Gandhinagarતા.૩૦
રાજધાની Gandhinagarના કુડાસણ વિસ્તારમાં રાત્રે ભારે અફરાતફરી મચી ગઈ હતી. રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યા બાદ, આ નાણાં પરત ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને બે યુવકો પર જાનથી મારી નાખવાના ઇરાદે ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકની હાલત અત્યંત નાજુક હોવાથી તે હાલ આઇસીયુમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
મહેન્દ્રસિંહ અને તેનો દીકરો અભિમન્યુ અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ બીજા ૧૦ જેટલા માણસોને બાઈક પર હથિયારો સાથે લઈને ધસી આવ્યા હતા. આ ટોળા પાસે છરી, ધારીયા અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો હતા. હુમલાખોરોએ ફરિયાદીની વોક્સવેગન કાર પર ધોકા ફટકારીને કચ્ચરઘાણ વાળી દીધો હતો, જેના કારણે જાહેર રોડ પર નાસભાગ મચી ગઈ હતી. કેમ વારંવાર રૂપિયા માંગો છો? આજે તમને તમારા રૂપિયા આપી દઈએપ તેમ કહીને હથિયારોથી સજ્જ ટોળું તૂટી પડ્યું હતું.
મહેન્દ્રસિંહે છરી વડે ભરતસિંહના બંને હાથના કાંડા પર છરીના ઘા માર્યા હતા અભિમન્યુસિંહ રાઠોડે ભરતસિંહના બરડાના ભાગે છરી મારી દીધી હતી. જેથી તેઓ ગંભીર રીતે ઘવાઈને નીચે ઢળી પડ્યા હતા. ફરિયાદી ઉત્સવ વચ્ચે પડતા આરોપી સુનિલ ચૌહાણ, લાલભાઈ અને અભિમન્યુએ મળીને તેને પણ શરીરના બરડાના ભાગે, હાથ-પગ તથા પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. અને અન્ય શખ્સો લાકડીઓ અને ગડદાપાટુનો માર મારી ફરિયાદીની વોક્સવેગન કારને પણ હથિયાર અને ધોકા મારી કારને ભારે નુકશાન કર્યું હતું.
એપ્રિલ ૨૦૨૫માં ફરિયાદીના પિતાના મિત્ર મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડે સરકારી કંપની જીએસીએલમાંથી ડીલરશીપ અપાવવાનો વાયદો કરી સેક્ટર-૯ ખાતે ૧૫ લાખ રોકડા લીધા હતા. મહેન્દ્રસિંહે રાજસ્થાન સરકારમાં પોતાની ઉચ્ચ વગ હોવાનો દાવો કર્યો હતો. આથી ઉત્સવના પિતાએ તેમના અન્ય એક મિત્ર શિવુજીલાલ ચૌધરીને રાજસ્થાન ટુરિઝમમાં ચેરમેન બનાવવાની વાત કરી હતી. આ કામના સેટિંગ માટે મહેન્દ્રસિંહ અને તેના પુત્ર અભિમન્યુસિંહે એડવાન્સ ૫૦ લાખની માંગણી કરતાં જાન્યુઆરી ૨૦૨૬માં સેક્ટર-૨ ખાતે નાણાં ચૂકવાયા હતા.ત્યારબાદ ટુકડે-ટુકડે બેંક ખાતા અને રોકડા મળીને કુલ ૧ કરોડ ૧૦ લાખ પડાવી લેવાયા હતા, પરંતુ કામ થયું નહોતું.
વારંવાર રૂપિયાની ઉઘરાણી કરવા છતાં નાણાં પરત ન મળતા ગત ૧૭ મેના રોજ કોબા સર્કલ પાસે બંને પક્ષો વચ્ચે ભારે વિવાદ થયો હતો. આ નાણાકીય ડખ્ખાનું સુખદ સમાધાન લાવવા માટે ઉત્સવના મિત્ર ભરતસિંહ ચંદાવતે મહેન્દ્રસિંહને કુડાસણલેન્ડમાર્ક કોમ્પ્લેક્સમાં આવેલા પોતાના ‘આરહા ફિટનેસ જીમ’ ખાતે બોલાવ્યા હતા. જો કે, આરોપીઓ સમાધાન કરવાના નહીં પણ જીવલેણ હુમલો કરવાના ઇરાદે જ આવ્યા હતા.
આ ઘાતક હુમલાનો બનાવ બનતા સ્થાનિકોએ બૂમાબૂમ કરતા જ હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ભરતસિંહ ચંદાવતને તાત્કાલિક ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે કે.ડી. હોસ્પિટલના આઇસીયુમાં ખસેડાયા છે. આ સમગ્ર ઘટનાને લઈ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એ. શાહે આ મામલે ગુનો નોંધીને મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ સહિત ૧૧ જેટલા શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

