Ahmedabad,તા.૧૫
ગુજરાતમાં આગામી અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વને લઈને રાજકીય અને ધાર્મિક ઉત્સાહ બમણો થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અષાઢી બીજના પવિત્ર દિવસે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પોતાના આ ટૂંકા અને અત્યંત મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન તેઓ ધાર્મિક ઉત્સવમાં સહભાગી થવાની સાથે-સાથે ભાજપ સંગઠન અને રાજ્ય સરકારના ઉચ્ચ પદાધિકારીઓ સાથે એક હાઈપ્રોફાઈલ બેઠક પણ યોજવાના છે.
દર વર્ષની પરંપરા અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અષાઢી બીજની વહેલી સવારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે પહોંચશે. રથયાત્રાના આ મંગલ અવસરે તેઓ વહેલી સવારે ભગવાન જગન્નાથજીની ભવ્ય મંગલા આરતીમાં સહપરિવાર ભાગ લેશે અને દેશ તથા રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરશે.
ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ, બપોર પછી કેન્દ્રીય ગૃહ મંત્રી ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ’ ખાતે પહોંચશે. ૧૬ તારીખે યોજાનારી આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ગુજરાત સરકારના મંત્રીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. જેમાં સરકારના લોકકલ્યાણના કાર્યો અને સંગઠનની આગામી રણનીતિઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
’શ્રી કમલમ’ ખાતેની મહત્વની બેઠક પૂર્ણ કર્યા બાદ, કેન્દ્રીય ગૃહ મંત્રી પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે રાજ્યમાં આયોજિત વિવિધ વૃક્ષારોપણ કાર્યક્રમોમાં હાજરી આપશે અને સ્વહસ્તે વૃક્ષારોપણ કરશે. અષાઢી બીજના આ વ્યસ્ત અને ઝંઝાવતી પ્રવાસના અંતે, તમામ કાર્યક્રમો આટોપીને મોડી સાંજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટથી સીધા દિલ્હી જવા રવાના થશે.

