Gondal તા.27
ગોંડલ સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણીઓ માં ગત વર્ષ કરતા તાલુકા પંચાયત તથા નગરપાલિકા માં 10% ઘટાડો નોંધાયો છે. નગરપાલિકા માં 48.51 % તથા તાલુકા પંચાયત માં 46.31% મતદાન નોંધાયુ છે.આકરા તાપને કારણે મતદાતાઓની નિરસતા મતદાન ઉપર અસરકર્તા બની હતી.
નગરપાલિકા ની ચૂંટણીમાં ભાજપે પહેલાથી જ કુલ 44 બેઠકો માંથી 20 બેઠકો ઉપર બિન હરીફ જીત મેળવી લીધી છે ત્યારે 24 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં 48.51 % મતદાન નોંધાયું હતું કુલ 52826 મતદારો માંથી 25626 મતદારો એ મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો જેમાં 14061 પુરુષો 11025 સ્ત્રીઓ એ મતદાન કર્યું હતું વોર્ડ નંબર 4 માં 64.43% સૌથી વધુ મતદાન થયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 7માં 36% મતદાન થયું હતું. ગતવર્ષ 2021ની ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન 58% મતદાન થયું હતું. જેની સરખામણી માં આ વખતે 10% મતદાન ઓછુ થયુ છે.
એવી જ રીતે તાલુકા પંચાયત ની 22 બેઠકો માંથી એક બેઠક બિન હરીફ થઈ હોય 21 માટે યોજાયેલ ચૂંટણીમાં 46.31% મતદાન નોંધાયું હતું કુલ 132036 મતદારોમાંથી 61152 મતદારો એ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો .
જેમાં 35709 પુરુષો 25443 સ્ત્રીઓએ મતદાન કર્યું હતું દડવા હમીર પર બેઠકનું સૌથી વધુ 63.40 % મતદાન નોંધાયું હતું જ્યારે ત્રાકુડા બેઠકનું 36.15 % સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. ગતવર્ષ 2021માં યોજાયેલી ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 22 બેઠકો માટે 65% મતદાન થયું હતું.જેની સરખામણીએ આ વખતે 10% ઓછુ મતદાન થયુ છે.
ગોંડલનાં લીલાખા ગામે ભાજપ અને આપ નાં કાર્યકરો વચ્ચે બઘડાટી બોલી
ગોંડલ નાં લીલાખા ગામે મતદાન પુર્ણ થવાનાં કલાક પહેલાં મતદાન મથક બહાર ભાજપ તથા આપનાં કાર્યકરો વચ્ચે ઉગ્ર માથાકુટ સર્જાઇ હતી. અને બન્ને જુથ આમને સામને આવી ગયા હતા.
બનાવ અંગે લીલાખા નાં વતની જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્યું કે આપ નાં ઉમેદવાર મેહુલ આસોદરીયા કેટલાક મતદાર દારુ પીને ખેલ કરેછે.તેવા આક્ષેપ સાથે મતદારોને મતદાન કરતા રોકવા પ્રયાસ કરતા હોય ભાજપનાં કાર્યકરો ઉશ્કેરાયા હતા.અને સામસામી બોલાચાલી સાથે માથાકુટ થઈ હતી.પોતે ત્યાં હાજર હોય દોડી જઇ દરમ્યાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો.
બીજી બાજુ આપ નાં નેતા જીગીશા પટેલે કહ્યુ કે આપનાં તાલુકા પંચાયતની બેઠક નાં ઉમેદવાર મેહુલભાઈનાં માતા તથા બહેન બુથ ઉપર એજન્ટ તરીકે બેઠા હતા.ત્યારે ધસી આવેલા ભાજપ નાં કાર્યકરોએ બોગસ મતદાન કરવાનો પ્રયત્ન કરતા અને મેહુલભાઈ દ્વારા તેમને રોકતા ઉશ્કેરાઈ જઈ માથાકુટ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ નાં લોકોએ દાદાગીરી કરી પચાસ મત બોગસ નાખ્યા હતાં.

