Ahmedabad,તા.૧૦
વટવામાં ર૦ દિવસની બાળકીને રમાડવાના બહાને લઈ જઈ વેચી દેવાની ઘટના માત્ર એક પોલીસ કેસ નથી. આ ઘટનાએ ગેરકાયદે બાળક દત્તક લેવાના કાળા કારોબાર તરફ ફરી એક વાર ધ્યાન દોર્યું છે. બાળકોનાં ખરીદ-વેચાણનું નેટવર્ક વર્ષોથી વિવિધ રાજ્યમાં સક્રિય છે અને તેમાં વચેટિયાઓ, ગરીબ પરિવારો, નકલી દસ્તાવેજો તથા બાળક દત્તક લેવા આતુર દંપતીઓ સુધીની આખી સાંકળ કામ કરતી હોય છે. કાયદાને બાયપાસ કરીને બેબી માર્કેટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે.
ભારતમાં બાળકને દત્તક લેવાની કાયદેસર પ્રક્રિયા લાંબી અને કડક હોવાથી કેટલાક લોકો ગેરકાયદે રસ્તો અપનાવે છે. ખાસ કરીને નવજાત બાળકની માગ સૌથી વધુ હોવાથી આવાં બાળકો માટે લાખો રૂપિયાના સોદા થતા હોવાના અનેક કેસ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આવા રેકેટમાં સૌથી પહેલાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો પર નજર રાખવામાં આવે છે. કેટલીક વખત કુંવારી માતાઓ અથવા ગંભીર આર્થિક સંકટમાં રહેલી મહિલાઓનો સંપર્ક કરવામાં આવે છે. બાળકના બદલામાં રોકડ રકમની ઓફર કરીને બાળકને જન્મ બાદ તરત જ અન્ય વ્યક્તિને સોંપી દેવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયામાં વચેટિયાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓ બાળક લેવા ઇચ્છતા દંપતી અને બાળક આપનાર વ્યક્તિ વચ્ચે કડી તરીકે કામ કરે છે. ત્યાર બાદ ખોટાં જન્મ પ્રમાણપત્ર, નકલી હોસ્પિટલ રેકોર્ડ અને દત્તકના બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને સમગ્ર સોદાને કાયદેસર હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
સોશિયલ મીડિયા પણ આવા રેકેટ માટે માધ્યમ બન્યું છે. વોટ્સએપ ગ્રૂપ, ફેસબુક અને ઓળખાણના નેટવર્ક દ્વારા બાળક દત્તક લેવા ઇચ્છતા લોકો સુધી પહોંચવામાં આવે છે. ત્યાર બાદ લાખો રૂપિયામાં બાળકનો સોદો કરવામાં આવે છે. ગેરકાયદે દત્તક લેવાયેલા બાળકને ભવિષ્યમાં પોતાની ઓળખ, વારસાગત અધિકાર અને જન્મના રેકોર્ડ જેવી અનેક કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી કાયદેસર પ્રક્રિયા સિવાય બાળક દત્તક લેવું કે આપવું ગંભીર ગુનો ગણાય છે.
અમદાવાદમાં અગાઉ એક સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ કોઈ કાયદેસર પ્રક્રિયા વિના અન્ય મહિલાને બાળક સોંપ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે બાળક અને જન્મ આપનાર માતાનું ડીએનએ પરીક્ષણ કરાવ્યું હતું. ડીએનએ મેચ થયા બાદ કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરીને જ બાળક દત્તક આપવામાં આવ્યું હતું.
ફેબ્રુઆરી-ર૦ર૬માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ઉપરાંત તેલંગાણા અને ઉત્તરપ્રદેશ સુધી ફેલાયેલા આ નેટવર્કમાંથી પોલીસે એક નવજાત શિશુને સુરક્ષિત રીતે બચાવ્યું હતું. તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધારો સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બનાસકાંઠાના દાંતા વિસ્તારના વધુ બે આરોપીઓની સંડોવણી પણ સામે આવી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ એજન્ટો પાસેથી આશરે રૂ. પાંચ લાખમાં નવજાત બાળક ખરીદતા, ત્યાર બાદ સંતાનસુખથી વંચિત દંપતીને રૂ. ૧પ લાખ સુધીમાં વેચતા હતા. બાળકને કાયદેસર હોવાનું દર્શાવવા માટે નર્સિંગ હોમ અને હોસ્પિટલોના સહારે બોગસ જન્મ પ્રમાણપત્રો તથા અન્ય દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા, જેથી બાળક ખરીદનાર દંપતીને કાયદાકીય મુશ્કેલી ન પડે. સમગ્ર કેસમાં બાળ તસ્કરીના સંગઠિત નેટવર્કનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

