હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. હિન્દુ સનાતન ધર્મમાં ચાર વેદ સૌથી પહેલાં ગણાય છે, અને એ સ્વયં ઈશ્વરનું સ્થાન ધરાવે છે! વેદોમાં કહેવાયેલી વાત પરના શાસ્ત્રોને વૈદિક શાસ્ત્ર કહ્યાં! પણ દરેકનો દ્રષ્ટિકોણ સરખો હોય નહીં એટલે, એનાં ભાષ્યો કે ટિકા ટિપ્પણી અલગ થાય, અને જે સરળ હતું એ પણ વધુ જટિલ બન્યું, એવું થયું. ભારતીય ઋષિઓએ વેદ જેવાં ગહન શાસ્ત્રોને સરળ કર્યા અને ગુરુકુળનાં વિદ્યાર્થીઓને ભણાવ્યા. આ ઉપનિષદને વેદાંત પણ કહેવામાં આવે છે! ઉપનિષદ ભારતીય અધ્યાત્મને વધુ સરળ બનાવીને એકદમ રોચક રીતે પ્રસ્તુત કરે છે. ભારતીયોને અધ્યાત્મ વારસામાં મળ્યું હોય એટલે આજે પણ લોકોનો એ પ્રિય વિષય ખરો! ખબર પડે કે ન પડે! જાહેરમાં આ વિષય પર ચર્ચા કરી જ્ઞાની હોવાનો દાવો જરુર કરે ! ઈશા ઉપનિષદમાં ઈશ્વરની સર્વોપરી સત્તા છે, એવું કહેવાયું અને આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ એ સત્ય આપણે બદલી શકતાં નથી! નાસ્તિક પણ ક્યાંક ને ક્યાંક તો પરમ શક્તિને સ્વીકારશે! વિજ્ઞાન પણ ક્યાંક ને ક્યાંક અટકી જશે! અને નેતિ.. નેતિ.. નેતિ.. એમ કહેવું પડશે! અધ્યાત્મ એટલું સુક્ષ્મ છે, અને છતાં સહજ સ્વીકારી લઈએ તો સરળ પણ છે. ઈશા ઉપનિષદ પછી કેન ઉપનિષદનો ક્રમ આવે છે! આમ તો નામ જ એનો અર્થ બતાવે છે કે, કોણ ? આ બંધુ કોને કારણે છે? એટલે કે આપણી ઈન્દ્રિયોનું સંચાલન કોણ કરે છે? તો આજે આપણે આ કેન ઉપનિષદની ગહેરાઈમાં આપણાં અધ્યાત્મને તરાશીએ!
કેન ઉપનિષદ ચાર ખંડમાં વહેંચાયેલ છે,પહેલાં બે પદ્યમાં છે, અને બીજા બે ગદ્યમાં છે. પ્રથમ ખંડની શરુઆત પ્રશ્નથી થાય છે અને બીજા ખંડમાં બ્રહ્મ જીજ્ઞાસા થતાં ગુરુ બ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે. જ્યારે ત્રીજો ખંડ દેવતાઓ અને બ્રહ્મની વાર્તા એટલે યક્ષ કથા, અને ચોથો ખંડ બ્રહ્મજ્ઞાન અને સાધના વિશેનો અંતિમ ઉપદેશ આપે છે. પહેલાં બે ખંડની વાત કરીએ તો પ્રથમ ખંડમાં 8 અને બીજા ખંડમાં 5 એમ કુલ 13 શ્લોક આવેલા છે, અને જે મન અને ઇન્દ્રિયોથી પરે રહીનાર કોણ છે? અર્થાત બ્રહ્મનું મૂળ સ્વરૂપ શું છે? એ વિશે નિર્દેશ કરે છે, પ્રથમ ખંડનો પ્રથમ શ્લોક જોઈએ.
કેનેષિતં પતતિ પ્રેષિતં મનઃ કેન પ્રાણઃ પ્રથમઃ પ્રૈતિ યુક્તઃ ।
કેનેષિતાં-વાઁચમિમાં-વઁદંતિ ચક્ષુઃ શ્રોત્રં ક ઉ દેવો યુનક્તિ ॥ ૧ ॥
કોના દ્વારા પ્રેરિત થઈને મન પોતાનાં વિષયો તરફ જાય છે? કોનાં દ્વારા પ્રેરાઈને પ્રાણ પ્રથમ શ્રેષ્ઠ કાર્ય કરે છે? કોનાં દ્વારા પ્રેરાઈને લોકો આ વાણી બોલે છે? અને કયો દેવ આંખ કાન ઈત્યાદિ ઈન્દ્રિયોને જોડીને ક્રિયા માટે પ્રેરિત કરે છે? આમ પ્રથમ ખંડમાં શિષ્યો વેદનાં ગુરુને પુછે છે કે મન કોની ઈચ્છાથી અહીં બેઠાં બેઠાં જ કેટલાંય માઈલો દૂર વિચરણ કરે છે! આંખ કાન નાક અને મુખ જેવી ઇન્દ્રિયો ક્યાં દેવ તત્વને પ્રેરિત થઈને સંપૂર્ણ શરીરની ક્રિયા રુપે કાર્ય કરે છે?
“તદેવ વાચાઽનભ્યુદિતં યેન વાગભ્યૃદ્યતે |
તદેવ બ્રહ્મ ત્વં વિદ્ધિ નેદં યદિદમુપાસતે ||”
ઉપરનાં શિષ્યના સવાલના શ્લોકના ગુરુ જવાબમાં જ બ્રહ્મનું નિરુપણ છે, કે જે મન ઇન્દ્રિયો ને સતત કાર્યરત રાખે છે, અને એ દેવ તત્વ દ્વારા જ કાન સાંભળે છે, આંખો જુવે છે, અને મુખ દ્વારા શબ્દ વાણી વહે છે, અને મન ખાવાં પીવાં સુવાં ઉઠવાં ફરવાં જેવાં વિષયો તરફ પ્રેરિત કરે છે, પણ એ મન બુદ્ધિ અને ઈન્દ્રિયોથી પરે રહીને સૌનો દેવતા એટલે કે પરમાત્મા બની રહે છે.
આપણે જોયું કે પ્રથમ ખંડનાં 8 શ્લોક છે, જેમાં પરમ તત્વ વિશે સહજ પ્રશ્ન છે! જે ગુરુ શિષ્યના સંવાદ રૂપે પ્રસ્તુત છે. આવી કલ્પના માત્રથી આશ્ચર્ય અને આનંદનો ભાવ થાય, કારણ કે હવે ગુરુ શિષ્યનું આવું દ્રશ્ય સંભવ નથી! કે વિદ્યાર્થી જીવનથી જ જેને તત્વતઃ ઈશ્વરને જાણવાની ઈચ્છા થાય. સદગુરુ કૃપાથી હજી ઝીણું કાંતીએ આપણે ત્યાં ઉંમર થાય અને કાને સંભળાતું બંધ થાય તો, દેહાતી લોકો એનાં કાનનાં દેવતા ચાલ્યા ગયાં! એવો શબ્દ પ્રયોગ કરે છે, આંખે દેખાય નહીં તો આંખના દેવતા ચાલ્યા ગયા એમ બોલે! તો શું દરેક ઈન્દ્રિયનાં દેવ અલગ અલગ છે? માનવ શરીર પૃથ્વી, જળ, અગ્નિ, પવન, અને આકાશ આ પંચમહાભૂત માંથી બનેલ છે, અને એટલે દરેક ઈન્દ્રિયનો એક દેવતા એવું અર્થઘટન કરી શકાય! તો સ્વાભાવિક પ્રશ્ન ઉઠે કે કંઈ ઈન્દ્રિયનો કયો દેવ! અને આ પંચમહાભૂત પાછાં શંકરાચાર્ય ના પંચદેવ પણ છે. પૃથ્વી અચલ છે, પૃથ્વી પર આપણાં ચરણ એટલે પગ ટેકવાયેલ છે, અને પૃથ્વી ગોળ હોવા છતાં એ પડી નહીં જાય, એવી શ્રદ્ધાથી એ વિહાર કરે છે, માટે ચરણની શક્તિ માટે જગદંબા રુપી પૃથ્વી તત્વ જવાબદાર છે. વિષ્ણુનું અનંત સ્વરૂપ એટલે આકાશ, અને વિષ્ણુ જેમ જે અન્યનું પોષણ કરવામાં પોતાનાં હાથનો ઉપયોગ કરવો, અને વિષ્ણુ માટે આજાન બાહુ એવો શબ્દ પ્રયોગ થાય છે, તેથી હાથનાં દેવ તરીકે વિષ્ણુ એવમ આકાશ. ચક્ષુ એટલે કે આંખ! સ્થૂળ કે સુક્ષ્મ રીતે આંખ ખૂલે તો જ સૂર્યોદય થઈ ગયો એમ અજવાળું દેખાય, અને આંખ બંધ કરીએ તો અંધકાર! માટે આંખ ના દેવ સૂર્ય એટલે અગ્નિ છે. કાન સાંભળવાનું કામ કરે છે, અને નાક સુંઘવાનુ! નાક વાટે સુગંધ એટલે કે વાયુ જ લેવામાં આવે છે, અને ધ્વનિ માપવા માટે ફ્રિકવન્સી એટલે કે આવૃત્તિનું પ્રમાણ દર્શાવાય છે! અને પવનની પણ આવૃત્તિ માપવામાં આવે છે, એટલે નાક કાનની શક્તિ માટે વાયુ તત્વ જવાબદાર છે. મુખમાટે જલ તત્વ! મુખ એવંમ જીભથી વ્યક્ત થતા ભાવ નાં ત્રણ આયામ છે વાણી, પાણી, અને લાગણી બધું જ મુખેથી વ્યક્ત થાય! અને ખોરાક સાથે પાચક રસ લાળ ભળે તો એ પચે, અને શક્તિ છૂટી પડે, આ પાંચેયનો સમન્વય જ પરમ બ્રહ્મ છે.
આદિદેવ શંકરાચાર્યે એ કેન ઉપનિષદ વિશે કહ્યું કે, જે કોઈ કહે કે હું બ્રહ્મને જાણું છું, એ હકીકતમાં જાણતો નથી. કારણ કે બ્રહ્મ એ કોઈ ઓબજેક્ટ નથી! એટલે કે પદાર્થ કે વસ્તુ નથી. હવે સદગુરુ કૃપા થોડું વધુ સૂક્ષ્મ ચિંતન કરાવે છે કે, જીવ અને બ્રહ્મ બે અલગ તત્વ હોવાં છતાં બંનેની ઓળખ માટે એક બીજાનું હોવું આવશ્યક છે. જેમ કે બ્રહ્મ તત્વના નિવાસ માટે શરીર હોવું જરૂરી છે. આત્મ તત્વનાં બ્રહ્મ અને વ્યાપક બ્રહ્મ તત્વમાં કોઈ જ ભેદ નથી! પરંતુ એનાં નિવાસસ્થાનમાં ફેર હોયને વ્યવહારિક મહત્તા વધે કે ઘટે છે, જેમ કે ધનવાન નો મહેલ અને ઝૂંપડીમાં રહેતા જીવનું વ્યાવહારિક મહત્વ ઘટી જાય છે. કીડી મંકોડા ના મરવા પર આપણે એટલાં દ્રવિત નથી થતાં!; જોકે આજકાલ તો માનવ હત્યા પણ સાવ સામાન્ય વાત થઈ ગઈ છે અને એ પણ કોઈ હિચકિચાટ વગર! અને બધું જ જાણવાં છતાં સમય પ્રમાણે માનવીની માનસિકતા અન્યનાં અસ્તિત્વને જ મહત્વ નથી આપતી ત્યાં એમ બ્રહ્મ દર્શન તો દુર્લભ છે! આવાં અનમોલ અધ્યાત્મનાં વારસાને સમજીને સાચવી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

