બીજા વિશ્વયદ્ઘમાં બ્રિટનની નૈયા પાર લગાવનારા વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે સ્વતંત્રતા અને સંપ્રભુતા પ્રત્યે જાગૃત પોતાના દેશને એક અણમોલ સંદેશ આપ્યો હતો, ‘જે ઇતિહાસમાંથી કશું નથી શીખતા, તેમની નિયતિ હોય છે ઇતિહાસને દોહરાવવો.’ ભારત પણ પોતાના સૈન્ય ઇતિહાસના બે પાઠ ક્યારેય ભૂલાવી ન શકે. પહેલો ૧૯૬૨ના ચીનના હુમલામાં મળેલી કારમી હાર અને બીજો ૧૯૭૧ના ભારત -પાકિસ્તાન યુદ્ઘમાં અભૂતપૂર્વ વિજયનો. આ બંને અવસરો પર દેશના શીર્ષ નેતૃત્વને સશસ્ત્ર સેનાઓ દ્વારા કેટલાક અપ્રિય સંદેશ મળ્યા હતા. ચીની હુમલામાં અઢી વર્ષ પહેલાં ૧૯૬૦માં લેફ્ટેનન્ટ જનરલ થોરાટે મેકમેહોન લાઇન પર સંભવિત ચીની આક્રમણની ચેતવણી આપીને કહ્યું હતું કે ભારતમાં આવા આક્રમણનો સામનો કરવાની ક્ષમતા નથી. વર્ષ ૧૯૬૧માં સેનાએ એવી ચેતવણી ફરીથી આપી, પરંતુ તત્કાલીન રક્ષા મંત્રી કૃષ્ણ મેનન અને પંચશીલ સિદ્ઘાંતોના રાગમાં ગુલતાન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેને નકારી દીધી. સત્તાધીશોની આ ઘાતક બેફિકરાઈનું પરિણામ સર્વવિદિત છે.
૧૯૭૧માં ભારતીય સેનાએ પાકિસ્તાનના અઠ્ઠાણું હજાર સૈનિકોનું આત્મસમર્પણ કરાવીને નવો ઇતિહાસ રચી દીધો. તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી પાકિસ્તાન વિરુદ્ઘ ફેબ્રુઆરી-માર્ચ, ૧૯૭૧માં જ યુદ્ઘ કરવા માગતાં હતાં, પરંતુ તત્કાલીન ખુશ્કીદળના જનરલ સામ માણેકશોએ અનોખી ઇમાનદારી અને સાહસ સાથે વડાપ્રધાનને જણાવ્યું કે તેઓ આ યુદ્ઘ માટે તૈયાર નથી અને યુદ્ઘ લડશે તો જીત સુનિશ્ચિત કર્યા બાદ. વડાપ્રધાને માણેકશોની એ વાત માની લીધી. ડિસેમ્બર, ૧૯૭૧માં એ સલાહથી મળેલા સુખદ પરિણામને પણ દોહરાવવાની જરૂર નથી. આ બંને શિખામણોના સંદર્ભમાં વર્તમાન વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ અમૃતપ્રીત સિંહે સ્પષ્ટ શબ્દોમાં સરકારનું ધ્યાન વાયુસેનાની કમજોર કડીઓ તરફ ખેંચ્યું છે. આ કમજોર કડીઓ છે યુદ્ઘ વિમાનોની ચિંતાજનક અછત અને તેના માટે જવાબદાર સરકારી ક્ષેત્રની કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ની કાચબાછાપ ગતિ. આ ભારત સરકારનું એક જાહેર સાહસ છે, જેની સ્થાપના ૧૯૪૦માં થઈ અને ૧૯૬૪માં કંપનીને આ નામ આપવામાં આવ્યું.
અસલમાં તાજેતરમાં જ બેંગલુરુમાં થયેલ એરો-ઇન્ડિયા પ્રદર્શનમાં એક વિમાનનું ટેસ્ટિંગ કરતાં વાયુસેના અધ્યક્ષ એચએએલના અધિકારીઓને એમ કહેતાં સાંભળવા મળ્યા કે તેમને સરકારી માલિકીની આ કંપની પર ભરોસો નથી. સમય પર વિમાનોની ડિલીવરી નહીં આપી શકવાના પોતાના ખરાબ ટ્રેક રેકોર્ડને કારણે તેમણે હિંદુસ્તાન એરોનોટિક્સની મજાક ઉડાવી અને તેને મિશન મોડ પર નહિ હોવાનો આરોપ લગાવ્યો. વાયુસેનાધ્યક્ષ વસ્તુતઃ તેજસ એમકે-૧એ ફાઇટર જેટની સમયસર ડિલીવીર સુનિશ્ચિત કરી શકવામાં એચએએલની નિષ્ફળતાથી નારાજ હતા. વાયુસેનાધ્યક્ષની કડક ટિપ્પણી બાદ એચએએલ પ્રબંધને તરત પ્રતિક્રિયા આપતાં કહ્યું કે જે ટેકનિકલ સમસ્યાઓ હતી તે દૂર કરી લેવામાં આવી છે અને હવે જલ્દી તેજસ વિમાનની ડિલીવરી શરૂ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે એચએએલે ૨૦૨૫માં ભારતીય વાયુસેનાને ૧૬ એલસીએ એમકે-૧એ જેટ વિમાન આપવાનો વાયદો કર્યો છે, જેમાં ૨૦૨૯ સુધી કુલ ૮૩ જેટ હશે. વાયુસેનાધ્યક્ષની કડક ટિપ્પણી બાદ એચએએલની કોઇપણ સફાઈનો કશો મતલબ નથી. અનેક વિશેષજ્ઞોએ વાયુસેનાધ્યક્ષના ક્ષોભને વાજબી ગણાવતાં કહ્યું કે કેટલીય વાર વિમાનોની અકુશળતાની કિંમત પાયલટોએ ચૂકવવી પડે છે. એચએએલની કાર્યકુશળતા પર ગંભીર સવાલ ઉઠાવતાં વાયુસેનાધ્યક્ષે જણાવ્યું કે પાકિસ્તાન અને ચીનના બેવડા મોરચે યદ્ઘ એ ભારતીય વાયુસેના માટે સંકટપૂર્ણ રહેશે, જેની પાસે જરૂરી ૪૨ સ્ક્વોડ્રનને બદલે માત્ર ૩૧ ફાઇટર જેટ સ્ક્વોડ્રન છે. ઉડતા તાબૂતના નામે કુખ્યાત જૂનાં મિગ-૨૧ અને મિગ-૨૩ વિમાનોનું સ્થાન લેવા માટે જે આધુનિક સુપરસોનિક હળવા યુદ્ઘ વિમાન (લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ)ની પરિકલ્પના ૧૯૮૦માં કરવામાં આવી હતી, એચએએલે તેનું પહેલું વ્યાવહારિક સ્વરૂપ ૨૦૧૧માં રજૂ કર્યું હતું! પરંત તેનું અંતિમ ઓપરેશનલ ક્લિયરન્સ તે ૨૦૧૬ પહેલાં ન આપી શકી. પછી એચએએલે ૨૦૨૦ સુધી ૪૦ તેજસ વિમાન વાયુસેનાને સોંપવા અને તેજસનું ઉત્કૃષ્ટ સંસ્કરણ તેજસ માર્ક-૧એ રૂપે આપવાનો વાયદો કર્યો.