Morbi તા.24
મોરબીની પીપળીયા ચોકડીથી માળીયા(મિં.) તરફ જતા રસ્તે ગત મોડી રાત્રે ગંભીર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઓટો રિક્ષામાં બેસીને આઠ લોકો જામનગરથી કચ્છના નલિયા તરફ જઈ રહ્યા હતા.
ત્યારે મોરબીની પીપળીયા ચોકડી નજીક સામેથી આવેલ બેકાબુ છોટા હાથી વાહનના ચાલકે તેઓની રીક્ષાને હડફેટે લેતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી.આ બનાવમાં એક મહિલાનું મોત નિપજેલ છે.અને બે બાળકોનો ઇજા થતા સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના રહેવાસી શૈલેષભાઈ દામા, તેમના પત્ની પૂજાબેન શૈલેષભાઈ દામા (ઉમર 33), તેઓની દીકરી રિદ્ધિ શૈલેષભાઈ દામા (ઉમર 9) રહે.ત્રણેય જામનગર તેમજ શૈલેષભાઈના રાજકોટ રહેતા બેનના પરિવારજનો મળીને ત્રણ બાળકો અને પાંચ મોટા લોકો એમ આઠ લોકો ઓટો રીક્ષામાં બેસીને જામનગરથી કચ્છ જિલ્લાના નલીયા પાસે આવેલા ગ્રામ્ય વિસ્તારમાં માતાજીના નિવેદ હોય ત્યાં જવા માટે નીકળ્યા હતા.
દરમિયાનમાં તેઓ જામનગરથી મોરબીની પીપળીયા ચોકડી થઈને માળિયા(મિં.) થઈને કચ્છ તરફ જતા હતા.તે દરમિયાન ગત રાત્રીના અઢી વાગ્યે પીપળીયા ચોકડીથી પંદકેક કિલોમીટર માળિયા તરફ તેઓની ઓટો રીક્ષાને સામેથી પુરપાટ આવેલ છોટાહાથીના ચાલકે હડફેટે લીધી હતી.
જેમાં ઓટો રીક્ષા પલ્ટી મારી જતા રિક્ષામાં સવાર પૈકીના પૂજાબેન શૈલેષભાઈ દામા (કચ્છી ભાનુશાળી) નામની જામનગરની 33 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.જેથી તેમના ડેડબોડીને અત્રેની સિવિલે લાવવામાં આવ્યું હતું.
જ્યારે રિક્ષામાં સવાર પૈકીના મંથન દીપકભાઈ ભદ્રા (ઉમર 10) રહે.રાજકોટ તેમજ રીધ્ધી શૈલેષભાઈ દામા (ઉંમર 9) રહે.જામનગર નામના બે બાળકોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી હોય તેઓને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
બનાવને પગલે હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના આર.આર..મિયાત્રા દ્વારા પહોંચીને તપાસ કરવામાં આવી હતી.ભોગ બનેલ પરિવારના શૈલેષભાઈ (રહે.જામનગર) સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ કચ્છી ભાનુશાળી હોય અને મૂળ કચ્છના વતની હોય કચ્છના નલિયા પાસે આવેલા ઉછીયા ગામે માતાજીના મંદિરે નિવેદ હતા ત્યાં જતા હતા ત્યારે ગતરાત્રિના 2ઃ30 વાગ્યાના અરસામાં ઉપરોક્ત અકસ્માત બનાવ બન્યો હતો.હાલ માળીયા પોલીસ દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.અકસ્માત બાદ હીટ એન્ડ રન સજીર્ને ભાગી છુટેલા છોટાહાથીના ચાલકને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે.
મારામારીમાં ઈજા
મોરબીના માળીયા હાઇવે નેક્સસ સિનેમાની સામે ધુતારી પાસે રહેતા દીપકભાઈ સુરેશભાઈ આંત્રેસા નામના 37 વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ થકના બી.કે.દેથા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા સવિતાબેન છગનભાઈ નામના 44 વર્ષીય મહિલાને પણ મારામારીના બનાવમાં ઇજાઓ થતા દવાખાને સારવારમાં લાવવામાં આવ્યા હતા. જેથી સ્ટાફના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માત
મોરબીના સામાકાંઠે ધરમપુર ગામે રહેતા વિજયભાઈ બાબુભાઈ વેસડા નામનો 16 વર્ષનો યુવાનને બાઈક લઈને જતો હતો.ત્યારે ધરમપુર સાદુરકા ના રસ્તે બાઈક સ્લીપ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના શનાળા રોડ ખાતે રહેતા પ્રકાશભાઈ પ્રવીણભાઈ ભોરણીયા નામનો 30 વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ખોખરા હનુમાન રોડ બેલા ખાતે ખડ બાળવાની દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે અહિંની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોસીસ મથકના ફિરોઝભાઇ સુમરા દ્વારા નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.

