પોલીસે સોનાની ચેઇન, ચાંદીના છડા, ચાંદીના સિક્કા, કાર અને ૩ મોબાઇલ મળી રૂ. ૪.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
Himmatnagar, તા.૨૩
Sabarkantha એલસીબીએ ભોલેશ્વરના એક મકાનમાં થયેલી ચોરીની ઘટનામાં સંડોવાયેલા ત્રણ જણાને બાતમીના આધારે ઝડપી લઇ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.મળતી માહિતી અનુસાર, શનિવારે રાત્રે ધાણધા વિસ્તારના એક મકાનમાં ચોરી થઈ હતી. ચોરીની ઘટના અંગે એલસીબીના પો.કો. પ્રહર્ષકુમાર, રાજેન્દ્રકુમાર તથા કનકસિંહને સંયુકત રીતે બાતમી મળી હતી કે, ભોલેશ્વર વિસ્તારની સુંદરમ સોસાયટીમાં ઘરફોડ ચોરી કરનાર ચોરો સ્વિફટ ગાડી લઇ ઇડરથી હિંમતનગર નિકળેલા છે અને અમદાવાદ તરફ જવાના છે.
આ બાતમીના આધારે ધાણધા ખાતે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કાર આવતાં તેને અટકાવી હતી. તપાસ કરતાં કારમાં બેઠેલા ત્રણ જણાએ તેમનું નામ દિનેશકુમાર જગદીશપ્રસાદ માલી (મુળ રહે. જોધપુર), રાજેશ પપ્પુસિંહ ભવરસિંહ રાવત (રહે.નાહરપુરા ગીરી, બ્યાવર, રાજસ્થાન) તથા મહેન્દ્ર જુંજારામ ગુર્જર ( રહે. ઘુલકોટ પ્રાયમરી સ્કૂલ પાસે, તા.રાયપુર થાના બ્યાવર) હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતાં ખોટી નંબર પ્લેટ ગાડીમાં લગાવેલી હતી તેમજ સોના-ચાંદીના દાગીના તેમજ પોલીસનું બનાવટી આઇકાર્ડ મળી આવ્યા હતા. પોલીસે વધુ પૂછપરછ કરતાં તેમણે ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસનું ખોટુ ઓળખકાર્ડ બનાવી ટોલપ્લાઝા ઉપર બતાવવા માટેનો ઉપયોગ કરતા હોવાનું તેમજ પોલીસ ગાડી ચેક ન કરે તે માટે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરતા હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસે સોનાની ચેઇન, ચાંદીના છડા, ચાંદીના સિક્કા, કાર અને ૩ મોબાઇલ મળી રૂ. ૪.૭૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

