બંધ મકાનનો ગેરલાભ ઊઠાવીને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૩.૪૦ લાખની મતાની ચોરી કરી
Ahmedabad, તા.૪
અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા વેપારી ગત મહિને પોતાના પરિવાર સાથે ૯ દિવસ માટે વતન બિહાર ગયા હતા. આ દરમિયાન બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડ્યો હતો અને ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ બંધ મકાનનો ગેરલાભ ઊઠાવીને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૩.૪૦ લાખની મતાની ચોરી કરી હતી. વસ્ત્રાલની શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પાટીલના મોબાઈલ ફોન પર તેમના પાડોશી મુન્નાભાઈ પાંડેનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, તેઓ પરિવારના તમામ સભ્યો સાથે બિહાર પોતાના વતને ગયા છે અને તેમના ઘરનો દરવાજો ખુલ્લો જણાય છે. આથી પાડોશી દિલીપભાઈ તથા સોસાયટીના અન્ય સભ્યો એકઠા થઈને મુન્નાભાઈના મકાને તપાસ કરવા ગયા હતા. ત્યાં તેમને માલૂમ પડ્યું કે મુન્નાભાઈના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો છે અને ઘરની અંદરનો સરસામાન જમીન પર અસ્તવ્યસ્ત હાલતમાં પડ્યો છે. આ ઉપરાંત ઘરના રસોડાની બાજુના રૂમમાં રહેલી તિજોરી પણ ખુલ્લી હતી.બીજી તરફ, મકાન માલિક મુન્નાભાઈને વતનેથી ઘરે પરત ફરતા હજુ થોડા દિવસ લાગે તેમ હોવાથી તેમના જણાવ્યા મુજબ પાડોશી દિલીપભાઈએ પોલીસને જાણ કરી હતી. આથી રામોલ પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તસ્કરોએ મુન્નાભાઈના ઘરમાં ગત ૨૩ એપ્રિલથી ૨ મે સુધીના સમયમાં ચોરી કરીને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૩.૪૦ લાખની મતાની ચોરી કરી હતી.શટરનું લોક કે બારીના કાચ તોડ્યા વિના કારખાનામાં પ્રવેશ કરી ૧.૫૪ લાખના લેડીઝ ડ્રેસની ચોરી કરીરખિયાલમાં ચોરીનો એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લેડીઝ ડ્રેસને સ્ટીમપ્રેસ કરતા વેપારીના કારખાનામાં રહેલા ૨૨૦ નંગ લેડીઝ ડ્રેસની ચોરી થઈ હોવાની ઘટના બની છે. નવાઈની વાત એ છે કે તસ્કરોએ કારખાનાનું શટર કે બારી તોડ્યા વિના જ અંદર પ્રવેશ કર્યો હતો અને રૂ. ૧.૫૪ લાખની કિંમતના લેડીઝ ડ્રેસની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે કારખાનાના માલિકે ત્યાં કામ કરતા છ કારીગરોની પણ પૂછપરછ કરી હતી, પરંતુ કામ પૂરું થયા બાદ કોઈપણ કારીગર કારખાને પરત આવ્યા ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

