Rajkot, તા.15
રાજકોટના 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલ ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતા ફરિયાદી હરેશભાઈ શામજીભાઈ મારવિયાએ તેમના મીત્ર આરોપી મેહુલભાઈ મોહનભાઈ કથીરીયા (રહે.ગામ-બાઘલા, તા: લાલપુર)ને મિત્રતાના નાતે ઉછીના પેટે રોકડા રૂા. 12 લાખ મદદ માટે આપેલા હતા.
જે રકમ પરત આપવા આરોપીએ તેમના ખાતા વાળી બેંકના બે ચેક આપેલા હતા. જે બંન્ને ચેક ફરીયાદીએ તેમની બેંકમાં ડિપોઝીટ કરતા બંન્ને ચેક બિન ચુકતે પરત ફરતા ફરીયાદી એ તેમના વકીલ મારફત રાજકોટની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 હેઠળ ફરીયાદ દાખલ કરેલી હતી. જે કેસમાં આરોપીએ ચાલતા કેસે રૂા. 7,57,500/- ચુકવી આપેલા હતા અને ત્યાર બાદ બાકી રહેતી રકમ રૂા. 4,42,500/- ન ચુકવતા કેસ આગળ ચલાવેલ હતો.
જે કેસ ચાલી જતા રાજકોટની કોર્ટે આરોપી મેહુલભાઈ કથીરિયા ને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 હેઠળ તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ છે. જેમાં આરોપી 1 વર્ષની સાદી કેદની સજા અને રૂા.8 લાખ વળતર પેટે 30 દિવસમાં ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ અતુલ સી. ફળદુ અજય કે.જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયેલ હતા.

