Ahmedabad,તા.29
મનરેગા કૌભાંડ આચરી લાખો રૂપિયા સેરવી લીધાં છે. આ કૌભાંડને પગલે મંત્રી બચુ ખાબડનુ મંત્રીપદનું આસન હાલકડોલક થવા માંડ્યુ છે. સચિવાલયમાં મંત્રી ખાબડને નહી આવવા સૂચના અપાઈ હોવાની ચર્ચા છે. તેઓ કેબિનેટની બેઠકમાં પણ ગેરહાજર રહ્યાં હતાં જેના કારણે ખાબડની હકાલપટ્ટી નક્કી માનવામાં આવી રહી છે.
હું ભાગેડુ નથી તેવી ડીંગો હાંકતાં બચુ ખાબડ કેબિનેટની બેઠકમાંય હાજર રહ્યાં ન હતાં. સચિવાલયમાં ચર્ચા છે કે, ખાબડને સચિવાલયમાં નહી આવવા જણાવી દેવાયુ છે. છેલ્લા બે અઠવાડિયાથી તેઓ સચિવાલયમાં આવતાં જ નથી.
સ્વર્ણિમ સંકુલ-2 માં મંત્રીની ચેમ્બર ખાલીખમ પડી છે. મુલાકાતીઓ પણ ડોકાતા નથી. માત્ર પટાવાળા સિવાય સ્ટાફ પણ દેખાતો નથી. અત્યારે તો બચુ ખાબડ જાણે ખાતા વિનાના પ્રધાન બન્યાં છે. મનરેગા કૌભાંડને પગલે ભ્રષ્ટાચારનો ડાઘ લાગ્યો છે તેમ છતાંય સરકાર હાલ મૌન ધારણ કરીને બેઠી છે.
ઉલ્લેખનીય છે કે, બચુ ખાબડના બંને પુત્રોને જામીન તો મળ્યાં હતાં પણ ગણતરીની મિનીટોમાં જ પોલીસે ઉપલી કોર્ટમાં જામીન રદ કરવા અરજી કરી હતી. આમ, બચુ ખાબડ અને પુત્રોને હાલ રાહત મળે તેમ લાગતુ નથી. એટલુ જ નહીં, ખાબડની મંત્રીપદેથી વિદાય લગભગ નક્કી માનવામાં આવી રહી છે.ગરીબો-સ્થાનિક ગરીબોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુ સાથેની યોજના પણ હવે ભ્રષ્ટાચારી નેતાઓ માટે કમાણીની યોજના બની રહી છે. સત્તાના જોરે મંત્રીપુત્ર, પરિવારજનો અને ભ્રષ્ટ અધિકારીએ મિલીભગતથી દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચર્યું છે. જેમાં મંત્રીપુત્રની એજન્સીને 100 કરોડ રૂપિયા નહીં, પરંતુ 250 કરોડ રૂપિયા ચૂકવાયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવાઈની વાત તો એછે કે, સ્થળ પર કામો થયા નથી. તેમ છતાંય લાખો કરોડોના બિલો ચૂકવી દેવામાં આવ્યાં છે.
મનરેગા કૌભાંડે ભાજપ સરકારની પ્રતિષ્ઠા ખરડી છે જેના કારણે ગુજરાત મુલાકાત વખતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રી બચુ ખાબડથી અંતર જાળવવાનું પસંદ કર્યુ હતું. મંત્રી ખાબડને દાહોદ ઉપરાંત ગાંધીનગરમાં સરકારી કાર્યક્રમમાં નહી આવવા સૂચના અપાઇ હતી. હાઇકમાન્ડના આદેશને પગલે હવે તેઓ સચિવાલયમાં પણ ડોકાયા નથી.