Junagadh,તા.૫
જૂનાગઢના વંથલીમાં ગેરકાયદે રેતી પરિવહન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. રોયલ્ટી પાસ વિના જ રેતી પરિવહન કરતાં નવ ટ્રક અને એક લોડર સીઝ કરવામાં આવ્યું છે. અંદાજે સાડા ત્રણ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ વાહનો વંથલી પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. અગાઉ સાંતલપુર ગ્રામજનોએ રેતીચોરી મુદ્દે વિરોધ કર્યો હતો. તેમના વિરોધની ઝાળ છેક કલેક્ટર ઓફિસ સુધી પહોંચી હતી. તેના પગલે ખાણખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા.
જૂનાગઢના ખાણખનીજ વિભાગના ઇન્ચાર્જ કિરણ પરમારે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કેટલાય વર્ષોથી ગેરકાયદેસર રીતે રેત ખનન થઈ રહ્યુ છે. મોટાપાયા પર ગેરકાયદે રેતી ભરેલા ડમ્પરો દોડી રહ્યા છે. તંત્રને આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. આ રેત ભરેલા ડમ્પરો મોટાપાયા પર અકસ્માત કરે છે. તેથી ખાણખનીજ વિભાગ ક્યારે આ ગેરકાયદે દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરશે તે સવાલ પૂછાતો હતો અને હવે આ કાર્યવાહી કરી.
આ કાર્યવાહનું મૂળ જૂનાગઢના વંથલીના સાંતલપુર ગામના લોકોનો આક્રોશ છે. ગેરકાયદેસર રેતી ખનન અને બેફામ દોડતા ડમ્પરોએ આખા વિસ્તારમાં કેર વર્તાવવા માંડ્યો હતો. તેના લીધે રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. તેથી અકસ્માતનો સિલસિલો શરૂ થયો હતો. તેમા પણ તાજેતરમાં એક મહિલાનું મોત થયા પછી તો લોકો વધારે ભડક્યા હતા અને ડમ્પરધારકો સામે રજૂઆત કરવા કલેક્ટર ઓફિસે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. તેના પગલે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

