શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારતમાં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, મહાકાળી માતા, બહુચર માતાજી, ગાયત્રી માઁ, ચામુંડા માઁ, હિંગળાજ માઁ, ભવાની માઁ, ભુવનેશ્વરી માઁ, આશાપુરા માઁ, મોમાઈ માઁ, હરસિધ્ધિ માઁ, મોઢેશ્વરી માઁ, ઉમિયા માઁ વગેરે દેવીઓનું લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિપુજન કરે છે, તેમાં માનવદેહરૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પુજન થાય છે.
તેમાનાં એક દેવી એટલે ખોડિયાર માતાજી. સૌરાષ્ટ્રનું તળ લોકદેવીઓની પરંપરા સાથે અતૂટ રીતે જોડાયેલું છે. કાઠિયાવાડનું કોઈ ગામ, નગર, નેસ, સીમ, નદી, ડુંગર, ધાર, પાદર એવું નહિ હોય કે જ્યાં આઇ ખોડિયારનું સ્થાનક ન હોય. સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તાર કે જ્યા પહોંચવું પણ કઠિન હોય તેવાં સ્થળોએ પણ ખોડિયાર માતાજીનું સ્થાનક અવશ્ય જોવા મળે.
આપણા ધર્મમાં વૈદિક દેવદેવીઓની સાથે લોકદેવીઓની ઉપાસનાની પરંપરા રહી છે. ગોહિલ અને ચુડાસમા વંશ ઉપરાંત અઢારે વરણમાં કુળદેવી તરીકે પૂજાતા આઈ ખોડીયાર છે. તેમનો જન્મ આશરે 9મીથી 11મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસને ખોડિયાર જયંતી તરીકે ઉજવવામાં આવે છે.
ગુજરાત રાજયમાં અલગ-અલગ સ્થળોએ ખોડિયાર માતાના મંદિરો આવેલા છે. શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે. જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે .
તેમજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં સરધાર ગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં 6 બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે, જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે.
ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે, જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સ્થાનક આવેલા છે. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું નિર્માણ કાગવડ ખાતે 21 જાન્યુઆરી 2017ના રોજ કર્યું છે.
” જય જોગમાયા ખોડિયાર, આદ્યશક્તિનો તું અવતાર
ભક્તજનો સૌ કરે પૂકાર, કૃપા કરજો મા ખોડિયાર”