બેંગલુરુમાં એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ની ઐતિહાસિક આઇપીએલ જીતનું જશ્ન જે રીતે એક માતમમાં ફેરવાઈ ગયું, તે સ્તબ્ધ કરનારું અને હૃદયવિદારક પણ છે. ઉલ્લેખનીય છે કે હજારો ઉત્સાહી પ્રશંસકો ટીમના પહોંચવાના કલાકો પહેલાં જ સ્ટેડિયમની બહાર જમા થવા લાગ્યા હતા. સ્ટેડિયમ અંદરથી તો ઠસોઠસ ભરેલું જ હતું, તેની બહાર અને આસપાસની સડકો પર પણ જબરદસ્ત જામની સ્થિતિ હતી. આલમ એ હતો કે લગભગ ૫૦૦૦ સુરક્ષાકર્મી મળીને પણ આ ભીડને નિયંત્રિત કરવામાં અસમર્થ જ દેખાઈ રહ્યા હતા. ત્યારબાદ મચેલી ભાગદોડમાં ૧૧ જેટલા લોકોનાં મોત થયાં અને છ વર્ષની બાળકી સહિત કેટલાય લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ભાગદોડ દરમ્યાનનાં જે દૃશ્યો વાયરલ થયાં છે, તે ધ્રુજારી આપી જાય તેવાં છે. આ સમગ્ર ઘટના અસલમાં પ્રશાસનની લાપરવાહી અને ભીડના વ્યવસ્થાપનમાં નિષ્ફળતાને જ ઉજાગર કરે છે. એવા પણ અહેવાલો આવ્યા છે કે પ્રશાસને વિક્ટ્રી પરેડ નહિ કરવાની ભલામણ છતાં ટીમ મેનેજમેન્ટ અને ત્યાંની કોંગ્રેસ સરકારે ધરાર આ આયોજન કર્યું.
આઇપીએલની અઢાર સિઝન સુધીના લાંબા ઇંતેજાર બાદ પોતાનો પહેલો આઇપીએલ ખિતાબ જીતનારી આરસીબી ટીમને લઈને પ્રશંસકોનો ઉત્સાહ અનપેક્ષિત ન હતો, બલ્કે સ્વાભાવિક જ હતો. બેંગલુરુ જેવા પ્રગતિશીલ છબિ ધરાવતા મહાનગરમાં આટલા મોટા આયોજન માટે પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા જ ન હોય તો સવાલ તો ઉઠશે જ. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર ભલે એમ કહી રહ્યા હોય કે યુવા અને ઉત્સાહી ભીડ પર સંપૂર્ણ રીતે લાઠીચાર્જ નહોતા કરી શકતા, પરંતુ સવાલ એ છે કે ભીડને નિયંત્રિત કરવાના વૈકલ્પિક ઉપાય, જેમ કે પર્યાપ્ત બેરિકેડિંગ, વધારાના પોલીસ દળની તૈનાતી, આપાતકાલીન નિકાસની વ્યવસ્થા વગેરે પહેલેથી કેમ ન કરવામાં આવ્યું. ભાગદોડ દરમ્યાન પ્રશાસન અન ેપોલીસ વ્યવસ્થાનું આ રીતે અસહાય દેખાવું ખરેખર આઘાતજનક હતું. એવા સમાચારો પણ છે કે આરસીબીએ પોતાના પ્રશંસકોમાં મફત પાસ વહેંચ્યા, જેને કારણે ભીડ આટલી બધી વધી ગઈ. તેથી બીસીસીઆઇ પણ પોતાની જવાબદારીથી બચી ન શકે. એ દુઃખદ જ હતું કે સ્ટેડિયમની બહાર લોકો મરી રહ્યા હતા અને અંદર ટીમ અને આયોજકો જશ્ન મનાવી રહ્યા હતા. આ દુર્ઘટના આપણને એ ઘટનાઓની યાદ દેવડાવે છે, જેમાંથી આપણે ભવિષ્ય માટે બોધપાઠ લેવાની જરૂર છે. મોટા સાર્વજનિક આયોજનોમાં ભીડ વ્યવસ્થાપન એક વિજ્ઞાન છે, જેને ટેકનિક, પ્રશિક્ષણ અને યોજના દ્વારા લાગુ કરવું જોઇએ. એવામાં સરકાર, પોલીસ અને આયોજકોએ મળીને સુનિશ્ચિત કરવું જોઇએ કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકી શકાય. આ દુઃખદ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ અને દોષીઓને સખત સજા પણ મળવાની સાથે એ પણ જરૂરી છે કે ભવિષ્યમાં આ પ્રકારના આયોજનો માટે માપદંડ સંચાલન પ્રક્રિયા (એસઓપી) નક્કી કરવામાં આવે, જેનું પાલન અનિવાર્ય હોય.