Jetpur, તા.16
જેતપુરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આરોપીએ ચોરી કરેલ સોનાનો હાર મુથુટ ફાયનાન્સમાં મુકી લોન લઈ લીધી હતી. કણકીયા પ્લોટમાં પાડોશી શખ્સએ જ શ્રમિક પરિવારના ઘરમાંથી 4 તોલા સોનાના ઘરેણાંની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. પીઆઈ એ. બી. પરમારના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટી પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી લીધા છે.
આ અંગે પોલીસ વિસ્તૃત વિગત મુજબ, જેતપુર કણકીયા પ્લોટ, વાઘવાણી હોસ્પિટલની સામે રહેતા કાંતાબેન ઉર્ફે કીરણબેન વિજયભાઈ સરવૈયા (ઉ.વ.41)એ રવિવારે પોલીસમાં ફરિયાદ આપતાં જણાવેલ કે, હું અને મારા પતિ વિજયભાઈ મોહનભાઇ સરવૈયા મજુરી કામે ગયા હતા ત્યારે કોઈ ચોર ઇસમે અમારા ઘરમાં ઘુસી કબાટની અંદર તિજોરીમાં રાખેલ સોનાના ઘરેણા ચોરી કરી લીધા હતા.
જેમાં સોનાનો અઢી તોલાનો હાર, અડધા તોલાની સોનાની વીંટી, બે જોડી સોનાની બુટી, એક જોડી કાનમાં પહેરવાની સઇરૂ જોડી-1 નંગ-2 એમ બુટી તથા સઇરૂનો વજન 1 તોલા, એમ મળી કુલ 4 તોલા દાગીના કોઈ અજાણ્યો ઈસમ અમારા ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને ચોરી કરી લઈ ગયેલ. અમે ઘર મેળે તપાસ કરી હતી પણ દાગીના ન મળતા પોલીસ ફરિયાદ કરી છે.
જેતપુર સિટી પીઆઇ એ. બી. પરમાર અને તેમની ટીમને ચોરીની જાણ થતા જ સ્થળ તપાસ કરી આસપાસના સીસીટીવી ચેક કર્યાં છે. ઘર કુટુંબના સભ્ય, પડોશમાં રહેતા શખ્સોને ઉઠાવી શકમંદોની પુછપરછ શરૂ કરી હતી. જેમાં આરોપી વનરાજ સરવૈયાની આગવી ઢબે પોલીસે સરભરા કરતા ચોરીની કબૂલાત આપી હતી.
આ આરોપી વનરાજએ ફરિયાદીના ઘર પર નજર રાખી હતી. તે તેનો પાડોશી જ હોવાથી ઘર ક્યારે બંધ હોય છે. તેની ચાવી ક્યાં રાખે છે તે તમામ વિગત મેળવી ઘરે કોઈ નહોતું ત્યારે ચાવી વડે દરવાજો અને કબાટની તિજોરી ખોલી સોનાના દાગીના ચોરી કર્યાં હતા.
આમાંથી સોનાનો હાર આરોપી વનરાજએ તેના મિત્ર આરોપી યુવરાજ મોયાને આપી દીધો હતો અને યુવરાજએ આ હાર મુથુટ ફાયનાન્સમાં ગીરવે મુકી રૂ.1.15 લાખની લોન લીધી હતી. બીજા દાગીના વનરાજએ એક સોની વેપારીને વેચ્યા હતા. પોલીસે તે દાગીનાની રિકવરી કરવા તજવીજ હાથ ધરી હતી.