આરોપી કથિત રીતે મુહર્રમ જુલૂસમાં સામેલ લોકોને દર્દ નિવારણ દવા બતાવીને કેપ્સૂલ વેચવાનો પ્લાન બનાવી રહ્યો હતો
Mumbai, તા.૨૭
દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી એક કથિત કાવતરાનો પર્દાફાશ થયો છે. જેણે આખા દેશમાં સનસનાટી મચાવી દીધી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, મુહર્રમ જુલૂસ દરમ્યાન મોટી સંખ્યામાં લોકોને કથિત રીતે ઝેરી કેપ્સૂલ આપી ટાર્ગેટ બનાવવાની તૈયારી થઈ રહી હતી. આ મામલામાં આરોપી ફૈયાઝ નિસાર હુસૈન પ્રેમજીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસ અનુસાર, આરોપી કથિત રીતે મુહર્રમ જુલૂસમાં સામેલ લોકોને દર્દ નિવારણ દવા બતાવીને કેપ્સૂલ વેચવાનો પ્લાન બનાવી રહ્યો હતો. તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કેપ્સૂલમાં ઝિંક ફોસ્ફાઈડ જેવા ઝેરી રસાયણ નાખેલા હતા. જે જીવલેણ સાબિત થઈ શકે છે. તપાસ એજન્સીઓએ આરોપીના કબજામાં ૧૪,૯૦૦ શંકાસ્પદ ગોળીઓ જપ્ત કરી છે.
એટલું જ નહીં, તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીએ ૩૦,૦૦૦ ગોળીઓનો ઓર્ડર આપ્યો હતો અને કથિત રીતે ૫૦ કિલોગ્રામ ઝિંક ફોસ્ફાઈડ મગાવવાની તૈયારી પણ હતી. આ ખુલાસા બાદ એજન્સીએ આ સમગ્ર નેટવર્ક અને સંભવિત કાવતરાના દાયરાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આરોપી ઈરાનની યાત્રા કરી ચૂક્યો છે. હવે સુરક્ષા એજન્સીઓ એવું જાણવાની કોશિશ કરી રહી છે કે તેની વિદેશ યાત્રાને આ મામલા સાથે કોઈ સંબંધ છે કે નહીં, તથા આ કથિત કાવતરા પાછળ કોઈ મોટું નેટવર્ક એક્ટિવ છે? હાલમાં પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ આરોપીઓ સાથે પૂછપરછ કરી રહી છે. સાથે જ એવી પણ તપાસ કરી રહી છે કે આ કથિત કાવતરામાં અન્ય કોણ કોણ સામેલ છે. ઝેરી પદાર્થની સપ્લાય ક્યાંથી થઈ અને શું કોઈ સંગઠન અથવા વિદેશી કનેક્શનની ભૂમિકા હતી.

