Surendranagar,તા.06
વિરમગામ શહેરમાં માંડલ શંખેશ્વર અને પાટડીને જોડતા રસ્તા ઉપર અલીગઢ હેલીપેડ ગ્રાઉન્ડ પાસે જીવતા વાયર સાથેનો વીજ પોલ છેલ્લા ઘણા સમયથી નમી ગયો છે. જીવતા હેવી વાયર વાળો પડું પડું થતા વીજ પોલના કારણે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભિતી વ્યાપી છે.વિરમગામ માંડલ શંખેશ્વર પાટડી હાઇવે જોડતા અલીગઢ હેલીપેડ ગ્રાઉન્ડ પાસે રસ્તાની બાજુમાં લોખંડનો વીજ પોલ ઉપરથી હેવી લાઇનના વાયર પસાર થાય છે. વાયર કેટલાય સમયથી નમી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. આ વીજ પોલ વરસાદી ગટરની અંદર હોવાથી ગમે તે સમયે પડું પડું થઈ રહ્યો છે. આ રોડ પર દરરોજ નાના મોટા વાહનો દિવસ રાત્રીના પસાર થતા હોય છે. તેમજ શહેરમાંથી સવારે અને રાત્રિના ચાલવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો આવતા જતા હોય છે. નજીકમાં ઉત્તર વીજ કંપનીની ઓફિસ આવેલી છે છતાં આ નમી ગયેલોે વીજ પોલ કોઈ કર્મચારીને નજરે ચડતો નથી. આ રોડ ઉપર પડશે તો જાનહાની થવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. જવાબદાર તંત્ર વીજ પોલ ને ચોમાસા પહેલા બદલવા જરૃરી કાર્યવાહી કરે તેવું શહેરીજનો અને વાહન ચાલકો જણાવી રહ્યા છે.