ફાલ્ગુની વસાવડા
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ યોગને બહુ પ્રભાવક પરિબળ તરીકે બતાવે છે! યોગ શબ્દનો સીધોસાદો અર્થ જોડાવું એવો થાય છે, અને આપણે જોડાઈ પણ ગયા પરંતુ યોગની રીતે નહીં ભોગની રીતે!; અને ભોગ સાથે એવાં જોડાયાં કે આજુબાજુ ઉપરનીચે બધે એણે એ જ શોધ્યું! અરે અંતરીક્ષમાં ગયા તો ત્યાં પણ જીવન છે, ખોરાક છે, જે તે સંભવિત ગ્રહ પર કેટલું જોખમ છે! અને કેટલું નથી! એ બધું ભલે જરુરી છે! પણ ત્યાં આધ્યાત્મિક વાતાવરણ કેવુ છે! શું ત્યાં પરમ તત્વને વધુ અનુભવી શકાય એમ છે! એ વિશે કોઈ માહિતી નથી!; ભારતીય સંસ્કૃતિમાં તો આપણે ઈશ્વર માટે ઉપર વાળો એવું સંબોધન કરીએ છીએ! એ હિસાબે આકાશ ગંગામાં તરતાં આ ગ્રહોમાં પરમ તત્વની અનુભૂતિ સ્વાભાવિક રીતે વધુ થવાની સંભાવના છે! જુદા જુદા વ્યંજનોની અસર અને સ્વાદમાં કોઈ ફેર છે કે નહીં! ઈન્દ્રિયોની અસરકારકતા પૃથ્વી જેટલી જ છે કે વધુ ઓછી! ખડક ધાતુંઓ વગેરેનું પરિક્ષણ પણ થયું! સોના ચાંદી અને હીરા જેવી કિંમતી વસ્તુઓ ત્યાં ઉપલબ્ધ છે કે નહીં? પરંતુ પરમેશ્વર સાથે સતત જોડાયેલા રહેવું, એવું માનવી માટે હવે જરુરી નથી રહ્યું, અને એટલે ધર્મની ગ્લાનિ થઈ રહી છે! આપણી આજની પેઢી પરંપરા પર ઉપહાસ કરે છે! કોણ રામ? જેણે પોતાની પત્ની સીતાને એક ધોબીનાં કહેવાથી વનવાસ આપ્યો? કોણ કૃષ્ણ? જેને રાધાને છોડીને બીજી 1608 રાણીઓ હતી! અને છતાં અમર પ્રેમની વાતે રાધાને યાદ કરાય છે! આપણાં જ ધર્મ પર આપણને સંશય થાય ત્યારે સમજવું કે આપણો જન્મ નિષ્ફળ ગયો, એટલી હદે આપણે પરમ તત્વથી વિમુખ થઈ ગયાં છે. માટે જ આજે મંગળવારે મનુષ્ય જન્મને સફળ બનાવવાં ગીતાનાં સાતમા અધ્યાયનાં પ્રથમ શ્લોક પર ચિંતન કરીશું.
શ્રીભગવાનુવાચ:
મય્યાસક્તમનાઃ પાર્થ યોગં યુઞ્જન્મદાશ્રયઃ।
અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસિ તચ્છૃણુ॥ ૧
હે પાર્થ ! મારામાં મનને જોડીને, મારો આશ્રય લઈને યોગનો અભ્યાસ કર. પછી તું મને સંપૂર્ણ રીતે અને કોઈપણ સંશય વિના કેવી રીતે જાણી શકીશ, તે હવે ધ્યાનથી સાંભળ.
**મય્યાસક્તમનાઃ”મયિ + આસક્ત + મનાઃ એટલે કે મારાં માં તારું મન આસક્ત થાય, કે તારું મન સંપૂર્ણપણે પરમાત્મામાં આસક્ત રહે અથવા સ્થિર કરવું. જ્યારે મન વિષયોમાંથી હટી ભગવાન તરફ વળે છે, ત્યારે આંતરિક શાંતિ પ્રાપ્ત થાય છે. મનુષ્ય જીવન નવ રસ શૃંગાર, હાસ્ય,કરુણ,રૌદ્ર વીર, ભયાનક, બીભત્સ,અદ્ભુત અને શાંત રસની આસપાસ ભમતું હોય છે! એટલે કે મન પરિસ્થિતિ મુજબ આ બધાં ભાવોને અનુભવી અને પ્રતિક્રિયા આપ છે, અને મનને શાંતિની તલાશ રહે છે. પરંતુ આપણું મન જ્યાં સુધી દુન્યવી વ્યવહારમાં અટવાયેલું હશે ત્યાં સુધી એને સુખ એજ શાંતિ છે, એવો ભ્રમ થાય છે, અને એટલે જ એ ક્ષણિક સુખ માટે જીંદગી ખર્ચી નાખે છે! પણ શાંતિ મેળવી શકતો નથી! માટે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે તારાં મનને તું મારામાં પરોવી દે!; પૂર્ણ શરણાગતિની અહીં વાત છે! છે એકદમ સહેલું, કંઈજ કરવાનું નથી, પરંતુ આપણી અસ્થિર બુદ્ધિ, કે અભિમાનને કારણે શરણાગતિ ખાલી કહેવાની જ હોય, મન પરમ તત્વમાં પરોવી શકાતું નથી.
**”યુઞ્જન્મદાશ્રય” યુગ્જન + મત્ + આશ્રય એટલે કે મારો આશ્રય લઈને અથવા મારો આધાર લઈને યોગમાં પ્રવૃત થવું. પરમ તત્વને પામવાનાં કોઈ સાધન નાં માધ્યમથી સતત સાધના કરવી, જેમકે ધ્યાન, ભક્તિ,નિષ્કામ કર્મ અને આત્મચિંતન દ્વારા પરમની સન્મુખ રહેવું. આ શબદની સંધિ છૂટી પડતાં ફક્ત એક શબ્દ,આશ્રય પકડીએ અને અત્યાર સુધીનું જીવન ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ખોટાનો આશ્રય કર્યો! એટલે જીવનની ગતિ રુંધાઈ ગઈ. ક્યારેક વસુ, ક્યારેક વસ્તુ, અને ક્યારેક વ્યક્તિથી પ્રભાવિત થવું, અને એનામય થઈ જીવન જીવવું! દુનિયાનો દસ્તુર છે કે જે સાવ સરળતાથી ઉપલબ્ધ હોય, એ એને સસ્તું લાગે! અને એટલે પોતાની અંદરનાં આત્માને કે પરમ તત્વનો જ અંશ છે, એની વિશે વિચાર્યા વગર બહાર ભટકે છે.
**”અસંશયં સમગ્રં માં”એ શબ્દનો અર્થ છે કે પરમાત્માને માત્ર કોઈ એક સ્વરૂપથી નહીં, પરંતુ તેમના સમગ્ર અસ્તિત્વ પ્રેરક તત્ત્વ સગુણ, નિર્ગુણ, સર્વવ્યાપક અને પરમ સત્ય તરીકે ઓળખવું. પરંતુ સંશય શબ્દ એવો છે કે વાસ્તવિક જીવનમાં સંશય પ્રવેશે એટલે પુરું પરંતુ કેટલીય કઠિન પરિસ્થિતિમાં આપણે સાવ હતાશ થઈ જઈએ પણ એ વખતે સમસ્યાનું નિવારણ આપણે ઈચ્છ્યું હોય એની કરતાં વધુ સારી રીતે થાય, અને આપણને પરમાત્મા હોવાની પ્રતીતિ થાય, પણ વળી દુઃખનાં દહાડા ઓસડ એમ, આ પ્રતિતીની વિસ્મૃતિ થાય, અને વળી પરમ તત્વનાં હોવા વિશે સંશય થાય, વળી સમાધાન, આમ જ દિવસો પર દિવસો વિતી જાય છે. આ શ્લોક સમગ્ર સાતમાં અધ્યાયનું પ્રવેશદ્વાર છે. અહીંથી ભગવાન સમજાવે છે કે માત્ર બૌદ્ધિક જ્ઞાન પૂરતું નથી; અનુભવરૂપ વિજ્ઞાન અને ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિ દ્વારા જ પરમ સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
સદગુરુ કૃપા હજી સુક્ષ્મ સ્તરે ચિંતન કરાવે છે! કે આપણી સામે જ પરમાત્મા હોય એમ પ્રકૃતિ સતત પ્રસાદ પીરસી રહી છે! અને આપણે પરમ તત્વને નથી માનતા એવું પણ નથી! પરંતુ ભોગમાં સમ્યક નથી રહી શકતા! અને તેથી એની નિત્ય પ્રતિતી થતી નથી! એનું કારણ પણ અન્ય કોઈ નથી, આપણે જ છીએ! કારણકે આપણું અંતઃકરણ એટલું શુદ્ધ રહી શકતું નથી. મન બુદ્ધિ, ચિત્ત, અને અહંકાર, આ ચાર પરિબળોથી આ ચતુષ્કોણ બને છે! અને ચતુષ્કોણ માટે જેમ ચાર ખૂણા જરુરી હોય એમ આપણાં અંતઃકરણ માટે પણ આ ચારેય પરિબળ જરુરી છે, અને આ ચારે ખૂણાનાં વચ્ચેનાં પરિસરમાં આત્મા છે! આત્મા એટલે પરમાત્મા અને પરમાત્માનો મૂળ સ્વભાવ શાંતિ છે. પરંતુ આ ચતુષ્કોણનું અસંતુલન આપણને આત્મા એવંમ શાંતિ સુધી પહોંચી શકતાં નથી! અને માટે ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન વિજ્ઞાન અને યોગ પ્રેરક છે, એનાં પ્રથમ શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે, કે જો મનુષ્ય પોતાનું મન ઈશ્વરમાં સ્થિર રાખે, ઈશ્વરનો આશ્રય લે અને નિયમિત સાધના કરે, તો તેને ઈશ્વરનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરમ તત્વની અનુભૂતિ કરવાં માટે માત્ર માહિતી કે વાંચન પૂરતું નથી, શ્રદ્ધા, અભ્યાસ અને એકાગ્રતા જરૂરી છે. દૈનિક જીવનમાં તેનો અર્થ એ થાય છે કે, મનને યોગ્ય ધ્યેય સાથે જોડવું. સારા માર્ગદર્શક અને સત્યનો આશ્રય લેવો. નિયમિત અભ્યાસ અને પ્રયત્નથી સાચી સમજ મેળવવી.આધ્યાત્મિક અર્થ કરીએ તો મનની એકાગ્રતા અથવા બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જેવા મનને ઉત્તેજિત કરનારા પરિબળ પર અભ્યાસ દ્વારા સ્થિરતા સાધી શકીએ ત્યારે જ ભક્તિ, યોગ અને જ્ઞાન ત્રણેયનો સુંદર સમન્વય દર્શાવે છે. આપણે સૌ અંતઃકરણ ચતુષ્કોણનાં ચારેય ખૂણા સંતુલિત રાખીને શાંતિ સુધી પહોંચી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

