Morbi, તા.12
મોરબી ટંકારા રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે હરીપાર્ક સોસાયટી નજીક અવાર નવાર અકસ્માત થાય છે જેથી આ અકસ્માતો નિવારવા માટે ત્યાં રહેતા આગેવાને હાલમાં મુખ્યમંત્રીને કેટલાક સૂચનો સાથેની રજૂઆત કરેલ છે.
ટંકારાના વીરપર ગામ પાસે આવેલ હરીપાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી જણાવ્યુ છે કે, હરીપાર્ક સોસાયટી પાસે અવાર નવાર અકસ્માત થાય છે. આ અકસ્માતો નિવારવા માટે મોરબી-રાજકોટ હાઈવે પર મોરબીથી ટંકારા સુધી રોડની બન્ને બાજુ સર્વિસ રોડ બને, હરી પાર્ક સોસાયટીની સામે ઈજનેર દ્વારા ટેક્નિકલ પાસાઓનો અભ્યાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, રોડ પર જરૂરી રેડિયમના સાઈન બોર્ડ મૂકવામાં આવે.
રાત્રિના સમયે ડિવાયડર ઉપર સોલાર લાઈટ મૂકવામાં આવે, હરી પાર્ક સોસાયટી સામે રમ્બલના સ્ટ્રીપ નાખવામાં આવે તે જરૂરી છે કેમ કે, ત્યાં રહેતા લોકોની સાથોસાથ બાજુમાં જ દેરાસર આવેલ છે જેથી ત્યાં દર્શના કરવા માટે ઘણા લોકો આવે છે તેની સલામતીને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.