Mumbai,તા.23
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તમામ કેપ્ટન ભારતીય છે, જે સ્થાનિક ખેલાડીઓ પર વિશ્વાસ દર્શાવે છે. જ્યારે પાકિસ્તાન સુપર લીગમાં વિદેશી ખેલાડીઓને પણ કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.
પાકિસ્તાની સુપર લીગમાં મોટાભાગનાં કેપ્ટન એવા છે, જે તાજેતરમાં ખરાબ ફોર્મમાંથી પસાર થયા છે. બાબર આઝમથી લઈને શાહીન શાહ આફ્રિદી અને શાદાબ ખાન સુધી બધા જ તાજેતરમાં ફ્લોપ રહ્યાં છે.
દુનિયાની સૌથી મોટી ટી-20 લીગ આઈપીએલનો પ્રારંભ 28 માર્ચથી થવાનો છે. જ્યારે તે પહેલાં 26 માર્ચથી પીએસએલની પણ શરૂઆત થશે. ફેન્સ આ વાતથી આશ્ચર્યમાં છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે માર્ચથી મે સુધીનો સમય આઈપીએલ માટે આપ્યો છે જેથી વિદેશી ખેલાડીઓ સરળતાથી ભાગ લઈ શકે, ત્યારે પાકિસ્તાને આ જ સમય દરમિયાન પીએસએલ રાખવાનો નિર્ણય કેવી રીતે લીધો.
આનું કારણ એ છે કે વિશ્વનાં મોટા સ્ટાર ખેલાડીઓ આઈપીએલમાં રમે છે, જ્યારે પીએસએલમાં મોટાભાગે એવા ખેલાડીઓ હોય છે, જે આઈપીએલમાં વેચાયાં નથી, અથવા નિવૃત્ત થઈ ગયા છે, અથવા ફોર્મમાં નથી.
પાકિસ્તાન પાસે કેપ્ટન તરીકે પણ એવા ખેલાડીઓ છે, જે નિવૃત્ત છે અથવા પોતાનાં દેશ માટે ટી-20માં સારું પ્રદર્શન નથી કરી રહ્યાં. ચાલો હવે આઈપીએલ અને પીએસએલમાં કેપ્ટનોની તુલના કરીએ…
આઈપીએલમાં સંપૂર્ણ ભારતીય અને મજબૂત નેતૃત્વ
આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓએ આ વખતે સ્થાનિક ખેલાડીઓ પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો છે. તમામ ટીમોએ ભારતીય કેપ્ટન પસંદ કર્યા છે, જે દર્શાવે છે કે ભારતમાં નેતૃત્વની નવી પેઢી તૈયાર થઈ ગઈ છે.
આઈપીએલમાં હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને ઋષભ પંત જેવા યુવા અને અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ મૂકાયો છે. શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ અને અક્ષર પટેલ પોતાની ટીમોને લીડ કરી રહ્યાં છે અને યુવા કેપ્ટનોની આ યાદી ખૂબ મજબૂત લાગે છે.
હાર્દિક, અક્ષર અને ઈશાન તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યાં હતાં. ગિલ અને ઋતુરાજની ટી-20 આંતરરાષ્ટ્રીયમાં એક-એક સદી છે. શ્રેયસ વનડેમાં ખતરનાક બેટ્સમેન માનવામાં આવે છે અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં તેમનો સરેરાશ 30થી વધુ અને સ્ટ્રાઈક રેટ 136 થી વધુ છે. પંત 2024 ના ટી-20 વર્લ્ડ કપ અને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમનો ભાગ રહ્યાં છે.
ઈશાન કિશન
ઈશાન કિશન સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટેન્ડ-ઇન કેપ્ટન બનાવાયા છે, કારણ કે નિયમિત કેપ્ટન પેટ કમિન્સ ઈજાગ્રસ્ત છે. તેમને 11.25 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યાં છે. તેઓ આઈપીએલમાં કેપ્ટન બનનારા આઠમાં વિકેટકીપર બેટ્સમેન છે. તેમનાં પહેલાં મહેન્દ્ર સિંહ ધોની, એડમ ગિલક્રિસ્ટ, કુમાર સંગાકારા, સંજુ સેમસન, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક અને જીતેશ શર્મા છે.
હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશિપ કરશે. ટીમ મેનેજમેન્ટે તેમને 16.35 કરોડ રૂપિયામાં ખરીદીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
શુભમન ગિલ
શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સની કમાન સંભાળશે. તેમને 16.5 કરોડમાં ખરીદવામાં આવ્યાં છે અને તેઓ ટીમનાં ભવિષ્યના લીડર માનવામાં આવે છે.
શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સના કેપ્ટન રહેશે. ફ્રેન્ચાઇઝીએ તેમને 26.75 કરોડ રૂપિયામાં ખરીદીને મોટો વિશ્વાસ બતાવ્યો છે.
રજત પાટીદાર
રજત પાટીદાર રોયલ ચેલેન્જર્સ બેંગલુની કેપ્ટનશિપ કરશે અને ટીમને ખિતાબ બચાવવાનો પડકાર રહેશે. તેમને 11 કરોડ રૂપિયા મળ્યાં છે.
ઋતુરાજ ગાયકવાડ
ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ સુપર કિંગ્સની આગેવાની કરશે. 18 કરોડ રૂપિયામાં રિટેન થયેલાં ગાયકવાડ પર ટીમને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાની જવાબદારી છે.
રિયાન પરાગ
રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સના નવા કેપ્ટન છે. સંજુ સેમસનના જતાં તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેમને 14 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.
અક્ષર પટેલ
અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરશે. ઓલરાઉન્ડર તરીકે તેમનો અનુભવ ટીમ માટે ખૂબ મહત્વનો રહેશે. તેમને 16.5 કરોડમાં રિટેન કરવામાં આવ્યાં છે.
અજિંક્ય રહાણે
અજિંક્ય રહાણે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન બનાવાયાં છે. અનુભવી બેટ્સમેનને 1.5 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.
ઋષભ પંત
ઋષભ પંત લખનૌ સુપર જાયન્ટ્સની કમાન સંભાળશે. 27 કરોડ રૂપિયામાં તેઓ આ સીઝનના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ છે.
પીએસએલમાં વિદેશી ખેલાડીઓ પર ભરોસો
બીજી તરફ પીએસએલમાં કેપ્ટનશિપનું ચિત્ર અલગ છે. અહીં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા સ્થાનિક ખેલાડીઓ સાથે સાથે ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશેન જેવા વિદેશી ખેલાડીઓને પણ ટીમની કમાન સોંપવામાં આવી છે. આ દર્શાવે છે કે પીએસએલ ફ્રેન્ચાઇઝીઓ આંતરરાષ્ટ્રીય અનુભવને કેપ્ટનશિપમાં મહત્વ આપે છે.
આ ઉપરાંત સઉદ શકીલ, શાદાબ ખાન અને શાહીન આફ્રિદી પણ અલગ-અલગ ટીમોની કમાન સંભાળશે. જેમાંથી લાબુશેન અને એશ્ટન ટર્નર પીએસએલમાં પ્રથમ વખત કેપ્ટનશિપ કરી રહ્યાં છે. લાબુશેને તો અત્યાર સુધી ટી-20માં કેપ્ટનશિપ પણ કરી નથી.
વ્યૂહરચના અને વિચારમાં ફરક
ભારતમાં કેપ્ટન તરીકે મોટાભાગે તે ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યાં છે, જેઓ ટી-20માં સારા અથવા મોટા રેકોર્ડ ધરાવે છે. જ્યારે પીએસએલમાં પરિસ્થિતિ તેનો સંપૂર્ણ વિપરીત છે.
ડેવિડ વોર્નર નિવૃત્ત થઈ ચૂક્યાં છે. લાબુશેને અત્યાર સુધી માત્ર એક ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે અને તે ઓસ્ટ્રેલિયાની ટી-20 ટીમનો ભાગ પણ નથી. એશ્ટન ટર્નર કોઈ પણ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ નથી.
બાબર આઝમનો ટી-20માં ખૂબ ખરાબ ફોર્મ રહ્યો છે અને તેમને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. શાદાબ ખાનની સ્થિતિ પણ આવી જ છે. શાહીનને પણ ટી-20 વર્લ્ડ કપમાં ભારે માર પડ્યો હતો. સઉદ શકીલ પાકિસ્તાની ટી-20 ટીમનો ભાગ નથી અને તેમણે ક્યારેય ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.

