Jamnagar તા.28
Jamnagar શહેરમાં વ્યાજખોરી, છેતરપિંડી અને દબાણપૂર્વક મિલકત કબજે કરવાની કોશિશનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. શહેરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં એક મહિલાએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે ભારે ચકચાર મચી છે.
ફરિયાદી રશ્મીબેન ભીખુભાઈ ટાકોદરા (રહે.મેહુલનગર સીદ્ધીપાર્ક સોસાયટી, જામનગર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના મકાન ઉપર પંજાબ નેશનલ બેન્કની આશરે 27 લાખ રૂપિયાની લોન ચાલતી હતી. આર્થિક સંજોગોને કારણે લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી સર્જાતા તેમના પતિના મિત્ર મારફતે ઘનશ્યામભાઈ મોહનભાઈ પટેલ નામના શખ્સ સાથે ઓળખાણ થઈ હતી.
ફરિયાદ મુજબ આરોપી ઘનશ્યામભાઈ પટેલે 5 લાખ રૂપિયાની જરૂરિયાત સામે મકાનનું વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવવાની અને દર મહિને 3 ટકા વ્યાજ ચૂકવવાની શરત મૂકી હતી. ત્યારબાદ અલગ અલગ હપ્તામાં કુલ રૂ.4.75 લાખ આપ્યા હતા. સામે પક્ષે ફરિયાદી પાસેથી મકાનના દસ્તાવેજો ઉપરાંત એસ.બી.આઈ. બેન્કના પાંચ કોરા સહીવાળા ચેક લઈ લેવામાં આવ્યા હતા.
આરોપીએ બાદમાં ફરિયાદીના નામે ઈકવીટાસ બેન્કમાં ખાતું ખોલાવી તેમાં પોતાનો મોબાઇલ નંબર અને ઈ-મેઈલ આઈડી નાખી એ.ટી.એમ. કાર્ડ, ચેકબુક અને અન્ય દસ્તાવેજો પોતાના કબજામાં રાખ્યા હોવાનું રિયાદમાં જણાવાયું છે. ફરિયાદી મુજબ આ ખાતામાંથી આશરે 15 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ કરવામાં આવ્યું હતું.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી વ્યાજની રકમ વધારી પાંચ ટકા સુધી માંગવા લાગ્યો હતો. દંપતી વ્યાજ ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી આરોપીએ તેમના નામે અઢી-અઢી લાખ રૂપિયાની વીમા પોલિસી ઉતરાવવાનું દબાણ કર્યું હતું. આરોપીએ એક વર્ષ બાદ બંનેને મૃત જાહેર કરી વીમાની રકમ મેળવવાની અને તેમાંનો ભાગ આપવાની વાત કરતા ફરિયાદીને શંકા જતા તેમણે વીમા પોલિસી કરાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ આરોપીએ વધુ એક લાખ રૂપિયાની માંગણી કરી ચેક બાઉન્સ કરવાની ધમકી આપી હતી. ફરિયાદી દંપતીએ સખી મંડળમાંથી લોન લઈને રોકડા રૂપિયા આપ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
તાજેતરમાં સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયેલા ફરિયાદી દંપતીને આરોપીએ જાહેરમાં ધમકી આપી હતી કે રૂપિયા નહીં આપે તો કોરા ચેક અને દસ્તાવેજોના આધારે મકાન કબજે કરી લેશે. એટલું જ નહીં, મહિલાનો હાથ પકડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે આરોપી પાસે નાણાં ધિરાણ કરવાનો કોઈ કાયદેસર પરવાનો નથી છતાં વ્યાજખોરી ચલાવવામાં આવી રહી હતી. ફરિયાદી સાથે આવેલા અન્ય એક વ્યક્તિએ પણ આરોપી સામે 10 ટકા સુધી વ્યાજ વસૂલતા હોવાના આક્ષેપો કર્યા છે. આ સમગ્ર મામલે જામનગર સીટી ‘સી’ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

