Vadodara,તા.૫
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર પંથકને શોકમગ્ન બનાવી દીધું છે. નદીમાં નાહવા ગયેલા પાંચ યુવકોમાંથી ત્રણ યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી એક યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો, જ્યારે બે પિતરાઈ ભાઈઓના કરુણ મોત નિપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર, રબારી સમાજના પાંચ યુવકો રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. નદીના ઊંડા પાણી અને તેજ પ્રવાહના કારણે ત્રણ યુવકો અચાનક ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી એક યુવકને બચાવી લીધો હતો, પરંતુ અન્ય બે યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી હાથ ધરાયેલી શોધખોળ દરમિયાન લગભગ ત્રણ કલાકની જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ સાગર પીરાભાઈ રબારી (૨૫) અને જયરામ બિજલાજી રબારી (૧૫) તરીકે થઈ છે. બંને પિતરાઈ ભાઈઓ મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારના રહેવાસી હતા અને હાલ વડોદરા જિલ્લાના કરમાલ ગામમાં રહેતા હતા.
આ દુર્ઘટનાનો સૌથી કરુણ પાસો એ છે કે સાગર રબારી માત્ર ૧૫ દિવસ પહેલા જ પિતા બન્યો હતો. તેની પત્નીએ તાજેતરમાં પુત્રને જન્મ આપ્યો હતો. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, સાગર પોતાના નવજાત પુત્ર સાથે સમય વિતાવવાની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ તે પહેલા જ આ દુર્ઘટનામાં તેનું જીવન સમાપ્ત થઈ ગયું. આ ઘટનાથી પરિવાર અને સમગ્ર સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
રણાપુર નજીકનો નર્મદા નદી વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી પિકનિક અને ફરવા માટેનું લોકપ્રિય સ્થળ બની ગયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, નદીમાં ઊંડા ખાડા અને અચાનક વધતો પ્રવાહ અનેક વખત જોખમ સર્જે છે. કેટલાક લોકોએ રેતી ખનનના કારણે નદીમાં ઊંડાણ વધવાના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી છે.
સ્થાનિક તંત્ર અને ગ્રામજનોએ લોકોને નદી કે અન્ય જળાશયોમાં નાહવા જતાં સમયે પૂરતી સાવચેતી રાખવા, ઊંડા પાણીથી દૂર રહેવા અને જોખમી સ્થળોએ ન જવાની અપીલ કરી છે.

