વિશેષ અહેવાલ:- ભાવિકા લીંબાસીયા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
ડિગ્રી કરતાં સ્કિલને પ્રાધાન્ય: ‘Skills for a Shared Future’ ના મંત્ર સાથે ગુજરાતના યુવાનો બનશે વૈશ્વિક સ્તરે સક્ષમ
બદલાતા ટેક્નોલોજિકલ યુગમાં કૌશલ્ય વર્ધનના સંકલ્પ થકી કૌશલ્યવાન યુવા શક્તિ દ્વારા સાકાર થશે ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ નું સ્વપ્ન
શાળા સ્તરેથી વ્યાવસાયિક શિક્ષણ અને હાઇ-ટેક ITI નું પીઠબળ: ‘MY Bharat’ અને ‘મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના’ અને ‘SSIP’ દ્વારા યુવાનો બની રહ્યા છે આત્મનિર્ભર
AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ગ્રીન સેક્ટરમાં રોજગારીની નવી ક્ષિતિજો: બદલાતા જોબ માર્કેટ માટે સજ્જ થતું ગુજરાતનું યુવાધન
આજના ઝડપથી બદલાતા ડિજિટલ અને ટેક્નોલોજિકલ યુગમાં કોઈપણ દેશની સાચી મૂડી અને શક્તિ તેનું યુવાધન છે. પરંતુ આ યુવાધન ત્યારે જ રાષ્ટ્રના વિકાસની મુખ્ય ધારામાં સક્રિય ભાગીદાર બની શકે, જ્યારે તે આધુનિક સમયની જરૂરિયાતો મુજબના ઉચ્ચ અને વ્યવહારુ કૌશલ્યોથી સજ્જ હોય. આ વૈશ્વિક આવશ્યકતાને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા દર વર્ષે ૧૫ જુલાઈના રોજ વૈશ્વિક સ્તરે ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ (World Youth Skills Day) ઉજવવામાં આવે છે.
યુવા બેરોજગારીના વૈશ્વિક સંકટને નાથવા અને યુવાનોને સન્માનજનક આજીવિકા તરફ વાળવા માટે ડિસેમ્બર ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા એક ઐતિહાસિક પ્રસ્તાવ પસાર કરીને ૧૫ જુલાઈ ૨૦૧૫ના રોજ પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૬ની થીમ અને ઉજવણીનો મુખ્ય આશય
વર્ષ ૨૦૨૬માં આ ખાસ દિવસની ઉજવણી “Skills for a Shared Future” (સહિયારા ભવિષ્ય માટેના કૌશલ્યો) ની વિશેષ થીમ હેઠળ કરવામાં આવી રહી છે, જે બદલાતા ઔદ્યોગિક, ટેક્નોલોજિકલ અને સામાજિક વાતાવરણમાં યુવાનોની આંતરિક સક્ષમતા વધારવા પર વિશેષ ભાર મૂકે છે. આ ઉજવણીનો મુખ્ય આશય માત્ર પરંપરાગત શૈક્ષણિક ડિગ્રીઓ આપવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ યુવાનોને એવા વ્યવહારુ, ટેકનિકલ અને વ્યાવસાયિક કૌશલ્યો પૂરા પાડવાનો છે જેનાથી તેઓ ગરિમાપૂર્ણ રોજગારી, યોગ્ય વેતન અને સફળ ઉદ્યોગસાહસિક બનવાની ક્ષમતા મેળવી શકે.
વર્તમાન વૈશ્વિક આર્થિક ચિત્ર તરફ નજર કરીએ તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)ના તાજેતરના અહેવાલો મુજબ વૈશ્વિક યુવા બેરોજગારીનો દર ઘટીને ૧૩% થયો છે, જે છેલ્લા ૧૫ વર્ષમાં સૌથી નીચો આંકડો છે, જે એક હકારાત્મક સંકેત છે. જોકે આ સુધારો સમગ્ર વિશ્વમાં એકસરખો કે સમાન નથી. વૈશ્વિક સ્તરે આજે પણ દર પાંચમાંથી એક યુવાન ‘NEET’ (Not in Education, Employment, or Training) એટલે કે શિક્ષણ, રોજગાર કે કોઈ ચોક્કસ તાલીમ સાથે જોડાયેલો નથી, જેમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે યુવતીઓનું પ્રમાણ યુવકો કરતાં બમણાથી પણ વધુ છે. આ ઉપરાંત, કામ કરતા કુલ યુવાનોમાંથી અડધાથી વધુ યુવાધન આજે પણ અસંગઠિત ક્ષેત્રોમાં કોઈપણ પ્રકારની સામાજિક કે આર્થિક સુરક્ષા વિના કામ કરી રહ્યું છે.
આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ, રોબોટિક્સ અને ઓટોમેશનના પ્રચંડ પ્રભાવના કારણે પરંપરાગત અને રૂટિન કામો હવે મશીનો અને સોફ્ટવેર દ્વારા થઈ રહ્યા છે. પરિણામે, જોબ માર્કેટમાં માત્ર સામાન્ય ડિગ્રીધારકોને બદલે ડેટા એનાલિટિક્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સાયબર સિક્યોરિટી, ડિજિટલ માર્કેટિંગ અને ગ્રીન ટેકનોલોજી જેવા હાઇ-ટેક કૌશલ્યો તેમજ લીડરશિપ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ક્રિએટિવ થિંકિંગ અને ઇફેક્ટિવ કમ્યુનિકેશન જેવા સોફ્ટ સ્કિલ્સ ધરાવતા યુવાનોની માંગ અને અનિવાર્યતા અભૂપૂર્વ રીતે વધી ગઈ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન: ‘સ્કિલ ઇન્ડિયા મિશન’ અને ‘નવી શિક્ષણ નીતિ (NEP)
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ અને સક્ષમ માર્ગદર્શન હેઠળ ભારત સરકારે દેશના કરોડો યુવાનોને વૈશ્વિક સ્તરે હરીફાઈ કરવા સક્ષમ બનાવવા માટે અનેક દૂરગામી અને ક્રાંતિકારી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકી છે. વડાપ્રધાનશ્રીના ‘કુશળ ભારત, સમૃદ્ધ ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે વર્ષ ૨૦૧૫માં દેશમાં વિધિવત રીતે ‘સ્કિલ ઇન્ડિયા મિશન’ ની શરૂઆત કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો મુજબ ગુણવત્તાયુક્ત તાલીમ આપવાનો છે. આ મિશન અંતર્ગત કાર્યરત ‘પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના’ (PMKVY) દ્વારા દેશભરના લાખો યુવાનોને ન્યૂ-એજ ટેક્નોલોજી સહિતના અત્યાધુનિક ક્ષેત્રોમાં તદ્દન મફત કૌશલ્ય વર્ધક તાલીમ અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સર્ટિફિકેશન આપવામાં આવે છે, જેથી ભારતીય યુવાનો વિદેશોમાં પણ રોજગારી મેળવી શકે.
શિક્ષણ પ્રણાલીમાં પાયાનો અને સકારાત્મક સુધારો લાવવા માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં ‘નવી શિક્ષણ નીતિ’ (NEP) લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે માત્ર ગોખણપટ્ટી આધારિત શિક્ષણના બદલે શાળાકીય સ્તરથી જ એટલે કે ધોરણ-૬ થી જ વિદ્યાર્થીઓ માટે વ્યાવસાયિક શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટને નિયમિત અભ્યાસક્રમનો એક અનિવાર્ય ભાગ બનાવવામાં આવ્યો છે.
‘MY Bharat’ પોર્ટલ: દેશના યુવાનો માટે વન-સ્ટોપ ડિજિટલ ઇકોસિસ્ટમ
દેશના યુવાનોના ડિજિટલ સશક્તિકરણ અને એકીકરણ માટે ‘MY Bharat’ (માય ભારત – મેકિંગ ઓફ યુવા ભારત) પોર્ટલ લોન્ચ કરાયું છે. આ પ્લેટફોર્મ એક સર્વગ્રાહી સિંગલ-વિન્ડો ડિજિટલ ઇકોસિસ્ટમ તરીકે કામ કરીને દેશના લાખો યુવાનોને રોજગારીની તકો, કૌશલ્ય વિકાસના અદ્યતન કાર્યક્રમો, સરકારી કલ્યાણકારી યોજનાઓ અને રાષ્ટ્ર નિર્માણની વિવિધ સ્વૈચ્છિક પ્રવૃત્તિઓ સાથે સીધા જોડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે. વડાપ્રધાનશ્રી હંમેશાં માને છે કે, ભારતની ડેમોગ્રાફિક ડિવિડન્ડ એવી યુવા વસ્તીની બહુલતાને જો યોગ્ય કૌશલ્યનું પીઠબળ મળે, તો ભારત આગામી સમયમાં સમગ્ર વિશ્વની ‘સ્કિલ કેપિટલ’ એટલે કે, કૌશલ્યની રાજધાની બની શકે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ITI નું અપગ્રેડેશન અને ‘મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના’
કેન્દ્ર સરકારની આ મજબૂત નીતિઓને પૂરક બનીને અને વડાપ્રધાનશ્રીના વિઝનને રાજ્ય સ્તરે સાકાર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગુજરાતના યુવાનોને સ્થાનિક તેમજ વૈશ્વિક ઉદ્યોગોની જરૂરિયાતો અનુસાર સજ્જ કરવા માટે એક અત્યંત મજબૂત અને પ્રેરણાદાયી મોડેલ વિકસાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ટેકનિકલ અને વ્યવસાયિક શિક્ષણ (TVET)ના માળખાને વધુ આધુનિક અને સુદ્રઢ બનાવ્યું છે. આ અંતર્ગત રાજ્યની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ને કોર્પોરેટ સેક્ટર અને અગ્રણી ઉદ્યોગોના સહયોગથી હાઇ-ટેક કૌશલ્ય કેન્દ્રો તરીકે અપગ્રેડ કરવામાં આવી છે. અહીં ડ્રોપ-આઉટ થયેલા, ગ્રામીણ અને આર્થિક રીતે નબળા વર્ગના યુવાનોને ટૂંકા ગાળાના, પરિણામલક્ષી અને ઉચ્ચ વેતન આપતા રોજગારલક્ષી કોર્સ કરાવવામાં આવે છે.
સ્ટાર્ટઅપ પોલિસી (SSIP) દ્વારા યુવાનોનું આર્થિક સશક્તિકરણ
યુવાનોને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન ન મળે પરંતુ અભ્યાસની સાથે પ્રત્યક્ષ ઉદ્યોગોમાં કામ કરવાનો વાસ્તવિક અનુભવ મળી રહે તે માટે રાજ્યમાં ‘મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના’ ખૂબ જ સફળતાપૂર્વક અને વ્યાપક સ્તરે ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ યુવાનોને દેશના અગ્રણી અને પ્રતિષ્ઠિત ઔદ્યોગિક એકમોમાં ઑન-ધ-જોબ ટ્રેનિંગ આપવાની સાથે સાથે તેઓ આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે સરકાર તરફથી ઉદાર નાણાકીય સ્ટાઇપેન્ડ સબસિડી પણ સીધી તેમના બેંક ખાતામાં પૂરી પાડવામાં આવે છે.
ગુજરાતના યુવાનો માત્ર નોકરી શોધનારા (Job Seekers) બનવાના બદલે અન્ય અનેક લોકોને રોજગારી પૂરી પાડનારા સફળ ‘ઉદ્યોગસાહસિકો’ (Job Creators) બને તે માટે રાજ્ય સરકારે ‘સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી’ (SSIP) ને વધુ વ્યાપક બનાવી છે. આ વિશિષ્ટ નીતિ અંતર્ગત યુનિવર્સિટીઓ અને કોલેજોના વિદ્યાર્થીઓના નવીન વિચારો અને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટે મોટી આર્થિક સહાય, કાનૂની માર્ગદર્શન અને પેટન્ટ ફાઇલિંગ તેમજ ઇન્ક્યુબેશન સપોર્ટ પૂરો પાડવામાં આવે છે, જેના કારણે આજે ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં દેશમાં સતત મોખરાનું સ્થાન જાળવી રહ્યું છે. વળી, ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા યુવાનો સુધી ડિજિટલ ક્રાંતિના લાભો પહોંચાડવા અને ડિજિટલ અસમાનતા દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ડિજિટલ સાક્ષરતા અભિયાનો અને કૌશલ્ય વર્ધક કેન્દ્રો (KVK) કાર્યરત કરવામાં આવ્યા છે.
ભવિષ્યની નવી ક્ષિતિજો: વર્ષ ૨૦૩૦ સુધીમાં લાખો ‘ગ્રીન જોબ્સ’ ના સર્જનની સંભાવનાઓ
આગામી સમયમાં વૈશ્વિક સ્તરે રોજગારીના સમીકરણો સંપૂર્ણ બદલાવા જઈ રહ્યા છે. પર્યાવરણીય સંતુલન અને જળવાયુ પરિવર્તનના પડકારો સામે લડવા માટે થઈ રહેલા રોકાણો એટલે કે ગ્રીન સેક્ટર, જેમાં સૌર ઊર્જા, પવન ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને દરિયાઈ સંસાધનોના ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ વિકાસ એટલે કે બ્લુ ઇકોનોમીના કારણે વર્ષ ૨૦૩૦ સુધીમાં વૈશ્વિક સ્તરે યુવાનો માટે અંદાજે ૮૪ લાખથી વધુ નવી ગ્રીન નોકરીઓ ઊભી થવાની વિપુલ સંભાવનાઓ રહેલી છે. ભારત અને ગુજરાત સરકાર આ ક્ષેત્રોમાં રોજગાર સર્જન અને અદ્યતન તાલીમ માટે વિશેષ નીતિઓ અને ઇકોસિસ્ટમ બનાવી રહી છે. આ આખી પ્રક્રિયામાં યુવાનોનું આર્થિક કે માનસિક શોષણ ન થાય તે માટે તેમને સમાન કામ માટે સમાન વેતન, કાર્યસ્થળે શોષણ સામે કડક રક્ષણ, યોગ્ય ભથ્થા અને વ્યાપક સામાજિક સુરક્ષા મળે તે પણ કાયદાકીય માળખા દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
આમ, વિશ્વ યુવા કૌશલ્ય દિવસ એ બાબત પર સચોટ ભાર મૂકે છે કે, યુવાનોનો કૌશલ્ય વિકાસ એ કોઈ એક યોજના કે સરકારી વિભાગ પૂરતો મર્યાદિત વિષય નથી, પરંતુ તે સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, અગ્રણી ઉદ્યોગજગતો અને નાગરિક સમાજની સામૂહિક જવાબદારી છે. જ્યારે આ તમામ સ્તરેથી સંયુક્ત, સુમેળભર્યા અને પ્રામાણિક પ્રયાસો સતત હાથ ધરાશે, ત્યારે જ દેશમાંથી બેરોજગારીનું સંપૂર્ણ નિર્મૂલન શક્ય બનશે અને ભારત સાચા અર્થમાં વડાપ્રધાનશ્રીના સપનાનું ‘આત્મનિર્ભર’ અને ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ બની શકશે. આ ભગીરથ રાષ્ટ્રયજ્ઞમાં આજના યુવાધનનો એક જ સ્પષ્ટ મંત્ર હોવો જોઈએ: *”સતત શીખતા રહો, બદલાતા સમય સાથે પોતાની જાતને સતત અપગ્રેડ અને અપસ્કિલ કરતા રહો અને દેશના સમૃદ્ધ તથા સહિયારા ભવિષ્યના અડીખમ ઘડવૈયા બનો.”

