અમદાવાદમાં મતગણતરી માટે ગુજરાત કોલેજ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
Ahmedabad,તા.૨૭
રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સાથે ૧૧ નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે ૨૬મી એપ્રિલના રોજ મતદાન થયું હતું. જેમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. હવે આવતીકાલે એટલે ૨૮મી એપ્રિલના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.મતગણતરીને ધ્યાનમાં રાખી મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા સધન બનાવવામાં આવી છે
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવશે. શહેરના ૨૧ વોર્ડના ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મતગણતરી માટે શહેરની ગુજરાત કોલેજ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે થ્રી-લેયર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રથમ સ્તરે એસઆરપીના જવાનો, બીજા સ્તરે સ્થાનિક પોલીસ અને ત્રીજા સ્તરે હથિયારધારી પોલીસ જવાનો તૈનાત રહેશે. કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિને સેન્ટરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતાને જોતા, સમગ્ર મતગણતરી સેન્ટર પર નજર રાખવા માટે એક સ્પેશિયલ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. અહીંથી સીસીટીવી કેમેરા દ્વારા દરેક હલચલ પર નજર રાખવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થામાં જોઈન્ટ સીપી ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. અંદાજે ૬૦૦થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહી કાયદો અને વ્યવસ્થા જાળવશે.
આ અંગે ડીસીપી ઝોન ૭, શિવમ વર્માએ જણાવ્યું છે કે, આવતીકાલે ગુજરાત કોલેજમાં ૨૧ વોર્ડની મતગણતરી છે. અહીંયા ઇલેક્શન કમિશ્નરની ગાઈડ લાઈન પ્રમાણે ત્રણ લેયરમાં સિક્યોરિટી ગોઠવાયેલી છે.એસઆરપી લોકલ પોલીસ, હથિયારી પોલીસ અને સિવિલ પોલીસ બંદોબસ્તમાં હાજર છે. કાલે સવારથી મતગણતરીમાં પૂર્ણ તૈયારીઓ છે. મતગણતરી સેન્ટરમાં એક કંટ્રોલ રૂમ પણ રહેશે જેથી આખા કમ્પાઉન્ડની સિક્યોરિટી પર નજર રાખવામાં આવશે. બંદોબસ્તની તમામ લેયર પર સુરક્ષા હેતુ માટે બોડી સ્કેનર લગાવેલ રાખેલા છે. જેસીપી, ડીસીપી, એસીપી અને પીઆઇથી સ્તરના ૬૦૦ જેટલા પોલીસ કર્મીઓ હાજર રહેશે
આપને જણાવીએ કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ૪૬.૩૫ ટકા મતદાન થયું હતું, જે ગત ચૂંટણી કરતા ૩.૮૪ ટકા જેટલું વધુ છે. મતદાનની ટકાવારીમાં તોતિંગ વધારો થયો હતો. પરંતુ મત આપનારા મતદારોની સંખ્યા ગત ચૂંટણી કરતા ઓછી થઈ હોવાનું જાણવા મળે છે.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૫૧.૮૧ ટકા મતદાન નોંધાયું છે. આંકડા પ્રમાણે, મુસ્લિમ બાહુલ્ય ધરાવતા અન્ય વોર્ડમાં પણ મોટા પ્રમાણમાં મતદાન નોંધાયું છે. અમદાવાદના ૪૮ વોર્ડ પૈકીના ગોમતીપુર વોર્ડમાં સૌથી વધુ ૭૦.૪૩ ટકા મતદાન સૌથી વધુ મતદાન નોંધાયું છે. બીજા નંબરે બહેરામપુરા વોર્ડમાં ૬૭.૯૫ ટકા મતદાન નોંધાયું છે. તો ત્રીજા નંબરે દરિયાપુર વોર્ડમાં ૬૬.૬૮ ટકા મતદાન નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં પોશ કહેતા નવરંગપુરા વોર્ડમાં સૌથી ઓછું ૪૧.૩૧ ટકા મતદાન નોંધાયું છે.
અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં મુસ્લિમ બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં જંગી મતદાન નોંધાયું છે, જે ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર લાવી શકે છે. ભાજપના ઓછા પ્રભુત્વવાળી એવી બેઠકો ગોમતીપુર, મકતમપુરા, બહેરામપુરા, દરીયાપુર, શાહપુર, જમાલપુર, ખાડીયા અને લાંભામાં ૬૦ ટકાથી વધુ મતદાન થયું છે. જે અમદાવાદ પાલિકાની ચૂંટણીમાં મોટા બદલાવ લાવી શકે છે.
રાજ્યની નગરપાલિકાઓમાં ૫૯.૦૫ ટકા મતદાન થયું હતું. રાજ્યની જિલ્લા પંચાયતમાં સરેરાશ ૬૬.૬૮ ટકા મતદાન થયું હતું. રાજ્યની તાલુકા પંચાયતમાં સરેરાશ ૬૬.૮૪ ટકા મતદાન થયું હતું. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૧૨૦ બેઠકો માટે ૫૯.૩૨ ટકા મતદાન નોંધાયું
ગુજરાતની રાજનીતિમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સત્તાનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે. નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે જિલ્લા અને તાલુકા પંચાયત અહીંના પરિણામો જ મોટા રાજકીય સંકેતો આપતા આવ્યા છે. એટલે જ આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. કારણ કે જે પક્ષ અહીં મજબૂત દેખાશે. તે માટે વર્ષ ૨૦૨૭નો રસ્તો સરળ બની શકે છે.
ભાજપ માટે આ ચૂંટણી સૌથી મોટો લીડરશીપ ટેસ્ટ છે. કારણ કે પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની આ પહેલી ચૂંટણી છે. ગત વખતે સી.આર. પાટીલના નેતૃત્વમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. હવે વિશ્વકર્મા સામે એ જ પ્રદર્શન દોહરાવવાનો પડકાર છે. જો ભાજપ ફરી એકવાર બંપર જીત મેળવે છે, તો જગદીશ વિશ્વકર્માનું રાજકીય કદાવરપણું વધી શકે છે. પરંતુ જો પરિણામ અપેક્ષા મુજબ ન આવે, તો સવાલો પણ ઊભા થઈ શકે છે.
બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માટે પણ આ ચૂંટણી અગ્નિપરીક્ષા સમાન છે. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેમની આ પહેલી ચૂંટણી છે. ગુજરાતમાં એક મજબૂત અને આક્રમક ચહેરા તરીકે ઉભરી આવેલા હર્ષ સંઘવી માટે પણ જીતનું દબાણ છે. જો ભાજપને ભવ્ય જીત મળે છે, તો હર્ષ સંઘવીનું રાજકીય વજન વધુ વધી શકે છે. પરંતુ જો કારમી હાર થાય છે, તો તેની અસર સીધી નેતૃત્વ પર પડી શકે છે.
કોંગ્રેસ માટે આ ચૂંટણી વાપસીનો મોકો છે. સ્થાનિક સ્તરે ફરી પોતાની પકડ સાબિત કરવાની તક છે. જો કોંગ્રેસ સારો દેખાવ કરે છે, તો ૨૦૨૭ પહેલા સંગઠનમાં નવી જાન આવી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી અસ્તિત્વની લડાઈ છે. વિધાનસભા બાદ ગુજરાતમાં પોતાનું સ્થાન જાળવી રાખવું આપ માટે જરૂરી બની ગયું છે. એક તરફ ભાજપને પોતાનો દબદબો જાળવવાનો પડકાર. તો બીજી તરફ કોંગ્રેસની વાપસીની આશા અને ત્રીજી તરફ આપઁનું અસ્તિત્વ બચાવવાનો સંઘર્ષ રહેશે હવે જોવાનું રહ્યું કે, કોણ કરશે કમાલ? કોને મળશે જનતાનો જનાદેશ અને કોના તરફી છે ૨૦૨૭ની હવા? જવાબ હવે પરિણામના દિવસે મળશે.

