રાજેશભાઈ પટેલે બોપલ પોલીસ મથકે ચાર આરોપી સામે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી
Ahmedabad, તા.૧૦
Ahmedabadના ઘુમા વિસ્તારમાં આવેલી શ્રી વ્રજશ્યામ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના એક પ્લોટના ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી એક કરોડની લોન મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે ૭૨ વર્ષીય ભાનુબેન રાજેશભાઈ પટેલે બોપલ પોલીસ મથકે ચાર આરોપી સામે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદ મુજબ, ભાનુબેને ડિસેમ્બર-૨૦૨૦માં ઘુમા ગામમાં આવેલો પ્લોટ ખરીદ્યો હતો. ઉંમરના કારણે તેઓ નિયમિત પ્લોટની મુલાકાત લઈ શકતા ન હોવાથી આરોપીઓએ તેનો લાભ લીધો હતો.
દિપક નાનકરામ આહુજા, કમલેશભાઈ શંકરલાલ ગુરનાણી, નિર્મલ કરમચંદ બાલાણી અને ભાવેશ ઘનશ્યામભાઈ બાલાણીએ મળીને સોસાયટીના ચેરમેનની ખોટી સહી અને સિક્કા વડે વર્ષ ૧૯૯૯નું બનાવટી એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ તૈયાર કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ગત ૯ માર્ચે ભાનુબેનનો દીકરો પ્લોટ પર ગયો ત્યારે ત્યાં ટ્્રુહોમ ફાઇનાન્સ લિમિટેડની નોટિસ લાગેલી જોવા મળી હતી. ત્યારબાદ દસ્તાવેજોની તપાસ કરતાં સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે બનાવટી દસ્તાવેજોના આધારે આરોપી નિર્મલ બાલાણીએ અરજદાર અને ભાવેશ બાલાણીએ કો-અરજદાર તરીકે અરજી કરી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ પ્લોટ ગીરો મૂકી રૂપિયા ૧ કરોડની લોન મેળવી હતી.આરોપીઓએ લોનની સંપૂર્ણ રકમ પોતાનાં ઉપયોગમાં લઈ વૃદ્ધા સાથે છેતરપિંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

