Ahmedabad ,તા.૧૩
અમદાવાદમાં રહેતા અને વિવિધ રીતે સાયબર ક્રાઇમનો ભોગ બનનારા ૧૧ ફરિયાદીઓના રૂપિયા ૨.૬૦ કરોડ જેટલી રકમ તેરા તુજકો અર્પણ હેઠળ પરત આપવામાં આવી છે. સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ જણાવ્યું કે સાયબર ફ્રોડથી બચવા માટે સાવધાની જરૂરી છે. અને જો કોઇ કિસ્સામાં ભોગ બની જવાય તો તાત્કાલિક ૧૯૩૦ સાયબર હેલ્પ લાઇન પર તાત્કાલિક જાણ કરવી. જેથી વધુમાં વધુ રકમ એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી શકાય.
અમદાવાદમાં રહેતા ૧૧ જેટલા લોકોએ સાયબર ફ્રોડમાં નાણાં ગુમાવ્યાની ફરિયાદ છેલ્લાં દોઢ માસમાં નોંધવામાં આવી હતી. જે કેસમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવતા વિવિધ બેંક એકાઉન્ટમાં નાણાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત બુધવારે પોલીસ કમિશનર અનુપમસિંહ દ્વારા ૧૧ લોકોને તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ ૨.૬૦ કરોડ જેટલી રકમ પરત કરવામાં આવી હતી. જે નાણાં તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવા માટે ચેક અને ડીમાન્ડ ડફ્ટ અપાયા હતા.
આ અંગે સાયબર ક્રાઇમના અધિકારીઓએ જણાવ્યું કે સાયબર ફ્રોડથી બચવા માટે સતર્કતા ખુબ જરૂરી છે. જો કોઇ કિસ્સામાં સાયબર ફ્રોડનો શિકાર બની જવાય તો એક કલાકની અંદરની અથવા ખુબ જ ઝડપથી સાયબર હેલ્પ લાઇન ૧૯૩૦ પર કોલ કરવો. જેથી પોલીસ વધુને વધુ રકમ ફ્રીઝ કરીને બચાવી શકે છે. આરટીઓ, બેંક કે અન્ય કોઇ પણ પ્રકારના વિભાગને લગતી એપીકે ફાઇલ ડાઉન લોડ કરવી નહી. એસએમએસ કે વોટ્સએપ પર આવેલી શંકાસ્પદ લીંક પર કલીક ન કરવું.
ખાસ કરીને શેરબજારમાં ઉંચા વળતરની લાલચમાં લોકો વધુ નાણાં ગુમાવે છે. ત્યારે આવા તત્વોથી દુર રહેવું. તેમજ ડીજીટલ એરેસ્ટ , ન્યુડ વિડીયો કોલ બાદ સેક્સ્ટોશનથી મંગાતા નાણાંની ફરિયાદ પણ તાત્કાલિક કરવી. હવે સાયબર ક્રીમીનલ્સ વોટ્સએપ કે ઇમેઇલમાં નાણાંકીય ડીટેઇલની સાથે ઝીપ ફાઇલ મોકલે છે. જે ડાઉનલોડ ન કરવી. આમ, સતર્કતાથી સાયબર ફ્રોડથી બચી શકાય છે.

