New Delhi, તા. 23
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ CoE – જે પહેલા ગઈઅ તરીકે ઓળખાતું હતું એ ભારતીય ક્રિકેટરોને ફિટનેસ અને રમત બંને બાબતમાં હંમેશાં ટોચ પર રાખવા માટે એક ખાસ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેને ‘પર્ફોર્મન્સ બ્લોક’ નામ આપવામાં આવ્યું છે.
આ નવી સિસ્ટમનો મુખ્ય ફાયદો એ છે કે ઇન્ટરનેશનલ ખેલાડીઓ માત્ર ઇજાના સમયે જ નહીં, પરંતુ આખું વર્ષ પોતાની રમતનાં નબળાં પાસાઓ સુધારવા માટે અહીં આવી શકશે.
હાલમાં ઇજાગ્રસ્ત થયેલાં તમામ ખેલાડીઓ ફરીથી મેદાન પર શાનદાર વાપસી કરી શકે તે માટે આ પ્રોગ્રામ શરૂ કરાયો છે, જેમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણા બેંગલુમાં પોતાની ટ્રેનિંગ પૂરી કરીને સંપૂર્ણ ફિટ જાહેર થનારો દેશનો પ્રથમ ખેલાડી બન્યો છે.
ભારતનાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઈંગ્લેન્ડ સામેની આગામી વન-ડે સિરીઝ માટે ટીમમાં વહેલાં પાછા ફરવાની ઉતાવળ કરવાને બદલે, આ નવા અને ખાસ પ્રોગ્રામમાં જોડાવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
અગાઉ આ સેન્ટર માત્ર ઇજાગ્રસ્ત ખેલાડીઓને સાજા કરવાનું કામ કરતું હતું, જ્યારે જુનિયર કે લોકલ ખેલાડીઓ માટે જ ક્રિકેટ કેમ્પ યોજાતાં હતાં. પરંતુ હવે આ નવી વ્યવસ્થા હેઠળ સિસ્ટમ આખી બદલી નખાઈ છે.
જેથી સિનિયર ઇન્ટરનેશનલ ખેલાડીઓ ગમે ત્યારે અહીં આવીને પોતાની જરૂરિયાત મુજબનાં હાઈ-લેવલ સ્પેશિયલ સેશન લઈ શકે અને તેમનાં માટે ત્યાં એક ખાસ કોચિંગ સ્ટાફ પણ હાજર રહેશે.
BCCI ના સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, હાર્દિક પંડ્યા આ અદ્યતન પ્રોગ્રામનો ઉપયોગ કરનારો પહેલો મોટો ખેલાડી છે અને તે પોતાની ફિટનેસને લઈને કોઈ જોખમ લેવા માંગતો નથી. હાર્દિકનું માનવું બિલકુલ સાફ છે કે જ્યાં સુધી તે શારીરિક રીતે અને ક્રિકેટ કૌશલ્ય બંને બાબતમાં 100 ટકા ફિટ નહીં થાય, ત્યાં સુધી તે ભારત માટે મેદાન પર નહીં ઉતરે.
વન-ડે વર્લ્ડ કપ હવે માત્ર 16 મહિના જ દૂર છે, તેથી તે પોતાનાં શરીર પર ખોટું દબાણ લાવવાને બદલે ચોક્કસ ક્રિકેટ કૌશલ્યો પર કામ કરીને પોતાની જૂની લય અને સર્વશ્રેષ્ઠ ફિટનેસ પાછી મેળવવા માટે આ સમયનો પૂરો ઉપયોગ કરવા માંગે છે.

