Gandhinagar,તા.૧૩
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાને આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાજ્યવ્યાપી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ ખાસ અભિયાન અંતર્ગત ૧૭ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ૭૦ લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવાની સાથે સીમાવર્તી ગામડાઓ સુધી ભવ્ય તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં આયોજિત થઈ રહેલા રાષ્ટ્રભક્તિના આ મહાપર્વમાં ગુજરાત અગ્રેસર બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને સંપૂર્ણ સન્માન સાથે તિરંગો લહેરાવ્યો હતો.તેમણે રાજ્યના તમામ નાગરિકોને પોતાના ઘરો, દુકાનો અને પ્રતિષ્ઠાનો પર તિરંગો લહેરાવી આ અભિયાનને ’હર ઘર તિરંગા’થી આગળ વધારી ’હર દિલ તિરંગા’ જનઆંદોલન બનાવવાની ભાવુક અપીલ કરી હતી.
આ વર્ષે ૯ ઓગસ્ટથી ૧૭ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણી માત્ર સરકારી પ્રોટોકોલ પૂરતી સીમિત ન રહેતાં વ્યાપક જનભાગીદારીનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.
રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ, તાલુકાઓ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ધામધૂમથી યોજાઈ રહ્યા છે.
આ વર્ષની ઉજવણી વિશેષ ઐતિહાસિક મહત્વ ધરાવે છે, કારણ કે આઝાદીના સંગ્રામમાં દેશવાસીઓમાં ચેતના જગાડનાર રાષ્ટ્રીય ગીત ’વંદે માતરમ્’ ની રચનાના ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સ્વતંત્રતા દિવસની થીમ સાથે વંદે માતરમ્ ની આ ૧૫૦મી વર્ષગાંઠને પણ જોડવામાં આવી છે.
ગુજરાત સરકારે આ વર્ષે ૭૦ લાખથી વધુ મકાનો, શાળાઓ અને સરકારી કચેરીઓ પર તિરંગો લહેરાવવાનો મક્કમ લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે માટે સમગ્ર રાજ્યમાં મોટા પાયે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે.
અભિયાનની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તિરંગા યાત્રા માત્ર મોટા શહેરો પૂરતી સીમિત નથી રહેતાં કચ્છ અને બનાસકાંઠા જેવા ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા છેવાડાના ગામડાઓમાં પણ ઉત્સાહભેર યોજાઈ રહી છે. જિલ્લા કલેક્ટરો, સ્થાનિક પોલીસ અને સામાજિક-ધાર્મિક સંસ્થાઓના સહયોગથી ૧૨૦૦થી વધુ સત્તાવાર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. આ યાત્રાઓ નાગરિકોમાં રાષ્ટ્ર પ્રથમની ભવ્ય લાગણી અને દેશ માટે વિર શહીદોએ આપેલી શહાદત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું માધ્યમ બની છે.

