Vadodara,તા.27
વડોદરા શહેરના લક્કડપીઠા વિસ્તારમાં બનેલી આગની ગોઝારી દુર્ઘટના બાદ ત્યાંના અસરગ્રસ્તો પાસેથી રૂ.44 કરોડ તથા વ્યાજની બાકી વસૂલાતમાં કોર્પોરેશને અસરકારક કામગીરી શરૂ કરી છે. આ માટે જે તે અસરગ્રસ્ત ઉપર ટેક્સ નાખવા અથવા તેની મિલકત પર બોજો નાખવાની કાર્યવાહી ટૂંકમાં હાથ ધરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું.
શહેરના મદનઝાપા રોડ પર વર્ષો અગાઉ લક્કડપીઠા ખાતે આગની ગોઝારી દુર્ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને ઓલવવામાં નોંધપાત્ર સમય લાગ્યો હતો. જે બાદ શહેરીજનોના હિતને ધ્યાનમાં રાખીને લક્કડપીઠા અહીંથી ખસેડીને ડભોઇ રોડ ખાતે શિફ્ટ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને આ જગ્યા પર કોર્પોરેશન અન્ય સુવિધા ઉભી થાય તે પ્રમાણેનું આયોજન કરશે તેમ નક્કી થયું હતું. લક્કડપીઠાના અસરગ્રસ્તોને ડભોઇ રોડ ખાતે જગ્યા ફાળવી આપ્યા બાદ ઘણા બધા અસરગ્રસ્તો અહીંથી હટયા ન હતા અને તેઓએ અહીંનો પોતાનો હક છોડ્યો ન હતો. સમગ્ર ઘટનામાં મામલો સ્થાનિક, વડી અને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો. દરમિયાન લક્કડપીઠાના અસરગ્રસ્તોએ પાલિકા વિરુદ્ધ કન્ટેપ્ટની કાર્યવાહી કરી હતી, જોકે પાછળથી તેઓએ આ અરજી વિડ્રોઅલ પણ કરી દીધી હતી.
લક્કડપીઠના અસરગ્રસ્તો પાસેથી રૂપિયા 44 કરોડ વસૂલવાનો ચુકાદો વર્ષ 2016માં હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. લક્કડપીઠાના અસરરસ્તોને અન્ય જમીન ફાળવ્યા બાદ કોર્પોરેશને આ માટે વળતર ચૂકવી જમીન સંપાદનની કાર્યવાહી પણ પૂર્ણ કરી છે. અહીં વોર્ડ કચેરી, પાણીની ટાંકી અને ફાયર બ્રિગેડ બનાવવાનું આયોજન કર્યું હતું પરંતુ અહીંના અસરગ્રસ્તોએ કામગીરી થવા દીધી ન હતી.
હવે વડોદરા કોર્પોરેશને અહીંના અસરગ્રસ્તો પાસેથી બાકી નાણાંની રિકવરીની કામગીરી ઝડપથી થાય તે પ્રમાણેનું આયોજન હાથ ધર્યું છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, જે લોકો પાસેથી પૈસા વસુલાના બાકી છે તેઓ પાસેથી ટેક્સરૂપે અથવા મિલકત પર બોજો નાખીને નાણાં વસૂલવાની કાર્યવાહી શરૂ કરવાની તૈયારીમાં છીએ. આ માટે નોટિસ સહિતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ જુના લક્કડપીઠા ખાતે ઘણી જગ્યા ખુલ્લી છે પરંતુ જો સમગ્ર જમીન ખુલ્લી મળી જાય તો અહીં ખૂબ સુંદર આયોજન થઈ શકે તેમ છે. જેને ધ્યાનમાં રાખીને રિકવરી કરવાની કામગીરીમાં ઝડપ લાવવામાં આવશ
લક્કડપીઠા વિવાદમાં કહેવાય છે કે, વર્ષ 2016માં હાઇકોર્ટે રૂપિયા 44 કરોડ વસૂલવાનો આદેશ આપ્યો હતો. ત્યારે જો કોર્પોરેશનના કાયદા મુજબ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીએ તો કદાચ આજે તે રકમ વધીને અંદાજે રૂપિયા 100 કરોડ પણ થઈ શકે છે! કોર્પોરેશનને આટલી મોટી માતબર રકમ મળે તો તેનાથી ખૂબ મોટા વિકાસના કામનું આયોજન પણ હાથ ધરાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટના ચુકાદાના આધારે અંદાજે 8થી 10 વર્ષ અગાઉ કોર્પોરેશને શકરીબાઈની વિધવાને નાણા પણ ચુકવ્યા હતા.