ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને પૂર્વ ચેરમેન નારાયણ મૂર્તિએ ફરી એક વખત યુવાનોની દુખતી રગ દબાવી છે. નારાયણ મૂર્તિએ ફાઈવ ડે વર્કિંગ પર (પાંચ દિવસ કામકાજ) પર નિઃસાસો નાખતાં કહ્યું છે કે, યુવાનોએ પોતાના અને દેશના વિકાસ માટે વધુને વધુ કલાકો કામ કરવુ જોઈએ. વધુમાં તેઓ વર્ક-લાઈફ બેલેન્સ જેવી ચીજો પર વિશ્વાસ કરતાં નથી.
નારાયણ મૂર્તિએ ગ્લોબલ લીડરશીપ સમિટમાં વર્ક-પર્સનલ લાઈફ સવાલ પર જવાબ આપ્યો હતો કે, વર્ક- પર્સનલ લાઈફ બેલેન્સ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. તેઓને તેમાં વિશ્વાસ જ નથી. 1986માં જ્યારે આપણે છ દિવસ પરથી પાંચ દિવસ વર્કિંગ ડે પર શિફ્ટ થયા ત્યારે હું ખૂબ નિરાશ થયો હતો. હું દિલગીર છું, પણ હું મારા અંતિમ શ્વાસ સુધી મારો દ્રષ્ટિકોણ નહીં બદલું.
વડાપ્રધાનનું આપ્યું ઉદાહરણ
નારાયણ મૂર્તિએ વડાપ્રધાન મોદીનું ઉદાહરણ આપતાં કહ્યું કે, આપણા વડાપ્રધાન સપ્તાહમાં 100 કલાક કામ કરી રહ્યા છે. તે સતત દેશના વિકાસ માટે સમર્પણ મોડલ બની રહ્યા છે. વડાપ્રધાન મોદી અથાગ પરિશ્રમો કરી રહ્યા છે, વિકસતા દેશમાં વૈશ્વિક હરીફો સાથે સ્પર્ધા કરવા મજબૂત અને અથાગ કામ કરવુ આવશ્યક છે. અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.
મૂર્તિ આટલા કલાક કરે છે કામ
મૂર્તિ પોતે પોતાની કારકિર્દી અંગે મહત્ત્વની બાબત શેર કરતાં કહ્યું કે, તેઓ દિવસમાં 14 કલાક કામ કરે છે. અને સપ્તાહમાં સાડા છ દિવસ પ્રોફેશનલ ડ્યુટી નિભાવે છે. તેઓ રોજ સવારે 6.30 વાગ્યે ઓફિસ પહોંચી જાય છે અને રાત્રે 8.40 વાગ્યે ઘરે જાય છે.
અગાઉ પણ નારાયણ મૂર્તિએ યુવાનોને સાપ્તાહિક 70 કલાક કામ કરવા સલાહ આપી હતી. જેના લીધે સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો હતો. ઘણા યુવાનોએ તેમને સમર્થન પણ આપ્યું હતું.