Rajkotતા.13
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બપોરે રાજકોટના મહેમાન બનશે. રાજકોટ એઈમ્સ ખાતે યોજાનાર દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહીને મેડીકલ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરશે.
રાષ્ટ્રપતિ આજથી ચાર દિવસની ગુજરાત-મહારાષ્ટ્રની મુલાકાતે રહેશે. ગુજરાતના રાજકોટથી પ્રવાસની શરૂઆત કરશે. આવતીકાલે ગાંધીનગરમાં આંબેડકર જન્મજયંતિ નિમિતે લોકભવન ખાતે સામાજીક સમરસતા મહોત્સવમાં હાજરી આપશે. ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદ્વીદાન સમારોહમાં ઉપસ્થિત થશે. 15 અને 16મીએ મહારાષ્ટ્રમાં કાર્યક્રમોમાં હાજરી આપશે.
એઈમ્સ રાજકોટ ખાતે તેનો પહેલો દીક્ષાંત સમારોહ યોજશે, જે દરમિયાન 2020માં જોડાયેલા એમબીબીએસ વિદ્યાર્થીઓની પ્રથમ બેચને તેમની ડિગ્રી એનાયત કરવામાં આવશે.
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને દીક્ષાંત સંબોધન કરશે. રાષ્ટ્રપતિ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મેડલ અને સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો પણ એનાયત કરશે.
આ સમારોહમાં ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ અને ગુજરાતના રાજયમંત્રી (સ્વતંત્ર હવાલો) આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ પ્રફુલ પાનશેરિયા અને રાજય, સ્થાનિક વહીવટ અને અગ્રણી સંસ્થાઓના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં રાષ્ટ્રીય મહત્વની સંસ્થામાં પ્રથમ દીક્ષાંત સમારોહની તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી છે.
ઓગણપચાસ વિદ્યાર્થીઓને એમબીબીએસ ડીગ્રી અને એક વિદ્યાર્થીને વાયરોલોજીમાં પોસ્ટ ડોકટરલ સર્ટિફીકેટ એનાયત કરવામાં આવશે. વધુમાં, એમબીબીએસના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શનને માન્યતા આપવા માટે 10 મેડલ એનાયત કરવામાં આવશે, જેમાં 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
આ સમારોહમાં આશરે સાતસો ઉપસ્થિતો હાજર રહે તેવી અપેક્ષા છે, જેમાં સ્નાતકો, તેમના માતાપિતા, ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ અને આમંત્રીત મહાનુભાવોનો સમાવેશ થાય છે. 2019માં રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે સ્થાપિત એઈમ્સ રાજકોટનો ઉદેશ્ય ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળ ગુણવતાયુક્ત તબીબી શિક્ષણ, સંશોધન અને તૃતીય સ્તરની આરોગ્યસંભાળની સમાન પહોંચને મજબૂત બનાવવાનો છે.
સંસ્થાએ શિક્ષણમાં અનેક નવીનતાઓ રજુ કરી છે અને સ્થાનિક અને રાષ્ટ્રીય જરૂરિયાતોને અનુરૂપ અનેક સંશોધન પ્રોજેકટસ હાથ ધરી રહી છે. તે પ્રદેશમાં આરોગ્ય સંભાળ વિતરણ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને આગળ વધારવામાં તેની ભૂમિકાને સતત મજબૂત કરી રહી છે.
આ દીક્ષાંત સમારોહ એક મુખ્ય સંસ્થાકીય સીમાચિહનરૂપ છે, જે શૈક્ષણિક કાર્યક્રમોની સફળ પ્રગતિને પ્રતિબિંબીત કરે છે અને તબીબી શિક્ષણ, સંશોધન અને દર્દી સંભાળના ઉચ્ચતમ ધોરણો પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપે છે.

