Ahmedabad,તા.૧૭
Ahmedabadમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા શ્રદ્ધા અને ઉત્સાહભેર સંપન્ન થઈ હતી. લાખો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે તેમની સુરક્ષા અને આરોગ્યની જવાબદારી સંભાળવા માટે ’૧૦૮’ ઈમરજન્સી સેવા સતત ખડેપગે તૈનાત રહી હતી. રથયાત્રા દરમિયાન સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૫૩ મેડિકલ ઇમરજન્સી કેસ નોંધાયા હતા, જેમાં ૧૦૮ની ટીમોએ સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી જરૂરી દર્દીઓને હોસ્પિટલ ખસેડ્યા હતા.
રથયાત્રા ઇમરજન્સી અપડેટ
કુલ કેસઃ ૫૩
પ્રાથમિક સારવારઃ ૭
બેહોશીઃ ૧૮
પેટમાં દુખાવોઃ ૨
માર્ગ ટ્રાફિક અકસ્માતઃ ૪
પડી જવુંઃ ૫
શ્વાસ લેવામાં તકલીફઃ ૫
બ્લડ પ્રેશરઃ ૧
ડિહાઇડ્રેશનઃ ૧
ઉલટીઃ ૨
આંચકીઃ ૩
છાતીમાં દુખાવોઃ ૧
માથાનો દુખાવોઃ ૨
બપોરે ૨ઃ૨૬ વાગ્યે એક ભક્ત અચાનક પડી જતાં ઇજાગ્રસ્ત થયા હતા. ૧૦૮ની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દર્દીને યોગ્ય સ્થિતિમાં રાખી, વાઇટલ્સ ચકાસ્યા, ઘાની સારવાર કરી અને વધુ સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા. અન્ય એક ઘટનામાં ભારે ભીડ વચ્ચે એક ભક્ત ચક્કર ખાઈને બેભાન થઈ જતાં તબીબી સ્ટાફે વાઇટલ્સ મોનિટર કરીને પ્રાથમિક સારવાર આપી તેમને શારદાબેન હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા.
ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુર વિસ્તારમાં ૪૦ વર્ષીય એક વ્યક્તિને ચક્કર આવતાં તેઓ ઢળી પડ્યા હતા. ૧૦૮ની ટીમે તેમને તાત્કાલિક ઓ.આર.એસ. આપીને સ્થિતિ સ્થિર કરી અને વધુ સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખસેડ્યા હતા. લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે ’૧૦૮’ ઈમરજન્સી સેવાની ટીમોએ સમયસર અને અસરકારક કામગીરી કરીને અનેક ભક્તોને ત્વરિત તબીબી સહાય પૂરી પાડી હતી, જેના કારણે રથયાત્રા દરમિયાન આરોગ્ય સેવાઓ સુચારુ રીતે જળવાઈ રહી હતી.

