Rajkot,તા.૫
રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર અને બેદરકારીનો પર્દાફાશ થયો છે. શહેરીજનોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા તંત્ર દ્વારા ફરી એકવાર લોકોને બીમાર પાડે તેવું બેક્ટેરિયાયુક્ત દૂષિત પાણી વિતરણ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.
મળેલી માહિતી મુજબ, એપ્રિલ ૨૦૨૬ દરમિયાન રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા પીવાના પાણીના સેમ્પલો પૈકી ૧૩ સેમ્પલ ફેલ જાહેર થયા છે. તંત્રની આ બેદરકારીના કારણે હજારો નાગરિકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. સેન્ટ્રલ ઝોનમાંથી ૯ પાણીના સેમ્પલ ફેલ, જ્યારે વેસ્ટ ઝોનમાંથી ૪ પાણીના સેમ્પલ ફેલ થયા છે. અલગ-અલગ રહેણાંક વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવેલું આ પાણી બેક્ટેરિયાયુક્ત અને દૂષિત હોવાનું પરીક્ષણમાં સામે આવ્યું છે.
દૂષિત અને બીમાર પાડે તેવા પાણીના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના જ આરોગ્ય કેન્દ્રો પર નોંધાયેલા સરકારી આંકડા મુજબ, દર મહિને ઝાડા-ઊલટી, ટાઇફોઇડ અને કમળા જેવા પાણીજન્ય રોગોના સરેરાશ ૧૧૦૦ જેટલા કેસ સામે આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઉમેરીએ તો આ આંકડો ઘણો મોટો થઈ શકે છે.
આરએમસી માટે દૂષિત પાણીનું વિતરણ કરવું અને ત્યારબાદ રિપોર્ટ દબાવી રાખવો એ કદાચ નવી વાત નથી. ગત વર્ષે પણ તંત્રની આવી જ ઘોર બેદરકારી સામે આવી હતી. મે ૨૦૨૫માં વિતરણ કરાયેલા પાણીના ૨૨ સેમ્પલ ફેલ થયા હતા. તે સમયે લગભગ ૯ લાખ લોકોને બીમાર પાડે તેવું બેક્ટેરિયાયુક્ત પાણી પાઈપલાઈન દ્વારા પહોંચાડાયું હતું. તંત્રએ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ લેબોરેટરી રિપોર્ટ આખો એક મહિનો સુધી વેબસાઈટ પર મૂક્યા વિના છૂપાવી રાખ્યો હતો.
સ્થાનિક રહીશોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડવું એ મહાનગરપાલિકાની પ્રાથમિક ફરજ છે, પરંતુ વારંવાર સેમ્પલ ફેલ થવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. તંત્રની આ ગુનાહિત બેદરકારીના પાપે નિર્દોષ નાગરિકો અને બાળકો બીમારીનો ભોગ બની રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે પછી દર વખતની જેમ આ મામલે પણ ઇતિશ્રી કરી દેવામાં આવશે.
મહત્વનું છે કે, અધિકારીએ જણાવ્યું કે રાજકોટવાસીઓને ગુણવત્તાયુક્ત પાણી મળે તે માટે ઇસ્ઝ્ર કમિશનર પણ ચિંતિત છે. તેમના દ્વારા ઈન્ટર પ્લાન્ટ તેમજ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે. અગાઉ ઇસ્ઝ્ર દ્વારા ત્રણેય ઝોનમાં મે અને જૂનમાં ૭૨૨૮ સેમ્પલ લેવાયા હતા. જે રિસેડ્યુલ ક્લોરીન ટેસ્ટ માટે હતા. આ ઉપરાંત ૨૬૨ સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે લેવાયા હતા. અક્ષરનગર, અમીતનગર અને કૈલાશધારાના સેમ્પલ શંકાસ્પદ હતા. તાત્કાલિક સંકાળેયલા એન્જિનિયરને જાણ કરી રિપેરિંગ કરાયું હતું.

