કેસોના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા ૩૪ થી વધારીને ૩૮ કરવામાં આવી છે
New Delhi, તા.૫
ભારતને ટૂંક સમયમાં પોતાના ઈતિહાસમાં પહેલીવાર એક મહિલા મુખ્ય ન્યાયાધીશ (ઝ્રત્નૈં) મળવા જઈ રહ્યા છે. રાજ્યસભામાં સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક, ૨૦૨૬ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે આ અંગે મહત્વની માહિતી આપી હતી. લોકસભામાં પહેલાથી જ પસાર થઈ ચૂકેલા આ વિધેયક પર ચર્ચા બાદ રાજ્યસભામાં તેને પરત મોકલવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. વિપક્ષ દ્વારા મહિલા ન્યાયાધીશોના પ્રતિનિધિત્વ પર ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ આપતા કાનૂન મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારત ટૂંક સમયમાં જ ન્યાયતંત્રના સર્વોચ્ચ પદ પર એક મહિલા ન્યાયાધીશને જોશે. તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં જ ગુજરાત, આંધ્ર પ્રદેશ, મેઘાલય અને પટના હાઈકોર્ટમાં મહિલા મુખ્ય ન્યાયાધીશો સેવા આપી ચૂક્યા છે, જે દેશમાં નારી શક્તિને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝનનો એક ભાગ છે.
સુપ્રીમ કોર્ટમાં કેસોનો ઝડપી નિકાલ લાવવા માટે ન્યાયાધીશોની સંખ્યા ૩૪ થી વધારીને ૩૮ કરવામાં આવી છે. કાનૂન મંત્રીએ જણાવ્યું કે ૨૮ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ જ્યારે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ ત્યારે માત્ર ૮ ન્યાયાધીશો જ હતા. સમય જતાં કેસોનું ભારણ વધતા આ સંખ્યામાં વધારો કરાયો છે. આ માટે કેન્દ્રીય મંત્રીમંડળે ૫ મે ૨૦૨૬ ના રોજ મંજૂરી આપી હતી અને ત્યારબાદ અધ્યાદેશ લાવીને ૧ જૂન ૨૦૨૬ થી ૫ નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી હતી.
સંસદમાં ચર્ચા દરમિયાન કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે ન્યાયતંત્ર પર સતત વધી રહેલું કામનું ભારણ, ન્યાયિક બાબતોના બદલાતા સ્વરૂપ અને ઉભરતા બંધારણીય તથા કાનૂની મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવી એ સમયની માંગ અને સમયસરનો સુધારો છે.
અદાલતોમાં કેસો પેન્ડિંગ રહેવાના કારણો અંગે વાત કરતા કાનૂન મંત્રીએ કહ્યું હતું કે તેના ઘણાં કારણો છે, પરંતુ મુખ્ય કારણ તથ્યોની જટિલતા છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે શબરીમાલા કેસ અને તેના જેવા અન્ય ઘણા કેસો આવી જ જટિલતા ધરાવે છે જે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવે છે. નવા ન્યાયાધીશોની નિમણૂક બાદ સુપ્રીમ કોર્ટે ૪ વિશેષ બેંચોની રચના કરી છે. આ બેંચો માત્ર સૌથી જૂના સિવિલ અને ક્રિમિનલ કેસોની સુનાવણી કરશે અને તેમને દૈનિક રૂટિન કેસોની સુનાવણીમાંથી મુક્ત રાખવામાં આવ્યા છે. તેનો મુખ્ય હેતુ વર્ષોથી અટકેલા કેસોનો સમયસર નિકાલ કરીને સામાન્ય લોકોને ઝડપી ન્યાય આપવાનો છે.
આ બિલ અંગે વાત કરતા અર્જુન રામ મેઘવાલે માહિતી આપી હતી કે સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક, ૨૦૨૬ પરની ચર્ચામાં કુલ ૩૩ સાંસદોએ ભાગ લીધો હતો. તમામ સાંસદોએ પોતપોતાના કિંમતી સૂચનો અને વિચારો રજૂ કર્યા તે બદલ મંત્રીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અદાલતોના કામકાજને વધુ આધુનિક અને ડિજિટલ બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ન્યાયિક માળખાને મજબૂત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રૂ. ૭૯૫.૫૩ કરોડના ખર્ચે સુપ્રીમ કોર્ટ ભવનના વિસ્તરણનું કામ બે તબક્કામાં ચાલી રહ્યું છે.
કાનૂન મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ન્યાયાધીશોની નિમણૂક બંધારણના આર્ટિકલ ૧૨૪, ૨૧૭ અને ૨૨૪ મુજબ થાય છે. આ પ્રક્રિયા વર્ષ ૧૯૯૩ અને ૧૯૯૮ ના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ આધારે તૈયાર કરાયેલા મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર (ર્સ્ઁ) મુજબ ન્યાયતંત્ર અને કારોબારીના પરસ્પર સહયોગથી પૂર્ણ કરવામાં આવે છે.

