મોડી રાત્રે અને વહેલી સવારે સર્ચ ઓપરેશનને મળી સફળતા; સમગ્ર કોડીનાર પંથકમાં શોકની લાગણી
(દિનેશ જોશી દ્વારા)
Kodinar તા.૫
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે મંગળવારે દરિયામાં સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં લાપતા બનેલા બંને કિશોરોના મૃતદેહ આખરે સઘન શોધખોળ બાદ મળી આવ્યા છે. મોડી રાત્રે એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બીજા કિશોરનો મૃતદેહ આજે વહેલી સવારે મળી આવતા સમગ્ર છારા ગામ સહિત કોડીનાર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે બપોરે છારા ગામના પાંચ મિત્રો દરિયામાં નાહવા ગયા હતા. દરમિયાન અચાનક દરિયાના જોરદાર કરંટમાં પાંચેય કિશોરો સપડાઈ જતા ડૂબવા લાગ્યા હતા. નજીકમાં હાજર સ્થાનિક માછીમાર મહિલાએ સર્વ પ્રથમ જીવના જોખમે દરિયામાં ઝંપલાવી બચાવ કર્યો હાથ ધર્યું ત્યારે અન્ય માછીમારો એ પણ બચાવ કાર્ય માં જોડાઈ રાજદીપ જેસાભાઈ ચુડાસમા (ઉં. ૧૬ વર્ષ), કુલદીપ પુનાભાઈ ચુડાસમા (ઉં. ૧૬ વર્ષ) અને અક્ષય ધીરુભાઈ રાઠોડ (ઉં. ૧૬ વર્ષ) નો આબાદ બચાવ કર્યો હતો. જ્યારે ભાવસિંહ ભરતભાઈ ચુડાસમા (ઉં. ૧૬ વર્ષ) અને નિર્મળ હમીરભાઈ ચુડાસમા (ઉં. ૧૭ વર્ષ) દરિયામાં લાપતા બન્યા હતા.
ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર, કોડીનાર પોલીસ, એસ.ડી.આર.એફ., વેરાવળ ફાયર, મરીન પોલીસ, ફિશરીઝ વિભાગ, કોસ્ટગાર્ડ તેમજ સ્થાનિક માછીમારો દ્વારા રાઉન્ડ ધ ક્લોક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે દરિયાઈ કરંટ અને ઊંચા મોજાં વચ્ચે ડ્રોન કેમેરા, કોસ્ટગાર્ડની બોટ તેમજ અનુભવી તરવૈયાઓની મદદથી સતત શોધખોળ કરવામાં આવી હતી.
સર્ચ ઓપરેશન દરમિયાન ભાવસિંહ ભરતભાઈ ચુડાસમાનો મૃતદેહ મંગળવારે મોડી રાત્રે મળી આવ્યો હતો, જ્યારે નિર્મળ હમીરભાઈ ચુડાસમાનો મૃતદેહ બુધવારે વહેલી સવારે મળી આવ્યો હતો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કોડીનારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.મૃતદેહ હોસ્પિટલ પહોંચતા ની સાથે કોળી સમાજ ના અગ્રણીઓ અને મૃતક ના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ સમગ્ર બચાવ અને શોધખોળ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, મામલતદાર એચ. કે. ભાસ્કર, કોડીનાર પોલીસ, એસ.ડી.આર.એફ., કોસ્ટગાર્ડ, વેરાવળ ફાયર, મરીન પોલીસ, ફિશરીઝ વિભાગ, સ્થાનિક માછીમારો તેમજ સ્થાનિક અગ્રણીઓ સતત ઘટનાસ્થળે હાજર રહી કામગીરીમાં જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે એક જ ગામના બે કિશોરોના અકાળે નિધનથી સમગ્ર છારા ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે. મોટી ગામમાં ગમગીન માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ગ્રામજનોએ મૃતક કિશોરોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ દુર્ઘટનાએ ફરી એકવાર દરિયાકિનારે વરસાદી મોસમ દરમિયાન જરૂરી સાવચેતી રાખવાની જરૂરિયાત ઉજાગર કરી છે.

