ગુજરાતીઓની માનસિક સ્થિતિ હવે એવી થતી જાય છે કે તેને અંગ્રેજી વગર ચાલતું નથી. સવાલ એ છે કે ઈંગ્લેંડની માતૃભાષા ગુજરાતી ન હોય તો ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કેવી રીતે હોય? છતાં વાતાવરણ તો અંગ્રેજીનું જ વિશેષ થતું જાય છે. ગુજરાતી ભાષા પ્રાથમિક શિક્ષણની શરૃઆતથી બાળક શીખે છે અને ધોરણ ૧૦-૧૨ સુધી એક વિષય તરીકે સ્કૂલોમાં શીખવવામાં આવે છે. આટલાં લાંબા વર્ષનાં શિક્ષણ પછી પણ, મોટાભાગના બહુમતી ગુજરાતી લોકોને ગુજરાતી લખવા, વાંચવા અને બોલવાની તકલીફ પડે છે. માતૃભાષા ગુજરાતી હોવા છતાં બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં જ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નાપાસ થયા છે. ધોરણ ૧૦નું વર્ષ ૨૦૨૫નું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું, તોય ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં નાપાસ થયા છે ! એનું મુખ્ય કારણ, ગુજરાતનાં શિક્ષણ વિભાગ દ્વારા સામાન્ય જન માટે થતી ભાષાની ઘોર ઉપેક્ષા છે. દુનિયામાં સૌથી વધુ બોલાતી દસ ભાષાઓમાં હિન્દી ત્રીજા ક્રમે અને બંગાળી છઠ્ઠા ક્રમે છે, ગુજરાતી ૨૯માં ક્રમે છે. દુનિયામાં ૬.૫૦ કરોડથી વધુ લોકો ગુજરાતી બોલે છે. ભાષાને આધારે અલગ ગુજરાત રાજ્ય માટે ’મહાગુજરાત’ આંદોલન થયું, અને અલગ રાજ્ય મળ્યું, પણ, વ્યવહાર ગુજરાતી ભાષાને ભોગે, અંગ્રેજીમાં કરવાની ફેશનમાં તે એટલે સુધી કે રોડ પરની દુકાનો, રેસ્ટોરન્ટ્સ, મોલ અને ગુજરાતી માધ્યમની શાળાના નામ વગેરેનાં બોર્ડ અંગ્રેજી થઈ રહ્યા છે.
હાલની પરિસ્થિતિ એવી છે કે ગુજરાતીની અવગણના કરીને બોર્ડનાં નામો અંગ્રેજીમાં ચીતરાય છે. મલ્ટિનેશનલ બ્રાન્ડ કે કેટલીક ઇંડિયન બ્રાન્ડ્સ અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ બોર્ડ રાખે છે, મહારાષ્ટ્રમાં મરાઠીમાં સાઇન બોર્ડ ન હોય તો દુકાનદારો પર હુમલા થયા છે, બેન્કોનું કામ મરાઠીમાં જ થાય તેવી માંગ થઈ છે, દક્ષિણ ભારતનાં રાજ્યો હિન્દી કરતાં પોતાની ભાષાને વધુ મહત્ત્વ આપે છે, પણ ગુજરાત એ ભૂલી ગયું છે કે ગુજરાતની ઓળખ ગુજરાતીને લીધે છે. બહારથી આવતા આઇએએસ કે આઇપીએસ ગુજરાતમાં આવીને ગુજરાતી શીખી લે છે ને વક્રતા એ કે ગુજરાતી બાળક અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવે છે. દરેક રાજ્યમાં પોતપોતાની ભાષા માટે અલગ વિભાગ ને મંત્રાલય છે. આખા દેશમાં ભાષા વ્યવહાર સરળ રહે એ માટે હિંદીને રાષ્ટ્રભાષા તરીકે ઘોષિત કરવામાં આવી. એ જ રીતે રાજ્યો માટે ગુજરાતી, મરાઠી, કન્નડ, તમિલ વગેરે ભાષાઓનું શિષ્ટ રૃપ માન્ય ગણાયું. એ દરેક રાજ્યોને તેમની બોલીઓ તો છે જ, પણ તે ચોક્કસ પ્રદેશ કે જાતિ પૂરતી સીમિત છે.
ભાષા સરળ થઈ શકતી હોય તો તેને અઘરી ન જ કરવી જોઈએ. ગ્રામીણ બાળકો સંદર્ભે એક જ પ્રકારનાં પાઠયપુસ્તકો પણ ડ્રોપઆઉટનો રેશિયો વધારે કરી શકે છે. આ બધી જ દલીલોમાં તથ્ય છે, પણ પાઠયપુસ્તકો શહેરી બૌદ્ધિકતાનો જ પડઘો છે એવું નથી. પાઠયપુસ્તકો તૈયાર થાય છે, એમાં ગ્રામજીવનનો પડઘો પણ પડતો જ હોય છે. ઉલ્લેખનીય છે કે, ભારતનાં બંધારણનાં આઠમાં પરિશિષ્ટમાં ૨૨ મુખ્ય ભાષાઓને ભારતની અધિકૃત ભાષાઓ ગણવામાં આવેલી છે. તેમાં ગુજરાતી પણ છે. આમ તો ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કુલ ૧૯૫૬૯ ભાષા નોંધાયેલી છે.