ફાલ્ગુની વસાવડા
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ધર્મ ને લઈને કે પછી આમ કરવું આમ ન કરવું એવાં સોશિયલ મીડિયા પર કેટલાંય મેસેજ જોવા મળે! એમાં હવે સોશિયલ મીડિયા એટલે પત્યું ‘રાઈનો પહાડ’ બને. ઘણીવાર વિચાર આવે કે માનવી આખાં દિવસમાં કેટલું બોલતો હશે! વૈજ્ઞાનિક સંશોધન મુજબ રાત્રીને બાદ કરતાં એક વ્યક્તિ 16000 થી 12000 શબ્દો બોલે છે! અને હવે સ્ત્રી પુરુષ એવો ભેદ નથી રહ્યો, એક નોર્મલ વ્યક્તિ સરેરાશ લગભગ 15000 શબ્દ બોલે છે, અને વાચાળ વ્યક્તિ આનાથી પણ વધુ! ભલે એ તેનાં સ્વભાવ અને વ્યવસાય સાથે સંકળાયેલ હોય ઓછું વધુ થાય ! પણ આ સરેરાશ મુજબ દર મિનિટે એક વ્યક્તિ 15 થી 17 શબ્દ બોલે છે. જોકે સ્માર્ટ ફોન આવતાં ગયાં વર્ષમાં સંબંધોની ટોકેટીવ એક્ટિવીટી સરેરાશ ઘટી છે. પણ સવાલ અહીં એ નથી, હજી ઝીણું ઝીણું કાંતવામાં આવે તો એક વ્યક્તિ કામનું કેટલું બોલે છે! અને નકામું કેટલું! એ પણ જાણી શકાય! અપ શબ્દો કેટલા બોલે છે! એ પણ જાણી શકાય! અને ગુસ્સામાં કેટલું બોલે છે એ પણ જાણી શકાય! પરંતુ આશ્ચર્યની વાત ત્યાં છે કે, જે એણે બોલવું જોઈએ એ એટલું નથી બોલતા, આ 15000 શબ્દોમાંથી પૂજા પાઠ ને બાદ કરતાં વગર કારણે ભગવાન નું નામ માત્ર 11, 21, 54, વખત, અને અતિ વ્યસ્ત લોકો 11, 21 વખત ભગવાનનું નામ લે છે. વિજ્ઞાન કહે છે કે દર વ્યક્તિ 21,600 શ્વાસ લે છે, અને હર શ્વાસે એકવાર હરિનામનાં જાપ ને અજપા જપ કહેવાય છે! ક્યાં આ આંકડો અને ક્યાં 11, 21,54, નો અંક. એમાં પણ જ્યારે આપણે જાણતાં હોઈએ કે, કળિયુગમાં તો હરિનામ સ્મરણને જ સાધન ગણવામાં આવ્યું છે. તો આજે ગુરુવારે નરસિંહની આવી જ એક રચના.
** નરસિંહ મહેતા**
**હરિ હરિ રટણ કર કઠણ કળિયુગમાં દામ બેસે નહીં, કામ સરશે,
ભક્ત આધિન છે શ્યામસુંદર સદા તે તારાં કારજ સિદ્ધ કરશે.(૧)
નરસિંહ કહે છે હરિનાં નામનું રટણ કરી લે, એમાં રુપિયા નો પણ ખર્ચ નથી અને પાછું તારું કામ થવાની પૂરી શક્યતા છે. શ્યામસુંદર એનાં ભક્તને આધિન છે, અને એનાં કાર્યને સફળ બનાવવાં તત્પર રહે છે.
**અલ્પ સુખ સારુ શું, મૂઢ ફૂલ્યો ફરે, શીશ પર કાળ રહ્યો દંત કરડે,
પામર! પલકની ખબર તુજને નહીં, મૂઢ શું જોઈને મૂછ મરડે? (૨)
કાળ તારી માથે મંડરાઇ રહ્યો છે, અને ક્યારે દાંત મારી કરડે એ કંઈ નક્કી નથી, ત્યારે હે મૂર્ખ થોડાં સુખ માટે તું “હું કરું” એમ કરીને ફૂલાઈને ફરે છે. મૂર્ખ પલકવારમાં એટલે કે ક્ષણ પછી શું થવાનું છે, એ તને ખબર નથી, અને હું કહું એમ જ થાય છે, એમ મૂંછ મરડી શું ફરે છે.
**પ્રૌઢ પાપે કરી, બુદ્ધિ પાછી ફરી, પરહરી થડ શું ડાળે વળગ્યો?
ઇસ અને ઈરષ્યા છે નહીં જીવ પર, આપણે અવગુણે રહ્યો રે અળગો. (૩)
ઉંમરમાં પ્રૌઢ થયો! અને કામ અને કામના વશ બધી પ્રકારનાં પાપ કરી લીધાં, ત્યારે થોડી સમજ આવી હોય, એમ બુદ્ધિ સમજણને દ્વારે પાછી ફરી, જાણે થડ પર ડાળ વળગે. ઈશ્વરને જીવ પર ઈર્ષા નથી હોતી, પણ આપણે જ આપણાં અવગુણને કારણે એનાથી અળગા રહ્યાં.
**પરપંચ પરહરો સાર રુદીએ ધરો, ઉચરો મુખ હરિ આગળ વાણી,
નરસૈયા હરિતણી ભક્તિ ભૂલીશ નહીં ભક્તિ વિના બીજું ધૂળધાણી. (૪)
નરસિંહ કહે છે કે બધાં પ્રંપચો છોડીને વાણીથી હરિ સંકિર્તન કે સ્મરણ કરો, ભગવાનની ભક્તિને ભૂલીશ નહીં, કારણ કે ભક્તિ વિના બાકી બધું નકામું છે.
અહીં નરસિંહ સીધાસાદા શબ્દોમાં હરિ સ્મરણની મહત્તા બતાવે છે. પણ દરેક પંક્તિમાં એક એક શબ્દનું વરણ કરીને આ રચનાને આધ્યાત્મિક ઉંચાઈ એ લઈ ગયાં.
**કઠણ કળિયુગમાં, કળિયુગને કઠણ કહ્યો છે! કઠણ એટલે સખ્ત. જેમ કે બોર કે બદામનો ઠળિયો કઠણ છે, એને તોડવો હોય તો પરિણામ મળતાં વાર લાગે! એમ કળિયુગમાં પણ અધ્યાત્મના બીજા માર્ગ કઠણ છે, એટલે હરિ હરિ રટણ કરી લે. કઠણ કહેવાનો બીજો સંકેત, એ હશે કે કળિયુગમાં માનવીનાં માનસ પત્થર જેવા કઠણ થઇ ગયા હશે, એમાં તું સંસાર વ્યવહાર માટે ગમે તે કરીશ એ પીગળશે નહીં! તો વ્યવહાર માટે સમય શું કામ વેડફવો!
**અલ્પ સુખ, સિદ્ધિ કે સત્કર્મ કર્યા પછીનાં પદ પ્રતિષ્ઠાનો જે અહંકાર છે, એની વાત કરતાં કહે છે, કે અંતે તો તું નિમિત્ત માત્ર છો! તારો આ અહંકાર જ તારો કાળ બની, તને ઈશ્વરથી દૂર લઈ જાય છે, એની તને ખબર નથી. પાંચ પચાસ વાહ વાહ કરે, સન્માન આપે એ બધું બહુ અલ્પ સુખ છે! કારણકે જે માણસ આજે વખાણ કરે છે, એ જ આવતીકાલે નિંદા પણ કરી શકે! આ પદ પ્રતિષ્ઠાનાં પદ પર તું કાયમ રહીશ નહીં, પલકવાર પછી શું થશે? એની ખબર નથી પડતી માટે અહંકાર છોડીને હરિનું રટણ કરી લે.
**પ્રૌઢ પાપે કરી, ઉંમરનો આ મુકામ આવે ત્યાં સુધી કર્તવ્ય કર્મને નામે સ્વાર્થી થઈ નીતિ, નિષ્ઠા, કે નિયત બધું ગૌણ ગણી જે કાર્ય કર્યા, એ બધાં પાપ છે, એનો ખ્યાલ બચ્ચાઓ જ્યારે માળામાંથી ઉડી જાય છે, ત્યારે આવે છે, એટલે કે જવાબદારીનો એક અધ્યાય સમાપ્ત થાય! ત્યારે ખબર પડે કે આ મેં શું કર્યું! પણ નરસિંહ હરિ સ્મરણ સિવાયના બધાં કર્મ ને પાપ કહે છે, અને જવાબદારીના ચક્રવ્યૂહમાં પ્રૌઢ થઈ ગયો, પણ હરિ સ્મરણ કર્યું નહીં, એવું બુદ્ધિ શાંત થતાં લાગે.
**ઉચરો મુખ, અહીં નરસિંહ સમયસર હરિ આગળ આત્મ નિવેદન કરવાં કહે છે. શ્રીમદ્ ભાગવતમાં આત્મ નિવેદનને નવધા ભક્તિનો નવમો પ્રકાર ગણવામાં આવ્યો છે, અને એનાં દ્વારા એ અનુપાયની ભક્તિ સુધી પહોંચી શકે છે, જેમાં ભક્ત ભગવાનમાં એટલો તલ્લીન થઈ જાય છે કે, એને અલગ કોઈ સાધનની જરૂર પડતી નથી.
નરસિંહ તો “રાધે ક્રિષ્ન” “રાધે ક્રિષ્ન” નું રટણ કરીને અનુપાયની ભક્તિ સુધી પહોંચી ગયાં, અને એટલાં તલ્લીન થઈ ગયાં, કે એનાં સાંસારિક કર્તવ્યની શુધી એને રહી નહીં! અને એ બધાં કર્તવ્ય ભગવાનને જ પૂરાં કરવાં પડ્યાં. તો સફળ થવાનો માર્ગ અને પરિણામ બંને આપણી સામે છે! સમયસર હરિ સ્મરણને જ જીવન બનાવી લઈએ! શરીરથી માંડી સંબંધ સુધીનું બાકી બધું અલ્પ સુખ આપનારું છે! જ્યારે હરિ સ્મરણ તો કળિયુગને પણ નરમ બનાવી શકે તેમ છે, આપણે સૌ સમય રહેતાં હરિ હરિનું રટણ કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

