પુત્ર પરિવાર સાથે રાજકોટ સ્થિત માતા-પિતાના ઘરે જતા બંધ મકાનમાંની તિજોરીમાંથી તસ્કરો દાગીના અને રૂ.૧ લાખ રોકડ ઉસેડી ગયા
Gondal,તા,29
ગોંડલમાં ગુંદાળા રોડ પર વ્રજવાટીકા એપાર્ટમેન્ટમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના એક દિવસ માટે બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ અહીં દરવાજાના તાળા તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા એક લાખ સહિત કુલ રૂપિયા 7 લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જે અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ચકાસી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલના ગુંદાળા રોડ પર ગંગોત્રી સ્કૂલ વાળી શેરી વ્રજવાટીકા એપાર્ટમેન્ટમાં ચોથા માળે ફ્લેટ નંબર 404 માં રહેતા રાજદીપભાઈ નંદલાલભાઈ ઉજીયા(ઉ.વ.30) નામના યુવાન દ્વારા ચોરીની આ ઘટના અંગે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજદીપભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
ગઈ તા. 26/4 ના સાંજના સાડા ચારેક વાગ્યે આસપાસ તે તેમના પરિવાર સાથે રાજકોટમાં રહેતા માતા-પિતાના ઘરે આંટો મારવા માટે ગયા હતા. રાજકોટમાં માતા-પિતાના ઘરે રાત રોકાયા બાદ સવારના 7:30 વાગ્યા આસપાસ તેઓ અહીં ઘરે આવ્યા હતા. અહીં આવી જોતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હોય કંઈક અજુગતું બન્યાની શંકા ગઈ હતી. બાદમાં ઘરમાં જઈ જોતા સામાન વેરવિખેર હતો જેથી ચોરી થયાનુ માલુમ પડ્યું હતું.
બાદમાં ઘરમાં તપાસ કરતા તસ્કરોએ દરવાજાનું મુખ્ય તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટના દરવાજા ખોલી કબાટની તિજોરીમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા કિંમત રૂપિયા 6 લાખ અને રોકડ રૂ. 1,00,000 સહિત કુલ રૂપિયા 7 લાખની મત્તા ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે તુરંત આ અંગે પોલીસને જાણ કરી હતી બનાવને લઈ ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ તાકીદે અહીં પહોંચી ગયો હતો. ટ્રાન્સપોર્ટના ધંધાથી યુવાનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી પી.આઈ જે.પી.રાવની રાહબરી હેઠળ ટીમે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
જેતપુરના મકાનના લોકરમાંથી ૮૦ હજાર રોકડની ચોરી
જેતપુરમાં ધોરાજી રોડ પર જાગૃતિનગર ગરબી ચોક પાસે રહેતા લખધીરભાઈ દાદાભાઈ કાળીયા (ઉ.વ.35) દ્વારા જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરે છે અને અહીં પરિવાર સાથે રહે છે. દોઢેક મહિના પહેલા પત્ની ધારાબેનને સાડીનો ધંધો કરવો હોય જેથી પૈસાની જરૂર પડતા દાગીના ગીરવે મૂકી લોન લીધી હતી. જેના રૂપિયા 91,100 મળ્યા હતા. જે રૂપિયા પત્નીને આપ્યા હતા તેણે આ રૂપિયા કબાટના લોકરમાં રાખ્યા હતા તેમજ પગારના રૂપિયા 12000 આપ્યા હતા જે પણ કબાટના લોકરમાં મૂક્યા હતા. જે પૈકી ખર્ચના રૂપિયા ૨૨ હજાર તેમાંથી કાઢ્યા હતા અને આશરે ૮૦ હજાર રોકડ તથા સોનાના દાગીના કબાટના લોકરમાં પડ્યા હતા. દરમિયાન ગઈકાલ રાત્રીના યુવાને પત્નીને કહ્યું હતું કે, ઘરમાં પૈસા રાખવા કરતા બેંકમાં પૈસા મૂકી દઈએ જેથી લોકર ખોલતા અંદર રોકડ રકમ જોવા મળી ન હતી. આ બાબતે પત્નીને પૂછતા તેણે કહ્યું હતું કે છેલ્લે ગઈ તા. 22/4/2026 ના રોજ લોકરમાંથી રૂપિયા 5,000 કાઢ્યા હતા ત્યારે પૈસા હતા. કબાટમાં પૈસાની બાજુમાં દાગીના પડ્યા હોય જેની ચોરી થઈ નથી માત્ર રોકડ રૂપિયા 80,000 ની ચોરી થઈ હોય જેથી ઘરમાંથી કોઈ સભ્યએ ચોરી કરી હોવાની શંકા સાથે યુવાને આ મામલે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પીઆઇ એસ.કે.ગરચર તથા ટીમે તપાસ હાથ ધરી છે.

