New Delhi,તા.23
આઈપીએલ 2026ની સીઝન પૂર્ણ થતાની સાથે જ આગામી સીઝન માટેની ટ્રેડિંગ વિન્ડો ઓપન થઈ ગઈ છે. વર્ષનાં અંતમાં મિની હરાજી અને તે પછી મેગા ઓક્શન યોજાવાનું છે, જેને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઈઝીઓએ અત્યારથી જ પોતપોતાની ટીમને નવો આકાર આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
તાજેતરમાં સામે આવેલાં એક અહેવાલ મુજબ, મુંબઈ ઈન્ડિયન્સ અને હાર્દિક પંડ્યાના રસ્તા હવે અલગ થવા જઈ રહ્યાં છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને પાંચ વખતની ચેમ્પિયન ટીમ આ સીઝનમાં પોઈન્ટ ટેબલ પર 9મા ક્રમે રહી હતી.
બીજી તરફ, રેવસ્પોર્ટ્સના અહેવાલ મુજબ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક બહુ મોટા ટ્રેડિંગને લઈને વાતચીત ચાલી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની નજર અત્યારે ભારતનાં યુવા અને વિસ્ફોટક ઓપનર યશસ્વી જાયસ્વાલ પર છે. હાર્દિક પંડ્યાના બદલામાં મુંબઈ જાયસ્વાલને પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે. રોહિત શર્મા હવે પોતાની કારકિર્દીના અંતિમ પડાવ પર છે, તેથી મુંબઈ ઈન્ડિયન્સ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે જાયસ્વાલના રૂપમાં એક લાંબાગાળાનો અને પરફેક્ટ ઓપનર શોધી રહ્યું છે.
રાજસ્થાન રોયલ્સના નવા માલિકો પણ આઈપીએલ 2027 પહેલાં એક મોટો ટ્રેડ કરીને ક્રિકેટ જગતમાં પોતાની મજબૂત હાજરી નોંધાવવા માંગે છે. હાર્દિક પંડ્યા જેવા ઓલરાઉન્ડરને ટીમમાં લાવીને તેઓ એક મોટું સ્ટેટમેન્ટ આપવા આતુર છે. જોકે, આ ડીલને લઈને બંને ટીમો વચ્ચેની વાતચીત ક્યાં સુધી આગળ વધે છે.
તે જોવું રહ્યું. આ પહેલાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત પણ દિલ્હી કેપિટલ્સમાં પાછા ફરે અને તેનાં બદલામાં કુલદીપ યાદવ લખનૌમાં જાય તેવા અહેવાલો પણ ચર્ચામાં આવ્યાં છે.
જો યશસ્વી જાયસ્વાલના આઈપીએલ રેકોર્ડની વાત કરીએ તો, અંડર-19 વર્લ્ડ કપ 2020માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રાજસ્થાન રોયલ્સે તેને 2.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જાયસ્વાલે અત્યાર સુધી રમેલી 83 આઈપીએલ મેચોમાં 33.68ની એવરેજ અને 152.80ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 2593 રન બનાવ્યાં છે.
જેમાં 2 સદી અને 18 અર્ધસદી સામેલ છે. વર્ષ 2023થી તે જબરદસ્ત ફોર્મમાં છે અને દર સીઝનમાં પોતાની ટીમ માટે 400થી વધુ રન બનાવી રહ્યો છે, જેથી મુંબઈ માટે તે બેસ્ટ ચોઈસ સાબિત થઈ શકે છે.

