Saurashtra-Kutch,તા.13
અમદાવાદ વિમાન દુર્ઘટનાએ સૌરાષ્ટ્ર-કચ્છના સાત પરિવારોના માળા વિખેરી નાંખ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 28 મુસાફરો અમદાવાદથી લંડન જતાં વિમાનમાં હતાં અને તેમનો પતો લાગ્યો ન હોવાથી મૃત્યુ નીપજ્યાં હોવાની આશંકા છે. સૌથી વધુ 15 મુસાફરો દિવના હતાં તેમાંથી એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. જૂનાગઢના નિવૃત્ત અધિકારી અને પરિવારના ત્રણ લોકો, પોરબંદરમાં પતિની વિધી કરીને પરત ફરતાં મહિલા સહિત બ્રહ્મ પરિવારના ત્રણ, વડિયાના એક, જામનગરમાં પિતાની ખબર પૂછી પરત ફરતાં પતિ-પત્ની, કચ્છમાં ધાર્મિક પ્રસંગ ઉજવી પરત જતાં ત્રણ તેમજ વેરાવળમાં પુત્રીના સીમંત પ્રસંગ પછી પરત જતાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં હતાં.
સૌરાષ્ટ્ર-કચ્છના મુસાફરોના મોતથી માહોલ ગમગીન
દીવ વિસ્તારના 15 વ્યક્તિઓ એર ઈન્ડિયાના વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી એક વ્યક્તિ રમેશ 39 વ્યક્તિ વિશ્વાસકુમાર કૂદકો મારી બહાર નીકળી જતાં તેન બચાવ થયો છે. અન્ય 14 લોકોનો હજુ સુધી પતો લાગ્યો નથી. જૂનાગઢમાં કલેક્ટર કચેરી નજીક આવેલી શ્રીધર નગર સોસાયટીમાં રહેતા કૃષિ યુનિવર્સિટીના નિવૃત બાગાયત અધિકારી 65 વર્ષીય રવજીભાઈ ચોવટિયા (ઉ.વ.65)ના પુત્ર લંડનમાં રહે છે. તે પત્ની શારદાબેન ચોવટિયા સાથે જૂનાગઢથી લંડન જવા માટે નીકળ્યા હતા.
બીજી તરફ પુત્રીના સીમંત પ્રસંગમાં જતું વેરાવળનું દંપતી પણ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું છે. વેરાવળમાં નવી હવેલી પાસે રહેતા અને બીએસએનએલમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા રાજુ જીમુલિયાના પુત્ર-પુત્રવધૂ, પુત્રી અને જમાઈ લંડનમાં રહેતા હતા. પુત્રીના સીમંતનો પ્રસંગ હોવાથી રાજુ જીમુલિયા અને તેના પત્ની ભાવનાબેન જીમુલિયા લંડન જવા માટે અમદાવાદથી નીકળ્યા હતા.
ભુજ તાલુકાના કોડકી ગામના 55 વર્ષીય સુરેશ હિરાણી(પટેલ) તેમની સાથે તેમના માતા 85 વર્ષીય રાધાબાઈ અને 26 વર્ષીય પૌત્ર અશ્વિન એક મહિના પહેલા ગામમાં આયોજીત સંપ્રદાયના ધાર્મિક મહોત્સવમાં ભાગ લેવા લંડનથી આવ્યા હતા. પરિણીત પુત્ર અશ્વિન તેના માતા અને દાદીને લઈને અમદાવાદથી લંડન જવા માટે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં બેઠાં હતા.
પોરબંદરના બરડાઈ બ્રહ્મસમાજના એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવગુમાવ્યા છે. લંડન ખાતે પતિની પ્રાર્થનાસભામાં હાજરી આપે તે પહેલાં જ રક્ષાબેન મોઢા, તેમના પુત્રવધૂ યશાબહેન અને પૌત્ર રૂદ્ર વિમાન દુર્ઘટનામાં મૃત્યુપામ્યાં છે.
જામનગરમાં રહેતા હરિહરભાઈ બક્ષી બીમાર હોવાથી તેમના લંડનમાં રહેતા પુત્રી નેહલબેન અને જમાઈ શૈલેષ પરમાર જામનગર આવ્યા હતા અને લંડન જતી વખતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું હતું.
અમરેલી જિલ્લાના વડિયાના વતની અર્જુનભાઈ તાજેતરમાં જ લંડનથી વતન વડિયા આવ્યા હતા. તેમના પત્નીનું લંડનમાં અવસાન થતાં, તેઓ વતનમાં સગા-સંબંધીઓનેત્યાં કેટલીક વિધિઓ અને ફૂલ પધરાવવા માટે આવ્યા હતા. વતનમાં બેસણું અને અન્ય વિધિઓ પૂર્ણ કર્યા બાદ તે પરત લંડન જવા રવાના થયા હતા, ત્યારે રસ્તામાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી.