Surendranagar,તા.16
રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસ્યુ નથી છતાં શનિવારના દિવસે ભારે ઉકળાટ બાદ માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ દેત્રોજ, રામપુરા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. જ્યારે રામપુરામાં રાત્રિના વીજપુરવઠો ખોરવાયો. ત્યારે વાતાવરણમાં ઠંડી પ્રસરતા ગરમીમાં સેકાતા લોકોએ રાહત અનુભવી હતી.
અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર ભારે ગરમી અને ઉકળાટ વધતાં સ્થાનિક પ્રજાજનો ત્રસ્ત બન્યાં હતાં. ત્યારે માંડલ સહિત આસપાસના વિસ્તારોમાં શનિવારના દિને અસહ્ય ઉકળાટ અને ગરમી હોવાને લઈ બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને રાત્રે ૯.૩૦ કલાક બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. લગભગ દોઢેક કલાક વરસાદ વરસ્યાં બાદ સવાર સુધી ધીમીધારે વરસાદ વરસ્યો, શનિવારની રાત્રીએ માંડલ પંથકમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ થવાથી રાત્રે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો, રાત્રિના સમયે સોસાયટી વિસ્તારો, હાઈવે વિસ્તારના કેટલાંક રોડ-રસ્તાઓ જળમગ્ન બન્યાં હતાં. દેત્રોજ તાલુકાના રામપુરા સહિતના વિસ્તારોમાં પણ મોડી રાત્રે વરસાદ ખાબકવાની સાથે સવાર સુધી રામપુરામાં વીજપુરવઠો પણ ખોરવાયો હતો. જોકે બંને તાલુકામાં ગરમી બાદ એકંદરે રાત્રિના સમયે સારો વરસાદ થઈ જવાથી ગરમીથી લોકોએ આંશિક રાહત પણ મેળવી હતી.