Vadodara,તા.૪
Vadodaraના માંજલપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનું ગત મંગળવાર, ૨ જૂનના રોજ નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર વડોદરા શહેર સહિત રાજકીય વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આજે એટલે કે ૪ જૂન, ૨૦૨૬ ગુરૂવારના રોજ સવારે કારેલીબાગ સ્થિત ‘અમદાવાદી પોળ’ ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા શરૂ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો અને સામાન્ય નાગરિકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા.
સ્વ. યોગેશ પટેલની અંતિમ યાત્રા અંદાજે ૨.૪ કિલોમીટર સુધી શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ ખાસવાડી સ્મશાન સુધી પહોંચી હતી. અંતિમ યાત્રા દરમિયાન અનેક લોકો ભાવુક બન્યા હતા અને “યોગેશભાઈ અમર રહો”ના નારા લગાવવામાં આવ્યા હતા. ખાસવાડી સ્મશાન ખાતે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યા હતા. સ્મશાનમાં અગ્નિદાહની તમામ તૈયારીઓ અગાઉથી જ પૂર્ણ કરવામાં આવી હતી. યોગેશ પટેલની બંને દીકરીઓ પણ સ્મશાનમાં હાજર રહી હતી.
યોગેશ પટેલ ૧૯૯૦થી સતત ૮ ટર્મ સુધી અજેય રહી ધારાસભ્ય પદે રહ્યા હતા. તેમણે પોતાના લાંબા રાજકીય જીવન દરમિયાન લોકોના પ્રશ્નોને સરકાર સમક્ષ મજબૂતીથી રજૂ કર્યા હતા. તેઓ રૂપાણી સરકારમાં મંત્રી પદે પણ રહી ચૂક્યા હતા. આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ બેઠક ખાલી પડી હતી, પરંતુ પેટાચૂંટણીમાં તેમના પુત્ર હર્ષદ પરમારની જીત થતાં સભ્ય સંખ્યા ફરી ૧૮૨ થઈ હતી. જોકે હવે યોગેશ પટેલના અવસાનથી ફરી વિધાનસભા ખંડિત બની છે.
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, “કાકાએ સાવલીના સ્વામીના આદેશથી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સ્થાપિત કરી હતી. તેઓ હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે. લોકોના પ્રશ્નોને લઈને તેઓ સરકાર સામે પણ મજબૂતીથી અવાજ ઉઠાવતા હતા અને પરિણામ લાવતા હતા.” તેમના આ શબ્દોએ ઉપસ્થિત લોકોને ભાવુક બનાવી દીધા હતા.
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત અનેક રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો સ્મશાન સુધી ઉપસ્થિત રહ્યા હતા. યોગેશ પટેલના માનમાં મુસ્લિમ સમુદાય દ્વારા સ્મશાન બહાર પાણીની સેવા પણ શરૂ કરવામાં આવી હતી. યોગેશ પટેલના પુત્ર અને પુત્રીએ અગ્નિદાહ આપ્યો હતો અને પરિવારજનોએ રડતી આંખે જનનેતાને વિદાય આપી

